હાલ ગાંધીનગરમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો શાયરાના અંદાજ જોવા મળ્યો હતો. તેમણે એક શાયરી દ્વારા વિપક્ષ પર વાર કર્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહમાં કવિ જીગર દોષીના શાયરીથી શરૂઆત કરીને કહ્યું હતું કે, તમને અમારી લાગણી ની કદર નથી પણ અમને તમારી નફરતોથી લગાવ છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાન ગૃહમાં રાજ્યપાલના પ્રવચન પર આભાર પ્રસ્તાવ રજૂ કરતા કહ્યું કે, લોકહિત કામો માટે સરકારનું મન ખુલ્લું છે. તેવો સ્પષ્ટ મત વ્યકત કરતા પક્ષાપક્ષીથી ઉપર ઉઠી વિકાસની રાજનીતિનું આહવાન કર્યું છે. મુખ્યમંત્રીએ ફરી વિપક્ષને ટોણો મારતા કહ્યું કે, આપકે દિલે મેં કુછ જલતા હૈ ધુઆ લાગતા હૈ, આંખ મેં કુછ ચુભતા હૈ શાયદ સત્તા કા ખ્વાબ હૈ...આ સાથે જ મુખ્યમંત્રી વિપક્ષને સીધો જવાબ આપતા કહ્યું કે, ગુજરાતનો ગ્રોથ 11.5 ટકા થયો છે. 23 વર્ષથી લોકોનો વિશ્વાસ જીતવો અને ટકાવી રાખવો મુશ્કેલ છે. બે દાયકામાં માથાદીઠ આવકમાં 13 ટકા વધારો થયો છે. બે દાયકા પહેલા જ્યાં 13665 રૂપિયા માથાદીઠ આવક હતી, તે આજે વધીને 1 લાખ 74 હજાર 252 રૂપિયા થઈ ગઈ છે. વિજયભાઈ અને નીતિનભાઈનું દિલ્હીમાં કંઈ ઉપજતું નથી એવું કહેનારાને કહું છું કે, હવે દિલ્હીમાં કુરનીશ બજાવવાના દિવસ ગયા. અગાઉ દિલ્હીમાં કોંગ્રેસનું શાસન હતું, ત્યારે આઠ આઠ દિવસ દિલ્હીમાં પડ્યા રહેવું પડતું હતું, છતાં તેમના પીએમ મળતા ન હતા. આજે પણ અમિત ચાવડા અને પરેશ ધાનાણી વારેવારે દિલ્હી શા માટે જઈ રહ્યા છે? તો બીજી તરફ વિપક્ષના સભ્યોએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને કવિતા કહેવાનું સૂચન કરતા તેમણે જણાવ્યું હતું કે, હું કવિ નથી હુ શાયર નથી, હુ હકીકતલક્ષી છું.