અફઘાનિસ્તાનઃ તાલિબાને 25 લોકોનું કર્યું અપહરણ, પાંચ પોલીસ અધિકારીઓના મોત
તાલિબાન અને સુરક્ષાદળો વચ્ચે થયેલી અથડામણ દરમિયાન પાંચ પોલીસ અધિકારીઓના મોત થયા છે અને 6 અન્ય ઈજાગ્રસ્ત થયા છે.
કાબુલઃ અફઘાનિસ્તાનના કંધાર અને ઉરોજગન પ્રાંતને જોડતા એક રાજમાર્ગ પર તાલિબાને પાંચ પોલીસકર્મીઓની હત્યા કરી અને છને ઈજાગ્રસ્ત કરી દીધા છે. આ સાથે બસો અને કારમાંથી 25 લોકોનું અપહરણ કરી લીધું છે. એક અધિકારીએ બુધવારે સમાચાર એજન્સીને આ જાણકારી આપી હતી. ઉરોજગનના રાજ્યપાલના પ્રવક્તા દોસ્ત મોહમ્મદ નાયાબે એફેને જણાવ્યું કે, તાલિબાને ઓછામાં ઓછા 25 લોકોનું અપહરણ કરી લીધું છે.
કંધાર પોલીસના પ્રવક્તા જિયો દુર્રાનીએ કહ્યું કે ઘટના મંગળવાર (27 ફેબ્રુઆરી)ના રાતની છે. જ્યારે બંન્ને પ્રાંતો વચ્ચે તાલિબાને કારો અને બસોને રોકી હતી. તેમણે કહ્યું કે અપહરણ કરાયેલા લોકોમાં કેટલાક ડ્યૂટી પરથી રજા પર રહેલા કેટલાક પોલીસ અધિકારીઓ પણ સામેલ છે.
દુર્રાનીએ કહ્યું કે, ચેકપોસ્ટની નજીક તાલિબાન અને સુરક્ષાદળો વચ્ચે થયેલી અથડામણ દરમિયાન પાંચ પોલીસ અધિકારીઓના મોત થયા અને છ ઘાયલ થયા છે. પ્રવક્તાએ કહ્યું કે તાલિબાનીઓએ યાત્રિકો અને સુરક્ષાદળોને ચકમો આપવા માટે પોલીસનો ડ્રેસ પહેર્યો હતો. યાત્રિકોનું અપહરણ કર્યા બાદ તેને કંધાર અને ઉરોજગન પ્રાંતની કોઈ અજાણી જગ્યાએ લઈ જવામાં આવ્યા છે.
રાજમાર્ગ ઉરોજગનના એક અસુરક્ષિત વિસ્તારમાંથી પસાર થાય છે જે વિસ્તારમાં તાલિબાનનું પ્રભુત્વ છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ બુધવાર (28 જાન્યુઆરી)એ 16 વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા માટે વાર્તા શરૂ કરવાના પ્રસ્તાવના ભાગરૂપે તાલિબાનને એક કાયદેસર રાજનીતિક સમૂહના રૂપમાં માન્યતા આપવાની ભલામણ કરી હતી. ગનીની જાહેરાત તાલિબાન દ્વારા અમેરિકાની સાથે પ્રત્યક્ષ સંવાદનો પ્રસ્તાવ આપવાના બે દિવસ પછી આપી હતી.
આ આતંકીઓ દ્વારા પ્રથમ જાહેર રજૂઆત હતી. તાલિબાન વર્ષોથી અમેરિકા અને અફઘાન સરકાર સાથે ચર્ચાને ઠુકરાવી રહ્યું છે. 2015માં નાટોના યુદ્ધ મિશન સમાપ્ત થયા બાદ અફઘાનિસ્તાન અત્યાર સુધીની સૌથી વધુ લોહીલુહાણવાળો સમય જોઈ રહ્યું છે.