ધર્મશાલાઃ ભારતીય ટીમને હૈદરાબાદમાં હાર મળી હતી. ઈંગ્લેન્ડે 28 રને પરાજય આપ્યો તો ભારતમાં હાહાકાર મચી ગયો હતો. સોશિયલ મીડિયા પર ફેન્સ કેપ્ટન રોહિત શર્માને ટ્રોલ કરી રહ્યાં હતા તો કેટલાક ક્રિકેટ એક્સપર્ટ કહી રહ્યાં હતા કે તે ટેસ્ટ કેપ્ટનશિપને સમજી રહ્યો નથી. કોઈએ તો કહ્યું કે વિરાટ કોહલી વગર રોહિત શર્મા આ સિરીઝ હારી જશે. બેઝબોલે પ્રથમ મેચમાં ભારતને હેરાન કર્યું હતું. તેની પાસે સ્ટ્રેન્થ હતી તો ભારતની પાસે નવા-નવા ખેલાડી. આ સિરીઝમાં ભારતના પાંચ ખેલાડીઓએ પર્દાપણ કર્યું છતાં ભારતે ઈંગ્લેન્ડને 4-1થી પરાજય આપ્યો. 112 વર્ષ બાદ આવું પ્રથમવાર થયું છે, જ્યારે કોઈ ટીમે પ્રથમ મેચ ગુમાવ્યા બાદ બાકી દરેક મેચ જીતી સિરીઝ 4-1થી પોતાના નામે કરી લીધી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ઈતિહાસમાં પ્રથમવાર આ થયું
આ પહેલા ઓસ્ટ્રેલિયાએ 1897-98 અને 1901-1902માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ, જ્યારે ઈંગ્લેન્ડે 1911-12 માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આ સિદ્ધિ મેળવી હતી. હવે ભારતે હૈદરાબાદમાં હાર બાદ વિશાખાપટ્ટનમ, રાજકોટ, રાંચી અને પછી ધર્મશાલામાં સતત 4 મેચ જીતતા સિરીઝ 4-1થી પોતાના નામે કરી છે. મેચની વાત કરીએ તો ઓફ સ્વિનર આર અશ્વિન (77 રન પર પાંચ વિકેટ) ની ઘાતક બોલિંગથી ભારતે ઈંગ્લેન્ડને પાંચમી અને અંતિમ ટેસ્ટના ત્રીજા દિવસે એક ઈનિંગ અને 64 રનથી હરાવી પાંચ મેચની સિરીઝ 4-1થી પોતાના નામે કરી છે.


પ્રથમ મેચ ગુમાવ્યા બાદ સિરીઝ 4-1થી જીતનારી ટીમો
ઓસ્ટ્રેલિયા vs ઈંગ્લેન્ડ, 1897-98
ઓસ્ટ્રેલિયા vs ઈંગ્લેન્ડ, 1901-02
ઈંગ્લેન્ડ vs ઓસ્ટ્રેલિયા, 1911-12
ભારત vs ઈંગ્લેન્ડ, 2024


100મી ટેસ્ટ મેચ રમનાર અશ્વિન રહ્યો જીતનો હીરો
ભારતે પ્રથમ ઈનિંગમાં ઈંગ્લેન્ડને 218 રનમાં ઓલઆઉટ કર્યું હતું. ત્યારબાદ ભારતે પ્રથમ દાવમાં 477 રન બનાવી 259 રનની લીડ મેળવી હતી. પોતાની 100મી ટેસ્ટ મેચ રમી રહેલા અશ્વિને બીજી ઈનિંગમાં 5 વિકેટ ઝડપી ઈંગ્લેન્ડને 195 રનમાં ઓલઆઉટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ભારતની શાનદાર જીત રહી અને અશ્વિનની 100મી ટેસ્ટ મેચ યાદગાર બની ગઈ છે. અશ્વિને મેચમાં કુલ 9 વિકેટ ઝડપી હતી. આ સિવાય પ્રથમ ઈનિંગમાં કુલદીપે પણ પાંચ વિકેટ ઝડપી હતી.