ત્રીજી વનડે પહેલા આફ્રિકાને વધુ એક ઝટકો, વિકેટકીપર ડી કોક ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર
ડી વિલિયર્સ, ડુ પ્લેસિસ બાદ ડી કોક શ્રેણીમાંથી બહાર થતા આફ્રિકાને મુશ્કેલીના સામનો કરવો પડશે.
નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન ક્વિંન્ટન ડી કોક ઈજાગ્રસ્ત ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો છે. બીજી વનડે દરમિયાન ડી કોકને ઈજા થતા ભારત સામેની વનડે અને ટી20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. આફ્રિકન બોર્ડે ડી કોકના રિપ્લેસ માટે નામની જાહેરાત કરી નથી. વિકેટકીપર બેટ્સમેન ક્લાસેનનો ટીમમાં સમાવેશ કર્યો હતો, તે ભારત સામેની ત્રીજી વનડેમાં ડેબ્યૂ કરી શકે છે.
પ્રથમ વનડે બાદ બીજી વનડેમાં પણ આફ્રિકાના બેટ્સમેનો ભારતીય સ્પીનરની જોડી ચહલ-કુલદીપનો સામનો ન કરી શક્યા હતા. રવિવારે રમાયેલી મેચમાં બંન્નેએ મળીને 8 વિકેટ ઝડપી હતી. ભારતીય ટીમ ધવનના અણનમ 51 અને કોહલીના અણનમ 46 રનની મદદથી 9 વિકેટે વિજય મેળવ્યો હતો. પ્રથમ વનડેમાં ભારતીય ટીમનો 6 વિકેટે વિજય થયો હતો.
તમને જણાવી દઈએ કે ઈજાને કારણે ડી કોક શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. વનડે શ્રેણી શરૂ થતા પહેલા એબીડી વિલિયર્સ શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. ડરબનમાં રમાયેલી પ્રથમ વનડેમાં ભારત 6 વિકેટે જીત્યું હતું. બીજી વનડે પહેલા આફ્રિકન ટીમનો કેપ્ટન ડુ પ્લેસિસ ઈજાને કારણે વનડે અને ટી20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. આફ્રિકન ટીમના મુખ્ય ત્રણેય ખેલાડી ઈજાગ્રસ્ત થતા ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. નિયમિત કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ ઈજાગ્રસ્ત થતા એડિન માર્કરામને ભારત સામેની વનડે શ્રેણી માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
એડન માર્કરામ આફ્રિકાનો બીજો સૌથી યુવા કેપ્ટન
માર્કરામ આફ્રિકાનો બીજો સૌથી યુવા કેપ્ટન છે. તે આફ્રિકાની અન્ડર-19 ટીમને 2014માં વિશ્વ કપ જીતાવી ચૂક્યો છે.