લોકસભા-2019 અમરેલી બેઠકઃ વર્તમાન સાંસદ વિ. વર્તમાન ધારાસભ્ચ વચ્ચે જંગ

અમરેલી લોકસભા બેઠક પર 1962થી 2014 સુધીમાં 7 વખત કોંગ્રેસનો અને 5 વખત ભાજપનો વિજય થયો છે, 1989માં માત્ર એક વખત આ બેઠક પર અન્ય પક્ષ જનતા દળના ઉમેદવાર મનુભાઈ કોટડિયાનો વિજય થયો હતો. આ વખતે આ બેઠક પર વર્તમાન સાંસદ વિરુદ્ધ વર્તમાન ધારાસભ્ય વચ્ચેનો જંગ છે 

લોકસભા-2019 અમરેલી બેઠકઃ વર્તમાન સાંસદ વિ. વર્તમાન ધારાસભ્ચ વચ્ચે જંગ

ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ અમરેલી લોકસભા બેઠક પર 1962થી 2014 સુધીમાં 7 વખત કોંગ્રેસનો અને 5 વખત ભાજપનો વિજય થયો છે, 1989માં માત્ર એક વખત આ બેઠક પર અન્ય પક્ષ જનતા દળના ઉમેદવાર મનુભાઈ કોટડિયાનો વિજય થયો હતો. આ વખતે આ બેઠક પર ભાજપ દ્વારા તેમના છેલ્લી બે ટર્મથી ચૂંટાતા આવેલા નારણભાઈ કાછડિયાને ત્રીજી ટર્મ માટે રીપીટ કરવામાં આવ્યા છે. જેની સામે કોંગ્રેસ દ્વારા રાજ્ય વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અને અમરેલીના ધારાસભ્ય એવા પરેશ ધાનાણીને ઉતારવામાં આવ્યા છે. એટલે કે, અહીં વર્તમાન સાંસદ વિરુદ્ધ વર્તમાન ધારાસભ્ય વચ્ચેનો જંગ છે.

સાંસદનું રિપોર્ટ કાર્ડ
નારણભાઈ કાછડિયા 16મી લોકસભામાં સક્રિય સાંસદ રહ્યા છે. તેમણે સંસદમાં કુલ 565 પ્રશ્નો પુછ્યા છે અને 90 ચર્ચાઓમાં ભાગ લીધો છે. તેમણે એક ખાનગી બિલ પણ સંસદમાં રજૂ કર્યું હતું. 

લોકસભામાં વિધાનસભા બેઠક
અમરેલી લોકસભામાં વિધાનસભાની કુલ 7 બેઠકોનો સમાવેશ થાય છે. આ સાતમાંથી વર્ષ 2017ની રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 5 બેઠક જીતી હતી જ્યારે ભાજપનો બે બેઠક પર વિજય થયો હતો. 
વિધાનસભા બેઠક    વિજેતા પક્ષ
ધારી                      કોંગ્રેસ
અમરેલી                 કોંગ્રેસ
લાઠી                      કોંગ્રેસ
સાવરકુંડલા            કોંગ્રેસ
રાજુલા                   કોંગ્રેસ
મહુવા                    ભાજપ
ગારિયાધાર            ભાજપ

મતદારોની સંખ્યા 
પુરુષ મતદાર      6,75,038
મહિલા મતદાર    6,37,695
કુલ મતદાર        13,12,733

પાટીદારોનું પ્રભુત્વ 
અમરેલી બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ છે. અમરેલીના લોકો સુરતમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત અહીં ખેતી સૌથી મોટો વ્યવસાય છે. ખેતી સાથે સંકળાયેલો તેલની મીલોનો ઉદ્યોગ પણ આ વિસ્તારમાં ધમધમે છે. પાટીદાર અનામત આંદોલન સમયે અમરેલી સૌથી વધુ સક્રિય રહ્યું હતું. આ કારણે જ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને અમરેલી અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં મોટું નુકસાન ભોગવવું પડ્યું હતું. 

કોંગ્રેસ માટે ઉજળા સંજોગો
કોંગ્રેસે તેમના અમરેલીના વર્તમાન ધારાસભ્ય અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને ઉતારીને ભાજપ માટે આ જંગ કપરો બનાવી દેવાયો છે. પરેશ ધાનાણીનું અમરેલીમાં સારું એવું પ્રભુત્વ છે અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને સૌથી વધુ બેઠકો જીતાડવામાં પરેશ ધાનાણીનો મહત્વનો ફાળો રહ્યો છે. આ વિસ્તારમાં પાક વીમાની સમસ્યાઓ, ખેતરમાં પાણીની સમસ્યાઓ, વિજળીની સમસ્યાઓ સહિતના મુદ્દે ખેડૂતોમાં ભાજપ સામે રોષ છે. વળી, પાટીદાર અનામત આંદોલનને કારણે પાટીદારો પણ ભાજપ પ્રત્યે નારાજ છે. 

ભાજપ માટે કપરા ચઢાણ
ભારતીય જનતા પાર્ટીએ ભલે છેલ્લી બે ટર્મથી અમરેલી લોકસબા બેઠક પર વિજય મેળવ્યો હોય. આ વખતે તેણે ત્રીજી ટર્મ માટે પણ છેલ્લી બે ટર્મથી જીતતા આવેલા નારણભાઈ કાછડીયાને ટિકિટ આપવામાં આવી છે, પરંતુ પાટીદારોની નારાજગી ભાજપ માટે મુશ્કેલી સર્જી શકે છે. ગ્રામીણ મતદારો ભાજપથી નારાજ છે, જેની સીધી અસર અમરેલી બેઠક પર થઈ શકે છે. આ ઉપરાંત, 2017ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે અમરેલી લોકસભાની 7માંથી 5માં વિજય મેળવેલો છે, જેથી ભાજપને આ બેઠક પર ફટકો પડવાની પૂરી સંભાવના દેખાઈ રહી છે. 

અમરેલીની સમસ્યાઓ

  • ખેડૂતોની વિજળી, પાણીની સમસ્યા
  • યુવાન વર્ગમાં બેરોજગારીની સમસ્યા
  • શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓનો અભાવ 
  • માળખાત સુવિધાઓ બાબતે પણ અમરેલીમાં ઓછો વિકાસ
  • ટેકાના ભાવે ખરીદીમાં વિસંગતતા અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓ

લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news