તેન્ડુલકરના કારણે ફરી એકવાર ક્રિકેટના મેદાન પર દેખાશે વિનોદ કાંબલી
ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન વિનોદ કાંબલી અને સચિન તેન્ડુલકર વચ્ચે બાળપણથી મિત્રતા રહી છે
મુંબઈ : ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન વિનોદ કાંબલી અને સચિન તેન્ડુલકર વચ્ચે બાળપણથી મિત્રતા રહી છે. બંનેએ ક્રિકેટ કરિયરની શરૂઆત એકસાથે કરી હતી. તેઓ બંને દિગ્ગજ કોચ રમાકાંત આચરેકરના શિષ્ય રહ્યા છે. પોતાની દોસ્તી માટે ફેમસ આ ખેલાડીઓએ એકસાથે ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે. જોકે સમયની સાથેસાથે સચિન મિત્ર વિનોદથી ઘણો આગળ નીકળી ગયો હતો. જોકે એક સમય એવો પણ આ્રવ્યો હતો કે વિનોદ કાંબલી બહુ જોરદાર પ્રદર્શન કરી રહ્યો હતો અને કેટલાક નિષ્ણાંતોએ તેને સચિનથી પણ બહેતર ખેલાડી ગણાવ્યો હતો. જોકે કાંબલી પોતાનું ફોર્મ જાળવી શક્યો નહોતો અને ટીમની બહાર થઈ ગયો હતો.
કોચ બનીને કમબેક
ભારતીય ટીમના ભૂતપૂર્વ બેટ્સમેન વિનોદ કાંબલીએ કહ્યું છે કે તેણે કોચ બનવાનો નિર્ણય તેના મિત્ર અને સાથી ક્રિકેટર રહી ચૂકેલા સચિન તેન્ડુલકરની સલાહથી લીધો છે. તેન્ડુલકર અને કાંબલી રમાકાંત આચરેકરના શિષ્યો છે. પોતાની દોસ્તી માટે જાણીતા બંને ખેલાડીઓ ભારત તરફથી રમી ચૂક્યા છે. કાંબલીએ કહ્યું કે, કિકેટના મેદાન પર તે ખેલાડી નહીં પણ કોચ બનીને કમબેક કરી રહ્યો છે, જેનો શ્રેય સચિનને જાય છે. તેણે કહ્યું કે, મેં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી ત્યારે મેં કોમેન્ટેટર અથવા ટીવી પર ક્રિકેટ એક્સપર્ટ બનવાનું વિચાર્યું હતું પણ ક્રિકેટના મેદાન પ્રત્યેનો મારો પ્રેમ જળવાઈ રહ્યો એટલે મેદાન પર પાછો આવી રહ્યો છું.
કેવં હશે કોચિંગ?
સતત બે ટેસ્ટમાં બેવડી સદી ફટકારનારા દેશના પ્રથમ બેટ્સમેન કાંબલીએ કહ્યું કે, સચિન જાણે છે કે, મને ક્રિકેટ પ્રત્યે કેટલો લગાવ છે એટલે જ તેમણે મને કોચિંગ શરૂ કરવાનું કહ્યું. તેણે જે રસ્તો દેખાડ્યો છે તેના પર ચાલવાનો હું પ્રયત્ન કરીશ. કાંબલીએ કહ્યું કે, કોચિંગના લેનારા સ્ટુડન્ટ્સને તે આચરેકર સર પાસેથી શિખેલા સિદ્ધાંત અને મૂલ્યો શીખવશે.