Virat Kohli announces retirement from T20I: ભારતીય ટીમે 17 વર્ષ બાદ ટી20 વિશ્વકપનું ટાઈટલ જીતી લીધું છે. ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં આફ્રિકાને 7 રને હરાવ્યું છે. આ ઐતિહાસિક જીત બાદ વિરાટ કોહલીએ મોટી જાહેરાત કરી છે. વિરાટ કોહલીએ ટી20 આંતરરાષ્ટ્રીયમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. તે ટેસ્ટ અને વનડે રમતો રહેશે. પરંતુ આ વર્લ્ડ કપ ફાઈનલ તેના આંતરરાષ્ટ્રીય કરિયરની છેલ્લી ટી20 મેચ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટ કોહલીએ પ્રથમવાર જીત્યો ટી20 વિશ્વકપ
વિરાટ કોહલી ભારતીય ટીમ 2011માં વનડે વિશ્વકપ જીત્યો તે ટીમનો સભ્ય હતો. પરંતુ વિરાટ કોહલીએ એક ખેલાડી તરીકે પ્રથમવાર ટી20 વિશ્વકપની ટ્રોફી જીતી છે. હવે વિરાટ કોહલી ટી20 આંતરરાષ્ટ્રીયમાં ભારત માટે રમતો જોવા મળશે નહીં.



વિરાટ કોહલીએ લીધો સંન્યાસ
વિરાટ કોહલીએ ટી20 વિશ્વકપ 2024નું ટાઈટલ જીત્યા બાદ કહ્યું કે આ મારો છેલ્લો ટી20 વિશ્વકપ હતો, આ તે છે જે અમે હાસિલ કરવા ઈચ્છતા હતા. એક દિવસ તમને એવો અનુભવ થાય છે કે તમે દોડી ન શકો અને તેમ થાય છે, ભગવાન મહાન છે. આ અત્યારે નહીં તો ક્યારેય નહીં જેવો અવસર હતો. ભારત માટે રમતા આ મારી છેલ્લી ટી20 મેચ હતી. અમે આ કપને ઉઠાવવા ઈચ્છતા હતા. હવે આગામી પેઠી માટે ટી20 રમતને આગળ લઈ જવાનો સમય. આઈસીસી ટૂર્નામેન્ટ જીતવાની રાહ જોતા આ લાંબી પ્રતીક્ષા રહી છે. તમે રોહિત જેવા ખેલાડીને જુઓ, તેણે 9 ટી20 વિશ્વકપ રમ્યા છે અને આ મારો છઠ્ઠો વિશ્વકપ છે. તે આ જીતનો હકદાર છે. આ એક અદ્ભુત દિવસ છે અને હું આભારી છું. 

કોહલીનું ટી20 કરિયર
વિરાટ કોહલીએ તેની T20I કારકિર્દીમાં કુલ 125 મેચ રમી છે. આ દરમિયાન વિરાટે 48.69ની એવરેજથી 4188 રન બનાવ્યા હતા. વિરાટે તેની T20I કારકિર્દીમાં 3056 બોલનો સામનો કર્યો હતો, જે T20Iમાં કોઈપણ બેટ્સમેન દ્વારા કરવામાં આવેલો બીજા સૌથી વધુ બોલ છે. વિરાટે તેની T20I કારકિર્દીમાં કુલ 38 અડધી સદી ફટકારી છે અને 1 સદી પણ ફટકારી છે. આ સદી 2022ના એશિયા કપમાં અફઘાનિસ્તાન સામે આવી હતી.