કોલકત્તાઃ કેપ્ટન આર. અશ્વિનના માંકડિંગ વિવાદમાં ફસાયા હોવાની વચ્ચે કિંગ્સ ઇલેવન પંજાબ આઈપીએલમાં બુધવાર (27 માર્ચ)એ કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ તેના ઘરમાં રમશે. અશ્વિને જોસ બટલરને માંકડિંગ આઉટ કરીને વિવાદને જન્મ આપ્યો, પરંતુ તેની ટીમે રાજસ્થાન રોયલ્સ પર 14 રનથી જીત મેળવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બટલરે 43 બોલમાં 69 રન બનાવી લીધા હતા અને ટીમ 185 રનના લક્ષ્યને હાસિલ કરવા તરફ આગળ વધી રહી હતી, પરંતુ તેના આઉટ થયા બાદ રોયલ્સે 8 વિકેટ 62 રનની અંદર ગુમાવી દીધી અને પંજાબે જયપુરમાં પ્રથમ જીત નોંધાવી હતી. અશ્વિને જે કર્યું કે, નિયમ પ્રમાણે હતું, પરંતુ તેનાથી મોટો વિવાદ ઉભો થઈ ગયો છે. રાજસ્થાન રોયલ્સના બ્રાન્ડ એમ્બેસેડર અને મહાન સ્પિનર શેન વોર્ને અશ્વિનની હરકતને શરમજનક અને ખેલભાવનાથી વિપરીત ગણાવી છે. 


આ અણગમતા વિવાદ વચ્ચે હવે જોવાનું છે કે અશ્વિન અને તેની ટીમ ઈડન ગાર્ડન્સ પર કઈ રીતે પ્રારંભ કરે છે. પંજાબ માટે જ્યાં ક્રિસ ગેલે 47 બોલમાં 79 રન બનાવ્યા, તો કેકેઆર માટે જમૈકાનો આંદ્રે રસેલ શાનદાર ફોર્મમાં છે. બંન્ને વચ્ચે ટક્કર જોવા લાયક હશે. 


ગેલે ધીમી શરૂઆત કરી પરંતુ બાદમાં તેણે પોતાના તેવર દેખાડ્યા હતા. પહેલા કેકેઆર માટે રમી ચુકેલો ગેલ ઈડન ગાર્ડન્સથી વાકેફ છે અને સ્પિનરો પર નિર્ભર કેકેઆરના આક્રમણને વેરવિખેર કરવા ઈચ્છશે. બીજીતરફ રસેલે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ 19 બોલમાં અણનમ 49 રન બનાવીને કેકેઆરને જીત અપાવી હતી. 


તે મેચમાં કેકેઆરના સ્ટાર સ્પિનર અને આક્રમક ઓપનિંગ બેટ્સમેન સુનીલ નારાયણની આંગળીમાં ઈજા થઈ હતી. કેકેઆરની ટીમ તેને ફિટ થવાની દુઆ કરતી હશે. આ મેચ બાદ કેકેઆરે આગામી ચાર મેચ બહાર રમવાના છે અને 12 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રમવા ઈડન ગાર્ડન્સ પરત ફરશે.