મુંબઈઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) એ આગામી 17 ઓક્ટોબરથી શરૂ થતા આઈસીસી ટી20 વિશ્વકપ (ICC T20 World cup) માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. આ સિવાય બીસીસીઆઈએ ત્રણ રિઝર્વ ખેલાડીઓની પણ પસંદગી કરી છે. આજે મુંબઈમાં અખિલ ભારતીય સીનિયર પસંદગી સમિતિની બેઠક મળી હતી. આ બેઠક બાદ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટી20 વિશ્વકપની શરૂઆત 17 ઓક્ટોબરથી ક્વોલિફાયર રાઉન્ડ સાથે થશે. જ્યારે સુપર-12 મુકાબલાની શરૂઆત 23 ઓક્ટોબરથી થશે અને ફાઇનલ મેચ 14 નવેમ્બરે રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, વરૂણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર.


રિઝર્વ ખેલાડીઓઃ શ્રેયસ અય્યર, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર.  


એમએસ ધોનીને મળી મોટી જવાબદારી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને આઈસીસી ટી20 વિશ્વકપ માટે મેન્ટોરની જવાબદારી સોંપી છે. તે કોચ રવિ શાસ્રી સાથે કામ કરશે. આ રીતે ટીમ ઈન્ડિયામાં ફરી ધોનીની વાપસી થઈ છે.


શિખર ધવન બહાર
અનુભવી ઓપનર શિખર ધવનને ટી20 વિશ્વકપની ટીમમાં તક મળી નથી. ધવનને બીસીસીઆઈએ બહાર કરી દીધો છે. તો રવિચંદ્રન અશ્વિનની ચાર વર્ષ બાદ લિમિટેડ ઓવર્સ ક્રિકેટની ટીમમાં વાપસી થઈ છે. અશ્વિન છેલ્લે 2017માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ રમ્યો હતો. તો ભારતે સ્ટાર સ્પિનર યુજવેન્દ્ર ચહલને પણ નજરઅંદાજ કર્યો છે. 


ભારતીય ટીમમાં પાંચ સ્પિનર અને ત્રણ ફાસ્ટ બોલર
બીસીસીઆઈએ વિશ્વકપ માટે જાહેર કરેલી ટીમમાં પાંચ સ્પિનરોને તક આપવામાં આવી છે. જેમાં રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, રાહુલ ચાહર, અક્ષર પટેલ અને વરૂણ ચક્રવર્તી છે. તો ફાસ્ટ બોલિંગમાં જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમીને તક મળી છે. 

આઈસીસી ટી-20 વર્લ્ડ કપ ગ્રુપ
રાઉન્ડ-1

ગ્રુપ A: શ્રીલંકા, આયરલેન્ડ, નેધરલેન્ડ, નામ્બિયા
ગ્રુપ B: બાંગ્લાદેશ, સ્કૉટલેન્ડ, પપુઆ ન્યૂ ગિની, ઓમાન


સુપર 12
ગ્રુપ A: ઑસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટઇન્ડિઝ, A1, B2
ગ્રુપ B: ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, B1, A2


ટી20 વિશ્વકપમાં ભારતનો કાર્યક્રમ
ભારત વિરુદ્ધ પાકિસ્તાન 24 ઓક્ટોબર
ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ 31 ઓક્ટોબર
ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન 3 નવેમ્બર
ભારત વિરુદ્ધ B1 5 નવેમ્બર
ભારત વિરુદ્ધ A2 8 નવેમ્બર


14 નવેમ્બરે રમાશે ફાઇનલ જંગ
આઈસીસી ટી20 વિશ્વકપના મુખ્ય રાઉન્ડમાં કુલ 12 ટીમ ભાગ લેવાની છે. આઈસીસીએ આ માટે બે ગ્રુપ બનાવ્યા છે. ભારતીય ટીમ ગ્રુપ-બીમાં છે. ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલ મેચ 10 નવેમ્બરે અને બીજી સેમિફાઇનલ 11 નવેમ્બરે રમાશે. જ્યારે ફાઇનલ જંગ 14 નવેમ્બરે રમાશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube