ઈસ્લામાબાદ: પાકિસ્તાન તહરિક એ ઈન્સાફ(પીટીઆઈ)ના પ્રમુખ ઈમરાન ખાને શનિવારે એટલે કે આજે પાકિસ્તાનના 22માં વડાપ્રધાન તરીકે શપથગ્રહણ કર્યાં. ઈસ્લામાબાદ સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં સવારે 9 વાગે શરૂ થયેલા શપથગ્રહમ સમારોહમાં રાષ્ટ્રપતિ મમનૂન હુસૈને તેમને શપથ લેવડાવ્યાં. શપથ ગ્રહણ સમારોહમાં ક્રિકેટરથી રાજનેતા બનેલા નવજોત સિંહ સિદ્ધુ, વસીમ અક્રમ, એક્ટર જાવેદ શેખ, પંજાબના નવા ચૂંટાઈ આવેલા ગવર્નર ચૌધરી સરવર, પંજાબ એસેમ્બલીના સ્પીકર પરવેઝ ઈલાહી, રમીઝ રાઝા અને પીટીઆઈના નેતાઓ ઉપરાંત અન્ય લોકો પણ હાજર રહ્યાં હતાં.  સિદ્ધુએ ત્યાં હાજર પાકિસ્તાનના સેના પ્રમુખ કમર જાવેદ બાજવાને ગળે મળીને મુલાકાત કરી. એટલું જ નહીં તેઓ સમારોહમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ના રાષ્ટ્રપતિ મસૂદ ખાનની બરાબર બાજુમાં બેઠા. જેનાથી દેશમાં મોટો વિવાદ પેદા થયો છે. સોશિયલ મીડિયા પર લોકો ટીકા કરી રહ્યાં છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં સિદ્ધુને આગળની લાઈનમાં બેસાડવામાં આવ્યાં હતાં. આ અગાઉ તેઓ ત્યારે ચર્ચામાં આવી ગયાં જ્યારે શપથગ્રહણ સમારોહમાં સામેલ થવા ગયેલા સિદ્ધુ પાકિસ્તાની સેના પ્રમુખ કમર જાવેદ બાજવાને ઉષ્માભેર ભેટી પડ્યા હતાં. બાજવાને ગળે મળવાનો સિદ્ધુનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો. વીડિયો વાઈરલ થવાથી હવે સિદ્ધુ ટ્રોલ પણ થવા લાગ્યા છે. 


સમારોહમાં તેઓ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ના રાષ્ટ્રપતિ મસૂદ ખાનની બાજુમાં બેઠા, કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુના બાજવાને ગળે મળવાથી દેશમાં ખુબ ટીકા થઈ રહી છે. સિદ્ધુએ બાજવાને ભેટીને પોતાની પાર્ટી કોંગ્રેસને કફોડી સ્થિતિમાં મૂકી દીધી છે. કોંગ્રેસના નેતાઓ જ તેને ખોટું ગણાવી રહ્યાં છે. જમ્મુ અને કાશ્મીરના કોંગ્રેસ અધ્યક્ષ, ગુલામ અહેમદ મીરે કહ્યું કે નવજોત સિંહ સિદ્ધુ પાર્ટીના મહત્વના અને જવાબદાર વ્યક્તિ છે. આ મામલે ફક્ત તેઓ જ જવાબ આપી શકે છે. તેમણે તેનાથી બચવું જોઈતું હતું. 



અત્રે જણાવવાનું કે શપથ ગ્રહણ સમારોહમાં ઈમરાન ખાને ભારતમાંથી નવજોત સિંહ સિદ્ધુ ઉપરાંત સુનિલ ગાવસ્કર અને કપિલ દેવને પણ બોલાવ્યાં હતાં. જો કે ફક્ત સિદ્ધુ જ સમારોહમાં સામેલ થવા ઈસ્લામાબાદ ગયા હતાં.