બાંગ્લાદેશમાં અનામત આંદોલન સોમવારે અચાનક રાજકીય સંકટમાં ફેરવાઈ જતા સ્થિતિ વિકટ બની ગઈ છે. બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ રાજીનામું આપીને દેશ છોડવો પડ્યો અને ભારતમાં શરણ લેવી પડી. ત્યારબાદ કટ્ટરપંથી સંગઠન જમાત એ ઈસ્લામીએ હવે ભારતનું નામ લીધા વગર જ તેના વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. જમાત એ ઈસ્લામીએ પોતાના સમર્થકોને શેખ હસીનાને શરણ આપનારા દેશના દૂતાવાસને ઘેરવાનું કહ્યું છે. બીજી બાજુ પ્રદર્શનકારીઓએ નોબલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને વચગાળાની સરકારના પ્રધાનમંત્રી બનાવવાનો નિર્ણય લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેલમાંથી કેદીઓ ફરાર
આ રાજકીય ઉલટફેર વચ્ચે બાંગ્લાદેશમાં ચાલી રહેલી લૂટફાટ અને તોડફોડમાં પ્રદર્શનકારીઓએ શેરપુર જિલ્લાની જેલ ઉપર પણ હુમલો કર્યો. આ હુમલા બાદ જેલને આગ લગાવી દેવાઈ છે. જેલથી 518 કેદીઓ ફરાર થઈ ગયા છે. જે પોતાની સાથે જેલના હથિયારો પણ લૂંટીને લઈ ગયા છે. આ ફરાર કેદીઓમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન JMBના અનેક ખતરનાક આતંકીઓ પણ સામેલ છે. કેદીઓ ભાગ્ય બાદ ભારતમાં પણ હાઈ એલર્ટ જાહેર કરાયો છે. દિલ્હી સ્થિત બાંગ્લાદેશી દૂતાવાસ પર સુરક્ષા કડક કરાઈ છે. બાંગ્લાદેશ સાથે જોડાયેલી સરહદો પર સુરક્ષાની ફરીથી સમીક્ષા થઈ રહી છે. દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સર્વપક્ષીય બેઠક બોલાવી. 



સોમવારે થયો હતો હુમલો
ઢાકા ટ્રિબ્યુનના રિપોર્ટ મુજબ શેરપુર જિલ્લાની જેલ પર સોમવારે હુમલો થયો હતો. શેરપુરના ડેપ્યુટી કમિશનર અબ્દુલ્લા અલ ખેરુને જણાવ્યું કે સોમવારે સાંજે 4.30 વાગ્યાથી 5.30 વાગ્યા વચ્ચે ભારે ભીડે જેલ પર અચાનક હુમલો કર્યો. જેલના દરવાજામાં આગ લગાવી દીધી. આ દરમિયાન જેલમાં કેદ JMB આતંકીઓ સહિત 518 કેદીઓ ભાગવામાં સફળ રહ્યા. કેદીઓ ભાગતી વખતે જેલના હથિયારો અને અનેક કિમતી સામાન પણ લૂંટી ગયા. 


ઈસ્કોન મંદિર ફૂંક્યું
બાંગ્લાદેશમાં હિંસા અને આગચંપી વચ્ચે હવે ઉપદ્રવીઓએ અલ્પસંખ્યક હિન્દુઓને નિશાન બનાવવાનું શરૂ કરી દીધુ છે. ભીડ પકડી પકડીને હિન્દુઓને નિશાન બનાવી રહી છે. ઘરોમાં આગચંપી કરાઈ રહી છે. દુકાનો લૂંટવામાં આવી રહી છે. આ બધા વચ્ચે બાંગ્લાદેશના મેહરપુર ઈસ્કોન મંદિરની તસવીરો પણ સામે આવી છે. તોફાનીઓએ તોડફોડ કર્યા બાદ આ મંદિરને ફૂકી માર્યું. 


બાંગ્લાદેશી મીડિયા ધ ડેઈલી સ્ટારના રિપોર્ટ મુજબ 27 જિલ્લાઓમાં હિન્દુઓના ઘરો અને દુકાનોને નિશાન બનાવવામાં આવ્યા છે. કિમતી સામાન લૂંટી લેવાયો છે. મંદિરો પર હુમલા કરાયા છે. રિપોર્ટ મુજબ લાલમોનિરહાટ સદર ઉપ જિલ્લામાં ધાર્મિક હિન્દુ કાર્યો સંલગ્ન પૂજા સમિતિના સચિવ પ્રદીપ ચંદ્ર રાયના ઘરમાં તોડફોડ અને લૂટફાટ કરાઈ છે. બાંગ્લાદેશી મીડિયાના રિપોર્ટ મુજબ પંચગઢમાં અનેક હિન્દુઓના ઘરોમાં તોડફોડ અને લૂંટફાટ કરાઈ છે. ઓઈક્યા પરિષદના મહાસચિવ મોનિન્દ્ર કુમાર નાથે જણાવ્યું કે એવો કોઈ વિસ્તાર કે જિલ્લો બચ્યો નથી જ્યાં હિન્દુઓ પર હુમલા થયા નથી. તેમની પાસે અલગ અલગ વિસ્તારોથી સતત હુમલાના સમાચાર આવી રહ્યા છે.