IPL News: આ વખતની આઈપીએલની સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સનું પરફોર્મન્સ અત્યંત નબળું જોવા મળી રહ્યું છે. સોમવારે ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પાંચ વાર ખિતાબ જીતી ચૂકેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમને કોલકાતા નાઈટ રાઈડર્સે 52 રનથી કચડી નાખી. સ્ટાર બોલર જસપ્રીત બુમરાહના જબરદસ્ત પરફોર્ન્સ છતાં ટીમ જીત મેળવવામાં નિષ્ફળ ગઈ. મુંબઈની હાલની આઈપીએલ સીઝનમાં આ નવમી હાર છે અને ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચા ક્રમે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાથે જ રોહિત શર્માના નેતૃત્વમાં રમી રહેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમે એક શરમજનક રેકોર્ડ પણ નોંધાવી દીધો છે. મુંબઈએ આઈપીએલની કોઈ પણ સીઝનમાં પહેલીવાર આટલી મેચ ગુમાવી છે. આ અગાઉ 2009, 2014 અને 2018માં 8-8 મેચ હારી હતી. જ્યારે 2012, 2016 અને 2021માં 7-7 મેચ ગુમાવી હતી. 


ટોસ જીતીને કોલકાતા નાઈટ રાઈડર્સે પહેલા બેટિંગ કરીને 9 વિકેટ ગુમાવી 20 ઓવર્સમાં 165 રન કર્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે 5 વિકેટ લીધી હતી જ્યારે કુમાર કાર્તિકેયે 2 વિકેટ લીધી હતી. જવાબમાં મુંબઈની ટીમે ખુબ જ નિરાશાજનક પ્રદર્શન કરતા 17.3 ઓવરોમાં 113 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ઈશાન કિશને સૌથી વધુ 51 રન કર્યા. મુંબઈ ઈન્ડિન્સનો આઈપીએલમાં કોલકાતા સામે 113 રનનો સ્કોર બીજો ન્યૂનતમ સ્કોર રહ્યો. આ અગાઉ 2012માં વાનખેડે સ્ટેડિયમ પર કોલકાતા સામે રોહિતની ટીમ 108 રનમાં ઓલઆઉટ થઈ હતી. 


રોહિતે શું કહ્યું તે પણ જાણો
મેચ બાદ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે જે પ્રકારે બેટિંગ થઈ તેનાથી હું નિરાશ છું. મને લાગે છે કે આ પિચ પર આ સ્કોર સારો હતો. પરંતુ અમે બેટિંગથી ખરાબ પ્રદર્શન કર્યું. અહીં અમે ચોથી મેચ રમી રહ્યા હતા અને અમને ખબર હતી કે પિચ કેવી રહી શકે છે. કેટલાક બોલ ખુબ ઝડપથી ઉછળ્યા પરંતુ આમ થતું રહે છે. અમને ખબર છે કે ફાસ્ટ બોલરને મદદ મળશે પરંતુ અમે સારી બેટિંગ કરી નહીં. સારી ભાગીદાર થઈ નહીં અને અમને આજે તેની કમી નડી. રોહિતે જો કે બુમરાહના ખુબ વખાણ કર્યા. તેણે કહ્યું કે બુમરાહે આજે વિશેષ પ્રદર્શન કર્યું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube