બ્રિટનની ગુપ્તચર એજન્સીઓએ સમુદ્રના ઊંડાણમાં ચીનની હરકતો અંગે એક ચોંકાવનારો રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. રિપોર્ટ મુજબ ચીને પીળા સાગર (Yellow Sea) માં પોતાના દુશ્મનોની સબમરીનોને ફસાવવા અને તેમના છક્કા છોડાવવા માટે એક ખાસ પ્રકારનું ટ્રેપ બનાવ્યું છે જેને ચેન એન્ડ એંકર ટ્રેપ (Chain and Anchor Trap) ના નામથી ઓળખવામાં આવે છે. પરંતુ દુશ્મનો માટે બનાવવામાં આવેલા આ ટ્રેપમાં થોડા સપ્તાહ પહેલા ચીનની પોતાની જ એક ન્યૂક્લિયર સબમરીન ફસાઈ ગઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનામાં ચીનને મોટા પાયે જાનહાનિ થઈ છે. બ્રિટનના એક અત્યંત ગુપ્ત રિપોર્ટ મુજબ પાણીની અંદર ચીનની આ જે ન્યૂક્લિયર સબમરીન ફસાઈ તેના કારણે ચાઈનીઝ નેવીના 22 ઓફિસર, 7 ઓફિસર કેડેટ, 9 પેટી ઓફિસર્સ અને 17 દક્ષ નાવિકોના મોત થયા છે. આ પ્રકારે આ ઘટનામાં ચીનના કુલ 55 જેટલા સૈન્યકર્મીઓના મોત થયા છે. 


હાલ ચીને તો જો કે હંમેશાની જેમ 21 ઓગસ્ટ 2023ની આ ઘટના અંગે ઈન્કાર કર્યો છે. બ્રિટનની ટોપ ક્લાસ ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટમાં કહેવાયું છે કે ચાઈનીઝ નેવીના ઓફિસરોના મોતનું કારણ સબમરીન માં ઓક્સિજન સિસ્ટમમાં આવેલી ખરાબી હતી. આ ટેક્નિકલ ખરાબીના કારણે પાણીની અંદર ફસાયેલી સબમરીનનું આખું વાતાવરણ ગૂંગણામણ થાય તેવું સર્જાઈ ગયું. આ કારણે સૈન્યકર્મીઓને ઓક્સીજન મળી શક્યો નહીં અને તેમના મોત થઈ ગયા. 


બ્રિટનના અખબાર ધ મિરરના રિપોર્ટ મુજબ આ દુર્ઘટનામાં મરનારાઓમાં ચાઈનીઝ પીપલ્સ લિબરેશન આર્મી નેવીના સબમરીન સંખ્યા 093-417 ના કેપ્ટન પણ સામેલ હતા. ચોંકાવનારી વાત એ છે કે જયારે આ ઘટના ઘટી તો ચીને તેનાથી સ્પષ્ટ ઈન્કાર કરી દીધો. એટલું જ નહીં ચીને કથિત રીતે સબમરીનમાં ફસાયેલા નેવી સૈનિકોને રેસ્ક્યૂ કરવા માટે કોઈ પણ પ્રકારની વિદેશી મદદ લેવાની પણ ના પાડી દીધી. ચીનની આ સબમરીન 15 વર્ષથી સર્વિસમાં છે. 


બ્રિટિનની ગુપ્તચર એજન્સીએ આ ઘટના વિશે લખ્યું છે કે 21 ઓગસ્ટના રોજ સ્થાનિક સમય મુજબ 8.12 વાગે પીળા સમુદ્રમાં એક મિશન દરમિયાન આ જહાજ પર દુર્ઘટના ઘટી, જેના પરિણામ સ્વરૂપે 55 લોકોના મોત થયા, જેમાં 22 અધિકારી, 7 અધિકારી કેડેટ, 9 નાના અધિકારી અને 17 નાવિકો સામેલ હતા. મૃતકમાં કેપ્ટન કર્નલ જૂ યોંગ-પેંગ પણ હતા. 


પોતાની જ જાળમાં ફસાઈ ચીની સબમરીન?
રિપોર્ટમાં આગળ લખવામાં આવ્યું છે કે એવું માનવામાં આવી રહ્યું છે કે તેમના મોત સબમરીન પર હાઈપોક્સિયાના કારણે થયા. આ સ્થિતિ સિસ્ટમ ફેલ્યોરના કારણે પેદા થઈ હતી. રિપોર્ટ મુજબ આ સબમરીન ચીની નેવી તરફથી અમેરિકા અને અન્ય દેશોની સબમરીનોને ફસાવવા માટે ઉપયોગમાં લેવાતી ચેઈન એન્ડ એંકર ઓબ્સ્ટેકલ સાથે ભટકાઈ. તેનાથી સબમરીનની સિસ્ટમ ખરાબ થઈ ગઈ. તેની મરામ્મતમાં તથા સબમરીનને સપાટી પર લાવવામાં 6 કલાક લાગ્યા. આ દરમિયાન સબમરીનની ઓક્સિજન સિસ્ટમ ભયંકર રીતે  ખરાબ થઈ ગઈ. 


ચીને જોકે આ ઘટના અંગે અટકળોને સંપૂર્ણ રીતે ફગાવી દીધી છે તથા તાઈવાને પણ ઈન્ટરનેટ રિપોર્ટ્સને ફગાવ્યા છે. પરંતુ યુકેનો દાવો છે કે તેમનો આ રિપોર્ટ ડિફેન્સ ઈન્ટેલિજન્સ જાણકારી પર બહાર પાડવામાં આવ્યો છે. 


શું છે આ Chain and anchor obstacle? 
હવે તમારે એ જાણવું પણ જરૂરી છે કે ચેન એન્ડ એંકર ટ્રેપ શું હોય છે. જેમાં ચીનની આ ન્યૂક્લિયર સબમરીન ફસાઈ ગઈ. વાત જાણે એમ છે કે ચેન એન્ડ એંકર ટ્રેપ સમુદ્રમાં સબમરીનોને તબાહ કરનારું એક ઉપકરણ છે. તેમાં એક ભારે ચેઈન હોય છે જે બે એંકરો વચ્ચે લટકતી હોય છે, જેને સમુદ્રના તળિયે બિછાવી દેવામાં આવે છે. ચેઈનને સામાન્ય રીતે ધાતુના બોલ કે અન્ય ભારે વસ્તુથી બનાવવામાં આવે છે અને તે અનેક માઈલ સુધી લાંબી હોય છે. 


જ્યારે એક સબમરીન ચેન અને એંકર ટ્રેપ સાથે ટકરાય છે ત્યારે તે સરળતાથી તે ચેનમાં ફસાઈ શકે છે. ચેનનું વજન સબમરીનના ભાગોને નુકસાન પહોંચાડી શકે છે અને તે સબમરીનને હલતા પણ રોકે છે. કેટલાક કેસોમાં સબમરીનને ચેન દ્વારા સમુદ્રના તળિયા સુધી ખેંચી પણ શકાય છે. ચેન એન્ડ એંકર ટ્રેપ મોટાભાગે રણનીતિક સ્થાનો પર લગાવવામાં આવે છે. જેમ કે ચોકપોઈન્ટ કે મહત્વપૂર્ણ શિપિંગ લેન પાસે. તેનો ઉપયોગ બંદરો અને અન્ય સંવેદનશીલ વિસ્તારોની સુરક્ષા માટે પણ કરાય છે. બ્રિટનની ગુપ્તચર એજન્સીઓનો દાવો છે કે પીળા સમુદ્રમાં ચીને  આ ટ્રેપ પોતાના દુશ્મનોને ફસાવવા માટે લગાવ્યું હતું. પરંતુ આ વખતે તેમનું જ જહાજ તેમાં ફસાઈ ગયું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube