Banaskantha: બળવાખોર સદસ્યોને ટેકો કરનાર સામે કાર્યવાહી, ભાજપના બે જિલ્લા હોદેદારો સસ્પેન્ડ

ધાનેરા નગરપાલિકામાં બળવાખોર સદસ્યોને ટેકો કરનાર સામે કાર્યવાહી કરી જિલ્લા ભાજપ પ્રમુખે કડકાઈ દાખવી ભાજપના જ બે જિલ્લા હોદેદારોને સસ્પેન્ડ કરતા જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે

Banaskantha: બળવાખોર સદસ્યોને ટેકો કરનાર સામે કાર્યવાહી, ભાજપના બે જિલ્લા હોદેદારો સસ્પેન્ડ

અલેકશ રાવ/ બનાસકાંઠા: ધાનેરા નગરપાલિકામાં બળવાખોર સદસ્યોને ટેકો કરનાર સામે કાર્યવાહી કરી જિલ્લા ભાજપ પ્રમુખે કડકાઈ દાખવી ભાજપના જ બે જિલ્લા હોદેદારોને સસ્પેન્ડ કરતા જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. બનાસકાંઠા ભાજપના મંત્રી ફાલ્ગુનીબેન ત્રિવેદી તેમજ અનુજાતિ મોરચાના મહામંત્રી રાયચંદભાઈ વાધેલા સામે જિલ્લા પ્રમુખ ગુમાનસિહ ચૌહાણે કડક કાર્યવાહી કરી બંનેને હોદા ઉપરથી સસ્પેન્ડ કર્યા છે.

ધાનેરા નગર પાલિકા ચૂંટણીમાં છેલ્લા કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો છે. કોંગ્રેસના શાસન વખતે વિકાસના કામોમાં ભ્રષ્ટાચારની ભાજપ સદસ્યોએ રજૂઆત કરી હતી. જે બાદ કોંગ્રેસના 15 સદસ્યો સસ્પેન્ડ થયા હતા. જેને લઈને ધાનેરા નગરપાલિકામાં પ્રમુખ માટેની ચૂંટણી 18 જૂને યોજાઈ હતી. જેમાં ભાજપ પક્ષે જ્યોત્સનાબેન ત્રિવેદીને મેન્ડેડ આપ્યું હતું.

જોકે તેમની સામે ભાજપના જ કિરણબેન સોનીએ પ્રમુખ માટે દાવેદારી નોંધાવી હતી અને જેમાં ભાજપના અન્ય 5 સભ્યોએ તેમને પક્ષ વિરોધમાં જઈને ટેકો આપતા ભાજપના બંને ઉમેદવારો માટે મતદાન થતાં બંનેને 6-6 સભ્યોના મત મળતાં ટાઈ થઈ હતી. જે બાદ ચિઠ્ઠી ઉછાળતા બળવાખોર કિરણબેન સોની પાલિકાના પ્રમુખ બન્યા હતા.

જો કે, ભાજપ પક્ષે ધાનેરા પાલિકાના પ્રમુખ સહિત 6 સભ્યોને સસ્પેન્ડ કર્યા હતા. ત્યારબાદ જિલ્લા ભાજપે પક્ષ વિરોધી કામ કરવા માટે આ સભ્યોને કોને ઉપાસાવ્યા તેની વિગતો મેળવતાં જિલ્લા ભાજપના મંત્રી ફાલ્ગુનીબેન ત્રિવેદી અને અનુજાતિ મોરચાના મહામંત્રી રાયચંદભાઈ વાઘેલાની ભૂમિકા સામે આવતા જિલ્લા ભાજપ પ્રમુખે બને હોદ્દેદારોને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ હોદાઓ ઉપરથી દૂર કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news