ભારત વિરુદ્ધ એલફેલ બોલીને સંબંધ બગાડનારા કેનેડાના પીએમ હવે પોતાની જ વાતો પર ચારેબાજુથી ઘેરાઈ રહ્યા છે. તેમણે કબૂલ્યું છે કે જ્યારે તેમણે ગત વર્ષે ખાલિસ્તાની અલગાવવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટો સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો ત્યારે તેમની પાસે ફક્ત ગુપ્ત માહિતી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ કે કોઈ નક્કર પુરાવો નહતો. ચૂંટણી પ્રક્રિયાઓ અને લોકતાંત્રિક સંસ્થાઓમાં વિદેશી હસ્તક્ષેપની સાર્વજનિક તપાસના મામલે ટ્રુડોએ જુબાની આપતી વખતે આ વાત કરી. ખાસ વાત એ છે કે હાલમાં જ બંને દેશોએ પોતાના રાજનયિકો હટાવ્યા છે અને ભારત-કેનેડાના સંબંધો તણાવપૂર્ણ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રુડોએ દાવો કર્યો કે ભારતીય રાજનયિક કેનેડાના એવા લોકો વિશે માહિતી ભેગી કરી રહ્યા હતા જેઓ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર સાથે અસહમત છે અને તેને ભારત સરકારના ઉચ્ચતમ સ્તર સુધી પહોંચાડી રહ્યા હતા. તેમણે લોરેન્સ બિશ્નોઈ ગેંગ જેવા અપરાધિક સંગઠનોનો પણ ઉલ્લેખ કર્યો. ટ્રુડોએ કહ્યું કે, મને એ તથ્ય વિશે જાણકારી અપાઈ કે કેનેડા અને સંભવત ફાઈવ આઈઝ સભ્યો પાસેથી ગુપ્ત માહિતી મળી છે જેનાથી એ સ્પષ્ટ થઈ ગયું કે ભારત તેમાં સામેલ હતું. ભારત સરકારના એજન્ટ કેનેડાની ધરતી પર કેનેડાના નાગરિકની હત્યામાં સામેલ હતા. કેનેડાના પ્રધાનમંત્રીએ કહ્યું કે આ એવી ચીજ છે જેને તેમની સરકારે ખુબ જ ગંભીરતાથી લીધી. 


અમારી પાસે નક્કર પુરાવા નહતા...
ફાઈવ આઈઝ નેટવર્ક પાંચ દેશોનું એક ઈન્ટેલિજન્સ સંગઠન છે જેમાં અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ન્યૂઝીલેન્ડ સામેલ છે. ટ્રુડોએ કહ્યું કે, ભારતે વાસ્તવમાં એવું કર્યું અને અમારી પાસે એ માનવાનું કારણ છે કે તેમણે આવું કર્યું. પીએમએ કહ્યું કે તેમની સરકારનો તાત્કાલિક દ્રષ્ટિકોણ ભારત સરકાર સાથે મળીને તેના પર કામ કરવાનું છે જેથી કરીને જવાબદારી નિશ્ચિત કરી શકાય. ગત વર્ષે સપ્ટેમ્બરમાં ભારત દ્વારા આયોજિત જી20 શિખર સંમેલનને યાદ કરતા તેમણે કહ્યું કે ભારત માટે એક મોટો અવસર હતો અને કેનેડા તે સમયે જો આ આરોપોને જાહેર કરી નાખત તો ભારત માટે આ શિખર સંમેલનમાં ખુબ અસહજ સ્થિતિ બની શકે તેમ હતી. 


તેમણે કહ્યું કે અમે આમ ન કરવાનો નિર્ણય લીધો. અમે પડદા પાછળ કામ ચાલુ રાખવાનો નિર્ણય લીધો જેથી કરીને  ભારત અમને સહયોગ કરે. ટ્રુડોએ કહ્યું કે ભારતીય પક્ષે પુરાવા માંગ્યા અને અમારો જવાબ હતો તે તમારી સુરક્ષા એજન્સીઓ પાસે છે. ટ્રુડોએ કહ્યું કે પરંતુ ભારતીય પક્ષોએ પુરાવા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે અને તે સમયે આ મુખ્ય રીતે ગુપ્ત માહિતી હતી. ન કે નક્કર પુરાવા. આથી અમે કહ્યું કે ચલો સાથે મળીને કામ કરીએ અને તમારી સુરક્ષા સેવાઓ પર નજર ફેરવીએ અને કદાચ અમે આ કામ કરી શક્યા. 


ટ્રુડોએ કહ્યું કે અમે તપાસ શરૂ કરી. આ આરોપો અને અમારી ત પાસને લઈને ભારતે અમારા પર હુમલા તેજ કર્યા. કેનેડાની સંપ્રભુતા, લોકોને નિશાન બનાવવામાં આવ્યા, ભારતમાં કેનેડાના અનેક રાજનયિકોને નિષ્કાસિત કરાયા. તેમણે કહ્યું કે આ એક એવી સ્થિતિ છે જેમાં અમારી પાસે સ્પષ્ટ અને નિશ્ચિત રીતે હવે વધુ સ્પષ્ટ સંકેત છે કે ભારતે કેનેડાની સંપ્રભુતાનો ભંગ કર્યો છે. 


રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે સોમવારે કહ્યું હતું કે તેમની પાસે પુરાવા છે કે જૂન 2023માં નિજ્જરની હત્યાના કથિત કાવતરામાં છ ભારતીય રાજનિયકો સામેલ હતા. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે બિશ્નોઈ ગેંગ ભારત સરકારના એજન્ટો સાથે જોડાયેલી છે. જે  દેશમાં ખાસ કરીને ખાલિસ્તાની સમર્થક તત્વોને નિશાન બનાવે છે. ભારતે કેનેડાના અધિકારીઓ દ્વારા ભારતીય એજન્ટોને કેનેડામાં અપરાધિક જૂથો સાથે જોડવાના પ્રયત્નોને દ્રઢતાથી ફગાવી દીધા. ભારતે કેનેડાના એ દાવાને ફગાવી દીધો હતો કે કેનેડાએ નિજ્જર કેસમાં ભારત સાથે પુરાવા શેર કર્યા છે.