મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના નવા કોચ તરીકે ગૌતમ ગંભીર ગંભીરની વરણી કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે. નોંધનીય છે કે ટી20 વિશ્વકપની સમાપ્તિ સાથે રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો હતો. ત્યારબાદ આ સ્થાન માટે ગૌતમ ગંભીરે ઈન્ટરવ્યુ આપ્યું હતું અને તે રેસમાં સૌથી આગળ હતો. ગૌતમ ગંભીર પ્રથમવાર કોચની જવાબદારી નિભાવશે. આગામી શ્રીલંકા સિરીઝની સાથે ગૌતમ ગંભીરના કાર્યકાળની શરૂઆત થઈ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટી20 વિશ્વકપ ફાઈનલમાં ભારતની જીત સાથે કોચ તરીકે રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો હતો. આ પહેલા બીસીસીઆઈએ કોચ પદ માટે અરજીઓ મંગાવી હતી. ગૌતમ ગંભીરે કોચ પદ માટે ઈન્ટરવ્યુ પણ આપ્યું હતું. ગંભીર આ પદ માટે રેસમાં સૌથી આગળ હતો. ગૌતમ ગંભીર આઈપીએલમાં લખનઉ, કોલકત્તાના મેન્ટર તરીકે સેવા આપેલી હતી. હવે ગૌતમ ગંભીર ભારતીય ટીમમાં મહત્વની ભૂમિકા ભજવશે. ગંભીરનો કાર્યકાળ વર્લ્ડકપ 2027 સુધીનો રહેશે. 



દ્રવિડનો કાર્યકાળ ખતમ થવાના સમાચારોની વચ્ચે ગંભીરના હેડ કોચ બનવાના સમાચાર ચાલી રહ્યાં હતા. હવે જય શાહે આ વાત પર મહોર લગાવી છે. હાલમાં ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વેના પ્રવાસે છે. ત્યારબાદ શ્રીલંકાના પ્રવાસે જશે. જ્યાં ગંભીર કમાન સંભાળશે. 


ગંભીર આઈપીએલ 2024 પહેલા કોલકત્તા નાઈટ રાઈડર્સનો મેન્ટોર બન્યો હતો. ત્યારબાદ તેની મેન્ટરશિપમાં કોલકત્તાની ટીમ ચેમ્પિયન પણ બની હતી. ગંભીર હેડ કોચ માટે અરજી કરનાર એકમાત્ર ઉમેદવાર હતો. તેણે કોચ પદ માટે ઈન્ટરવ્યૂ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી. 


2011ના વિશ્વકપ ફાઈનલમાં રમી હતી મેચ વિનિંગ ઈનિંગ
42 વર્ષીય ગૌતમ ગંભીરે 4 ડિસેમ્બર 2018ના આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું. ગંભીરે ભારત તરફથી પોતાની અંતિમ ટેસ્ટ 2016માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રાજકોટમાં રમી હતી. ગંભીરે 58 ટેસ્ટ મેચમાં 4154 રન ફટકાર્યા હતા, જેમાં નવ સદી સામેલ છે. 


ગંભીરે 147 વનડે મેચમાં 39.68ની એવરેજથી 5238 રન બનાવ્યા હતા. જેમાં 2011 વર્લ્ડ કપ ફાઈનલમાં રમેલી 97 રનની યાગદાર ઈનિંગ પણ સામેલ છે. આ ઈનિંગની મદદથી ટીમ ઈન્ડિયા 28 વર્ષ બાદ વનડે ફોર્મેટમાં વિશ્વ વિજેતા બની હતી. ગંભીરે વનડેમાં કુલ 11 સદી ફટકારી હતી. તો ટી20 મેચમાં ગંભીરના નામે 932 રન નોંધાયેલા છે. ગંભીરે 37 ટી20 મેચમાં 7 અડધી સદી ફટકારી હતી.