ઇસ્લામાબાદ: પાકિસ્તાન હજુ તો પોતાની સમસ્યાઓનું સમાધાન કરવાની સ્થિતિમાં નથી અને ભારત વિરુદ્ધ યુદ્ધ માટેની વાતો કરે છે. પાકિસ્તાનના નવા આર્મી ચીફ તરીકે ગાદી સંભાળતાની સાથે જ જનરલ મુનીરે કહ્યું કે, પાકિસ્તાન ભારત સાથે યુદ્ધ માટે તૈયાર છે. આ નિવેદનને કારણે હાલ દુનિયાભરમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.  પાકિસ્તાનના નવા નિયુક્ત આર્મી ચીફ પણ જૂના જનરલના પગલે ચાલ્યા અને પોતાનું અસલી રૂપ બતાવતા ભારતને ધમકી આપવાનું પસંદ કર્યું. શનિવારે તેમના પ્રથમ એલઓસી પ્રવાસ પર, જનરલ અસીમ મુનીરે કહ્યું કે, જો તેમના પર હુમલો કરવામાં આવે તો તેઓ ભારત સાથે યુદ્ધ માટે તૈયાર છે. મુનીરે કહ્યું, તાજેતરમાં ગિલગિટ બાલ્ટિસ્તાન અને જમ્મુ-કાશ્મીર પર ભારતીય નેતૃત્વ તરફથી બેજવાબદાર નિવેદનો આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જનરલ મુનીરે ધમકી આપી હતી કે પાકિસ્તાનની સશસ્ત્ર દળો તેમની જમીનના એક-એક ઈંચની રક્ષા કરશે. જો અમારા પર યુદ્ધ લાદવામાં આવે તો અમે લડવા તૈયાર છીએ. મુનીરે એલઓસી પર પાકિસ્તાની સેનાની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી. જનરલ મુનીર 24 નવેમ્બરે જનરલ કમર જાવેદ બાજવાનું સ્થાન લીધું છે, જેઓ ત્રણ વર્ષની સેવા બાદ નિવૃત્ત થયા છે. સરહદી વિસ્તારોની મુલાકાત દરમિયાન, આર્મી ચીફ જનરલ મુનીરે સેના પાસેથી એલઓસીની નવીનતમ સ્થિતિ વિશે પૂછપરછ કરી. આ દરમિયાન, તેમણે અધિકારીઓ અને સૈનિકો સાથે વાતચીત કરી, ઉચ્ચ મનોબળ, વ્યાવસાયિક યોગ્યતા અને સેનાની લડાયક તૈયારીની પ્રશંસા કરી. સેનાને સતર્ક રહેવાની પણ સૂચના આપવામાં આવી છે.


 


તેમણે જમ્મુ-કાશ્મીર અને ગિલગિટ-બાલ્ટિસ્તાન અંગે ભારતીય અધિકારીઓના તાજેતરના કેટલાક નિવેદનો વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે જો ભારત કોઈપણ પ્રકારની ભૂલ કરે છે તો પાકિસ્તાન જડબાતોડ જવાબ આપવા તૈયાર છે. તેમણે કહ્યું કે ભારતને તેના ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. આ પહેલા, નિયંત્રણ રેખા પર પહોંચવા પર, આર્મી ચીફનું કોર્પ્સ કમાન્ડર રાવલપિંડી, લેફ્ટનન્ટ જનરલ શાહિદ ઈમ્તિયાઝે સ્વાગત કર્યું. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો કાશ્મીર મુદ્દે અને પાકિસ્તાન તરફથી થતા સીમાપાર આતંકવાદને લઈને તણાવપૂર્ણ છે. ભારતે પાકિસ્તાનને કહ્યું છે કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશ દેશનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો હતો અને રહેશે.