Palestinian Ambassador Adnan Abu Alhaija: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 5મો દિવસ છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 3000 લોકોના જીવ ગયા છે. ઈઝરાયેલના સૈનિકો હમાસના આતંકીઓ પર કહેર બનીને તૂટી પડ્યા છે અને ગાઝા પટ્ટી સહિત વિસ્તારોમાં ભીષણ  બોમ્બવર્ષા કરી રહ્યા છે. આ બધા વચ્ચે પેલેસ્ટાઈને ભારતને ખાસ અપીલ કરી છે અને પેલેસ્ટાઈનના રાજદૂત અલહૈઝાએ કહ્યું કે ભારત સંકટને ઓછું કરવાની ભૂમિકા નિભાવવા માટે સારી સ્થિતિમાં છે. અદનાન અબુ અલહૈઝાએ કહ્યું કે પેલેસ્ટાઈન મુદ્દા સાથે ભારતની એકજૂથતા મહાત્મા ગાંધીના સમયથી ચાલી આવી રહી છે અને પોતાના વધતા વૈશ્વિક કદ અને પશ્ચિમ એશિયાના તમામ પ્રમુખ પક્ષો પર પ્રભાવથી તે ઈઝરાયેલ-હમાસ સંઘર્ષથી ઉભા થયેલા સંકટને ઓછું કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાના મુદ્દે સારી સ્થિતિમાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યાર સુધીમાં 3000 લોકોના મોત
પેલેસ્ટાઈનના રાજદૂત અદનાન અબુ અલહૈઝાએ ખાસ કરીને કહ્યું છે કે ભારત ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન એમ બંનેનો 'મિત્ર' છે અને તે તણાવને ઓછો કરવાની દિશામાં કામ કરવા અને પેલેસ્ટાઈન મુદ્દે સમાધાનમાં યોગદાન આપવામાં 'સક્ષમ' છે.  શનિવારથી ગાઝાથી હમાસના આંતકીઓ દ્વારા ઈઝરાયેલ વિરુદ્ધ મલ્ટી ડાઈમેન્શનલ હુમલા અને ત્યારબાદ ઈઝરાયેલની જવાબી કાર્યવાહીમાં છેલ્લા પાંચ દિવસમાં  ઓછામાં ઓછા 3000 લોકોના મોત થયા છે. વધતા તણાવને ધ્યાનમાં રાખતા વૈશ્વિક ચિંતાઓ અને મતભેદ વધી ગયા છે. 


ભારત જાણે છે કે પેલેસ્ટાઈનનો મુદ્દો શું છે- અબુ અલહૈઝા
અદનાન અબુ અલહૈઝાએ કહ્યું કે ભારત યુરોપીયન દેશો, અમેરિકા, પશ્ચિમ એશિયાના દેશો સાથે સંપર્ક કરી શકે છે અને શાંતિની દિશામાં કામ કરવા માટે ઈઝરાયેલ પર દબાણ કરી શકે છે. જેને તે (ઈઝરાયેલ) અત્યાર સુધી ઈન્કાર કરતો રહ્યો છે. તેમણે કહ્યું કે ભારત શરૂઆતથી જાણે છે કે પેલેસ્ટાઈનનો મુદ્દો શું છે, મહાત્મા ગાંધીના સમયથી. આથી તેઓ આ ભૂમિકા ભજવવા માટે યોગ્ય છે, ખાસ કરીને કારણ કે ભારત બંને (પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ)નો મિત્ર છે. 


ભારત પેલેસ્ટાઈન મુદ્દાનો સમર્થક રહ્યો છે- પેલેસ્ટાઈન રાજદૂત
પેલેસ્ટાઈનના રાજદૂત અદનાન અબુ અલહૈઝાએ કહ્યું કે ભારત પેલેસ્ટાઈનના મુદ્દાનું સમર્થક રહ્યું છે. તેમણે કહ્યું કે 'ભારત એક ખુબ મહત્વપૂર્ણ દેશ છે. મને લાગે છે કે ભારત આ મામલે નેતૃત્વ કરી શકે છે. ભારત સારી ભૂમિકા ભજવી શકે છે.' એવું પૂછવામાં આવતા કે શું તેઓ એ વાતની વકાલત કરી રહ્યા છે કે ભારત મધ્યસ્થીની ભૂમિકા ભજવે તો તેમણે જવાબ આપ્યો કે '(મને) એવી આશા છે.' એવું પૂછવામાં આવ્યું કે શું તેમણે આ અંગે ભારત સરકાર સંબંધિત લોકો કે વિદેશ મંત્રાલય ને જણાવ્યું છે, તો તેમણે કહ્યું કે તેમણે લગભગ બે વર્ષ પહેલા આ માટે  કહ્યું હતું. હમાસના ઉગ્રવાદીઓના હુમલાઓ સંપૂર્ણ રીતે અકારણ અને અસ્વીકાર્ય જણાવતા ઈઝરાયેલે પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે તે આ પડકારને પહોંચી વળશે અને અપરાધીઓને દંડ આપશે. વર્ષોથી ભારત એ કહેતું આવ્યું છે કે પેલેસ્ટાઈનના પ્રશ્ન પર તેની સ્થિતિ સ્પષ્ટ અને સુસંગત રહી છે અને તે બે રાજ્ય સમાધાન પ્રાપ્ત કરવા માટે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે સીધી વાતચીત ફરીથી શરૂ કરવાના તમામ પ્રયત્નોનું સમર્થન કરવા માટે પ્રતિબદ્ધ છે. 


નિર્દોષ નાગરિકોના મોત પર કહી આ વાત
હમાસ દ્વારા ઈઝરાયેલ વિરુદ્ધ હુમલાઓ પર રાજદૂતે કહ્યું કે તેમણે જે કર્યું તે એ ચીજની 'પ્રતિક્રિયા' છે જે ઈઝરાયેલ પેલેસ્ટાઈનના લોકો સાથે 'લાંબા સમયથી' કરી રહ્યું છે જેમાં નિર્દોષ નાગરિકો માર્યા ગયા. રાજદૂતે  કહ્યું કે, 'હું અસૈન્ય નાગરિકોની હત્યાની નિંદા કરું છું- પછી ભલે તે પેલેસ્ટાઈનના હોય કે ઈઝરાયેલી.' તેમણે કહ્યું કે ગાઝા 22 લાખ લોકો માટે એક ખુલ્લી જેલ છે. તેઓ ક્યાંય અવરજવર કરી શકતા નથી, જ્યાં સુધી ઈઝરાયેલથી કોઈ તેમને વેસ્ટ બેંકમાં આવવાની મંજૂરી ન આપે ત્યાં સુધી તેઓ ચિકિત્સા ઉપચાર માટે બહાર જઈ શકતા નથી. 


રાજદૂતે સંઘર્ષ ક્ષેત્રની સ્થિતિને ખુબ ખરાબ ગણાવી. તેમણે કહ્યું કે સ્થિતિ ખુબ ખરાબ છે. વર્ષોથી અમે દુનિયાને ચેતવણી આપી રહ્યા હતા (ઈઝરાયેલની કાર્યવાહીને લઈને) કે કોઈ પણ જવાબદારી વગર રોજ શું થઈ રહ્યું છે. અમે હંમેશા જવાબદાર ઠેરવવાની માંગણી કરી રહ્યા હતા. તેની નિષ્ફળતાના કારણે હવે જે પણ થઈ રહ્યું છે તે થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે 'હવે સ્થિતિ બંને તરફ ખુબ ખરાબ છે.'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube