નવી દિલ્હીઃ લાંબા સમયથી લટકેલો ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનો પગાર વધારાના મામલાનો અંત આવી ગયો છે. ભારતીય ક્રિકેટરોને કેન્દ્રીય કરારનું બીસીસીઆઈની શુક્રવારે સામાન્ય સભાની વિશેષ બેઠકમાં મંજૂરી આપવામાં આવી જેથી બ્રિટનના લાંબા પ્રવાસ પહેલા અનિશ્ચિતતાઓ ખતમ થઈ ગઈ. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત પ્રશાસકોની સમિતિએ 7 માર્ચે ખેલાડીઓના સંશોધિત કરારની જાહેરાત કરી હતી પરંતુ બોર્ડના કાર્યવાહક સચિવ અમિતાભ ચૌધરીએ તે કહીને સહી કરવાનો ઈનકાર કરી દીધો હતો કે તેને સામાન્ય સભામાં મંજૂરીની જરૂરીયાત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેઠકમાં 28 રાજ્ય એસોસિએશનના પ્રતિનિધિ હાજર હતા જેમાં કરારને મંજૂરી આપવામાં આવી. ચૌધરીએ કહ્યું, આશંકાઓ છતાં આજે એસજીએસ થઈ. સામાન્ય સભાએ સર્વસંમત્તિથી તમામ પ્રસ્તાવ પારિત કર્યા. હવે નક્કી થઈ ગયું કે, ખેલાડીઓને બ્રિટનના પ્રવાસ પહેલા ચુકવણી થઈ જશે. ભારતીય ટીમ આજે રવાના થઈ રહી છે. 


સંશોધિત કરાર મુજબ એ પ્લસ શ્રેણીના ક્રિકેટરોને સાત કરોડ રૂપિયા, એ બી અને સી શ્રેણીમાં ક્રમશઃ પાંચ કરોડ, ત્રણ કરોડ અને એક કરોડ રૂપિયા આપવામાં આવશે. સામાન્ય સભામાં સ્થાનિક ક્રિકેટરો અને મહિલા ક્રિકેટરોના પગાર વધારાને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. આગામી રણજી સત્રમાં પૂર્વોત્તર રાજ્યો અને બિહારની ટીમને પ્લેટ વર્ગમાં ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો. ઉત્તરાખંડની ટીમને પણ રણજી ટ્રોફી રમવા માટે સીઓઈની મંજૂરી મળી ગઈ છે પરંતુ સામાન્ય સભાએ તેને મંજૂરી આપી નથી. 


ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે બનાવેલી પ્રશાસકોની સમિતિ (સીઓએ) અને બીસીસીઆઈ વચ્ચે તણાવમાં ભારતીય ક્રિકેટરોના વેતન ચુકવણીનો મામલો પણ અટવાઇ ગયો હતો. ભારતના ટોંચના ક્રિકેટરોને અત્યાર સુધી વધારેલો પગાર મળ્યો નથી જ્યારે તેના રાષ્ટ્રીય કરાર પર પાંચ માર્ચે હસ્તાક્ષર કરાવી લેવામાં આવ્યા હતા. 


અમિતાભ ચૌધરીએ ગુરૂવારે કહ્યું હતું કે, કરાર તેમની પાસે છે. જો બેઠકમાં સંશોધિત વેતન સંરચનાને મંજૂરી મળી જાય તો તે તેના પર સહી કરી દેશે. જો તેને મંજૂરી ન મળે તો તેના હાથ બંધાયેલા છે. કોઇપણ નીતિગત નિર્ણયને સામાન્ય સભાની મંજૂરીની જરૂર હોઈ છે અને તે નિયમ તોડી શકે નહીં. 


અન્ય ખેલ સમાચાર જાણવા અહીં કિલક કરો...