ઈસ્લામાબાદ/નવી દિલ્હી: પાકિસ્તાન તહરિક એ ઈન્સાફ(પીટીઆઈ)ના પ્રમુખ ઈમરાન ખાને શનિવારે એટલે કે આજે પાકિસ્તાનના 22માં વડાપ્રધાન તરીકે શપથગ્રહણ કર્યાં. ઈસ્લામાબાદ સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં સવારે 9 વાગે શરૂ થયેલા શપથગ્રહમ સમારોહમાં રાષ્ટ્રપતિ મમનૂન હુસૈને તેમને શપથ લેવડાવ્યાં. શપથ ગ્રહણ સમારોહમાં ક્રિકેટરથી રાજનેતા બનેલા નવજોત સિંહ સિદ્ધુ, વસીમ અક્રમ, એક્ટર જાવેદ શેખ, પંજાબના નવા ચૂંટાઈ આવેલા ગવર્નર ચૌધરી સરવર, પંજાબ એસેમ્બલીના સ્પીકર પરવેઝ ઈલાહી, રમીઝ રાઝા અને પીટીઆઈના નેતાઓ ઉપરાંત અન્ય લોકો પણ હાજર રહ્યાં હતાં.  સિદ્ધુએ ત્યાં હાજર પાકિસ્તાનના સેના પ્રમુખ કમર જાવેદ બાજવાને ગળે મળીને મુલાકાત કરી. એટલું જ નહીં તેઓ સમારોહમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ના રાષ્ટ્રપતિ મસૂદ ખાનની બરાબર બાજુમાં બેઠા. જેનાથી દેશમાં મોટો વિવાદ પેદા થયો છે. સોશિયલ મીડિયા પર લોકો ટીકા કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે મસૂદ ખાન પીઓકેના રાષ્ટ્રપતિ છે. તેમને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ભારતના આ ભાગ પર પાકિસ્તાન પોતાનો હક જતાવે છે. આ સાથે જ તે આ વિસ્તારમાંથી ભારતમાં આતંકીઓની ઘૂસણખોરી કરાવે છે. જેના પુરાવા પણ મળી ચૂક્યા છે. વિસ્તારમાં પાકિસ્તાનની છત્રછાયામાં આતંકી સંગઠનોના તાલીમ શિબિર ચાલે છે. 



વાત જાણે એમ છે કે મસૂદ ખાન પીઓકેના 27મા રાષ્ટ્રપતિ છે. ખાને 1980માં પાકિસ્તાનની વિદેશ સેનાને જોઈન કરી હતી. ત્યારબાદ તેઓ અનેક રાજકીય પદો પર રહ્યાં છે. તેઓ 2003થી 2005 સુધી પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા પણ રહ્યા હતાં. તેઓ 2008થી 2012 સુધી ચીનમાં પાકિસ્તાનના રાજદૂત કરીતે રહ્યાં. ત્યારબાદ તેમણે 2015થી 2016 સુધી ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટ્રેટેજિક સ્ટડીઝ ઈસ્લામાબાદના ડાઈરેક્ટર જનરલ તરીકે કામ કર્યું. અત્રે જણાવવાનું કે ઈસ્લામાબાદની આ થિંક ટેંક પાકિસ્તાનના એ ક્ષેત્રીય અને વૈશ્વિક રણનીતિક મામલાઓ પર ઊંડાણ પૂર્વક વિશ્લેષણ કરીને જાણકારી ઉપલબ્ધ કરાવે છે જે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને પ્રભાવિત કરે છે. 



નવજોતસિંહ સિદ્ધુ પહોંચ્યા હતાં શપથગ્રહણ માટે પાકિસ્તાન
આ બાજુ ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા નવજોતસિંહ સિદ્ધુ વડાપ્રધાન તરીકે પાકિસ્તાન તહરિક એ ઈન્સાફના પ્રમુખ ઈમરાન  ખાનના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે શુક્રવારે પાકિસ્તાન પહોંચ્યા હતાં.. સિદ્ધુ વાઘા બોર્ડર દ્વારા લાહોર પહોંચ્યા અને શનિવારે નિર્ધારિત શપથગ્રહણ સમારોહમાં પહોંચશે. લાહોરમાં પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે 'હું મારા મિત્ર (ઈમરાન)ના આમંત્રણ પર પાકિસ્તાન આવ્યો છું. આ ખુબ વિશેષ પળ છે.' તેમણે કહ્યું કે 'ખેલાડીઓ અને કલાકારો અંતર (દેશો વચ્ચે) મીટાવે છે. અહીં પાકિસ્તાની લોકો માટે પ્રેમનો સંદેશ લઈને આવ્યો છું.' સિદ્ધુએ હિંદુસ્તાન જીવે, પાકિસ્તાન જીવે!નો નારો લગાવ્યો હતો. તેમણે ઈમરાન ખાનના નેતૃત્વમાં પાકિસ્તાન તહરિક એ ઈન્સાફ (પીટીઆઈ) સરકાર દ્વારા દેશમાં આવનારા ફેરફારનું સ્વાગત કર્યું હતું.