નવી દિલ્હી: પાકિસ્તાનમાં ઈમરાન ખાનના નેતૃત્વમાં નવી સરકાર આવ્યાં બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો વધુ સારા થવાની આશા પર પાડોશી દેશના સેના પ્રમુખ કમર જાવેદ બાજવાએ ફરી એકવાર પાણી ફેરવવાનું કામ કર્યું. પાકિસ્તાન સેના પ્રમુખે ફરીથી કાશ્મીર રાગ આલાપ્યો છે. તેમણે કહ્યું કે આઝાદીની લડાઈમાં અમે કાશ્મીરની સાથે છીએ. કાશ્મીરના ભાઈઓ-બહેનોની કુરબાનીને અમે સલામ કરીએ છીએ. અમે સરહદ પર વહેલા લોહીનો હિસાબ લઈશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત સાથે 1965ના યુદ્ધની 53મી વર્ષગાઠના અવસરે શુક્રવારે પાકિસ્તાનમાં આયોજિત રક્ષા દિવસ કાર્યક્રમમાં પાકિસ્તાન સેના પ્રમુખે આ કડવા બોલ કહ્યાં. તેમણે ફરીથી કાશ્મીર રાગ આલાપતા કહ્યું કે 'અમે કાશ્મીરના ભાઈઓ અને બહેનો દ્વારા તેમની આઝાદીની લડાઈમાં અપાયેલી કુરબાનીને સલામ કરીએ છીએ.'


તેમણે કહ્યું કે છેલ્લા બે દાયકાથી યુદ્ધની પદ્ધતિઓ બદલવામાં આવી છે. પાકિસ્તાનને નબળુ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનની રક્ષામાં મુલ્કે અત્યાર સુધી 76,000 સૈનિકો ખોયા છે. તેમની કુરબાની બેકાર જશે નહીં. રાજધાની ઈસ્લામાબાદમાં આયોજિત કાર્યક્રમમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન, રાષ્ટ્રપતિ મમનૂન હુસૈન પણ હાજર હતાં. 



આ બાજુ વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે પાકિસ્તાન શાંતિપૂર્વક સહ અસ્તિત્વમાં વિશ્વાસ કરે છે અને પોતાના પાડોશીઓ અને સમગ્ર દુનિયા સાથે સમાનતાના આધાર પર પારસ્પરિક સહયોગને પ્રોત્સાહન આપવા માંગે છે. કાશ્મીર પર ઈમરાને કહ્યું કે ક્ષેત્રમાં શાંતિ માટે સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવો હેઠળ કાશ્મીર મુદ્દાનું સમાધાન ખુબ જરૂરી છે. તેમણે આગળ કહ્યું કે સરકાર અને સેના વચ્ચે તણાવ એક ખોટો પ્રચાર હતો. જે હવે ખતમ થઈ ગયો છે. તેમણે કહ્યું કે છેલ્લા 15 વર્ષથી પાકિસ્તાનના દુશ્મનોએ દેશને તોડવાની ખુબ કોશિશ કરી પરંતુ સફળ થયા નહીં.