નાગપુરઃ રણજી ટ્રોફીના ફાઇનલ મુકાબલામાં વિદર્ભ વિરુદ્ધ સૌરાષ્ટ્રની સ્થિતિ ખરાબ છે. મેચમાં જીત માટે સૌરાષ્ટ્રની સામે 206 રનનો લક્ષ્ય છે અને ટીમે 58 રન પર પાંચ વિકેટ ગુમાવી દીધી છે. બીજી ઈનિંગમાં પણ સૌરાષ્ટ્રનો સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પૂજારા નિષ્ફળ રહ્યો હતો. પૂજારા ખાતુ ખોલાવ્યા વિના આદિત્ય સરવટેના બોલ પર LBW આઉટ થયો હતો. ચોથા દિવસની રમત પૂર્ણ થયા સમયે સૌરાષ્ટ્રએ પાંચ વિકેટ ગુમાવીને 58 રન બનાવી લીધા છે. વિશ્વરાજ જાડેજા 23 અને કમલેશ મકવાણા 2 રન બનાવીને ક્રીઝ પર છે. મેચમાં વિદર્ભની ટીમે પ્રથમ ઈનિંગમાં 312 અને બીજી ઈનિંગમાં 200 રન બનાવ્યા હતા. તેના જવાબમાં સૌરાષ્ટ્રની ટીમ પ્રથમ ઈનિંગમાં 307 રન બનાવી આઉટ થઈ ગયું હતું. પ્રથમ ઈનિંગના આધાર પર વિદર્ભને પાંચ રનની લીડ મળી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદર્ભે આજે બીજી ઈનિંગ બે વિકેટ પર 55 રનથી શરૂ કરી અને આખી ટીમ 92.5 ઓવરમાં 200 રન પર આઉટ થઈ ગઈ હતી. વિદર્ભ માટે આદિત્ય સરવટેએ સૌથી વધુ 49 રન બનાવ્યા હતા. ગણેશ સતીશે 35 અને મોહિતે કાલેએ 38 રનનું યોગદાન આપ્યું હતું. સૌરાષ્ટ્ર માટે ધર્મેન્દ્ર સિંહ જાડેજાએ સર્વાધિક 6 વિકેટ ઝડપી હતી. 


મેચમાં જીત માટે સૌરાષ્ટ્રને 206 રનનો ટાર્ગેટ મળ્યો હતો પરંતુ વિશ્વરાજ જાડેજાને છોડીને તમામ બેટ્સમેન ફ્લોપ રહ્યાં હતા. વિશ્વરાજ સિવાય બીજી ઈનિંગમાં સ્નેલ પટેલ (12) જ બે આંકડાના સ્કોર સુધી પહોંચી શક્યા હતા. સૌરાષ્ટ્રએ અત્યાર સુધી હાર્વિક દેસાઈ (8), સ્નેલ પટેલ (12), ચેતેશ્વર પૂજારા (0), અર્પિત વસાવડા (5) અને શેલ્ડન જેક્સન (7)ની વિકેટ ગુમાવી દીધી છે. મેચના અંતિમ દિવસે હારને ખાળવા માટે સૌરાષ્ટ્રને ચમત્કારની આશા કરવી પડશે.