પાપા કહેતે હૈ બડા નામ કરેગા...રાજનીતિના એ રાજકુમારો જેમાં કોઈનું નામ ચમક્યું તો કોઈનો ડૂબી રહ્યો છે સિતારો

રાજનીતિમાં કોઈ હંમેશા માટે દોસ્ત કે હંમેશા માટે દુશ્મન હોતું નથી. અહીં બધા જ સ્વાર્થના સગા હોય છે. ત્યારે આ આર્ટિકલમાં એવા રાજકુમારોની વાત કરવામાં આવી છે, જેમાંથી કોઈની નૈયા ડૂબી ગઈ તો કોઈનો થયો સુર્યોદય...

પાપા કહેતે હૈ બડા નામ કરેગા...રાજનીતિના એ રાજકુમારો જેમાં કોઈનું નામ ચમક્યું તો કોઈનો ડૂબી રહ્યો છે સિતારો

જયેશ જોશી, અમદાવાદઃ શિવસેનાના સંસ્થાપક રહેલા બાળ ઠાકરેના પુત્ર ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી ચૂક્યા છે. તેની સાથે જ રાજનીતિમાં વધુ એક પુત્રના હાથમાંથી સત્તા નીકળી ગઈ. રાજનીતિમાં અનેક એવા પુત્ર છે જેમના હાથમાંથી પિતાની તૈયાર કરવામાં આવેલી રાજકીય જમીન ખસી ગઈ. તો કેટલાંક એવા પુત્ર છે જેમણે રાજનીતિમાં પોતાનો એક અલગ જ મુકામ બનાવ્યો. જમ્મુ કાશ્મીરથી લઈને ઓડિશા સુધી અને આંધ્ર પ્રદેશથી લઈને અસમ સુધી એવા નેતા અને તેમના પુત્રનો સમાવેશ થાય છે. ત્યારે કોણ છે રાજનીતિના ધુરંધર નેતાઓના રાજકુમારો એ જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો જ પડશે.

1. ઉદ્ધવ ઠાકરે - પાર્ટીને એકજૂટ રાખવાનો પડકાર:
ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું. કેમ કે પાર્ટીના 40 ધારાસભ્યોએ ઉદ્ધવ સરકારનો સાથ છોડી દીધો અને એકનાથ શિંદેનો હાથ પકડી લીધો. હવે ઉદ્ધવ ઠાકરે સામે શિવસેનાને એકજૂટ રાખવાની અને શિવસૈનિકોને પોતાનામાં વિશ્વાસ મજબૂત કરવાનો પડકાર છે. ઉદ્ધવ પર પાર્ટીના સિદ્ધાંતો સાથે સમજૂતી કરવાનો આરોપ પણ લાગ્યો છે. એવામાં ઉદ્ધવ સામે બેવડો પડકાર છે.

2. રાહુલ ગાંધી - કોંગ્રેસના અચ્છે દિન ક્યારે આવશે:
કેન્દ્ર સરકારના તમામ પ્રયાસો છતાં રાહુલ ગાંધી પોતાના પરિવારના ભૂતકાળની આજુબાજુ પણ જોવા મળતાં નથી. પાર્ટી અધ્યક્ષનું પદ સંભાળ્યું અને લોકસભા ચૂંટણીમાં હાર મળી. 2019માં સામાન્ય ચૂંટણીમાં પરાજય પછી પાર્ટી અધ્યક્ષ પદ છોડ્યા બાદ હજુ સુધી પાર્ટી માટે કોઈ કમાલ કરી શક્યા નથી. જેના કારણે પાર્ટીના પોતાના બળે આખા દેશમાં માત્ર બે રાજ્યમાં જ સરકાર બચી છે. રાહુલ ગાંધીને ફરી અધ્યક્ષ પદ સોંપવાની માગણી ઉઠી રહી છે. એવામાં પાર્ટીના એક જૂથને આશા છે કે રાહુલ ફરી એકવાર પાર્ટીના અચ્છે દિન લાવવામાં મદદગાર સાબિત થશે.

3. અખિલેશ યાદવ - પોતાનો ગઢ ગુમાવ્યો, પાર્ટી કેવી રીતે બચશે:
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવને લોકસભાની પેટાચૂંટણીમાં મોટો ઝટકો લાગ્યો. પાર્ટીને પોતાના ગઢ આઝમગઢની સાથે રામપુરમાં પણ હારનો સામનો કરવો પડ્યો. અખિલેશ યાદવ સતત બે ચૂંટણી હારી ચૂક્યા છે. જોકે આ વખતે પાર્ટીએ શાનદાર પ્રદર્શન કરતાં 111 બેઠક જીતી. પરંતુ પાર્ટી સત્તાથી દૂર રહી. હવે પિતા મુલાયમ સિંહની પાર્ટીને અખિલેશ કેવી રીતે આગળ વધારશે તે સૌથી મોટો પડકાર છે.

4. ઉમર અબ્દુલ્લા - માર્ગ કાંટાળો, કેવી રીતે જીત મળશે:
જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370ની નાબૂદી પછી નેશનલ કોન્ફરન્સ અને ઉમર અબ્દુલ્લાની રાજનીતિનો માર્ગ મુશ્કેલ થઈ ગયો છે.
ઉમર અબ્દુલ્લા પોતે પણ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તો પિતા ફારુક અબ્દુલ્લા પણ કાશ્મીરના મુખ્યમંત્રી રહ્યા છે. સ્થાનિક ચૂંટણીમાં તો પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું હતું. પરંતુ શું સીમાંકન પછી યોજાનારી ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ પોતાનો જાદુ બતાવી શકશે. જો ચૂંટણીમાં પાર્ટી સારું પ્રદર્શન નહીં કરે તો ઉમર અબ્દુલ્લાના રાજકીય કેરિયર પર પૂર્ણ વિરામ મૂકાઈ જશે.

5. તેજસ્વી યાદવ - પિતાનો વારસો બચાવવાનો પડકાર:
તેજસ્વી યાદવ પિતા લાલુ પ્રસાદ યાદવની છબીમાંથી અલગ પોતાની ઓળખ બનાવવામાં સક્રિય છે. છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીએ ધમાકેદાર પ્રદર્શન કર્યું પરંતુ સત્તા સુધી પહોંચી શક્યા નહીં. તેજસ્વીને લાલુ પોતાના રાજકીય વારસદાર જાહેર કરી ચૂક્યા છે. એવામાં તેજસ્વી પર પોતાના પિતા પછી પાર્ટીને એકજૂટ રાખીને સત્તામાં પાછો ફરવાનો મોટો પડકાર છે.

6. સચિન પાઈલટ - રાજસ્થાનના સીએમ પદ પર નજર:
સચિન પાઈલટ કોંગ્રેસના દિગ્ગજ નેતા સચિન પાઈલટના પુત્ર છે. અવારનવાર એ વાતની ચર્ચા થાય છેકે કેન્દ્ર સરકારમાં મંત્રી રહી ચૂકેલા સચિન પાઈલટની નજર પ્રદેશના મુખ્યમંત્રી પદ પર છે. રાજસ્થાન કોંગ્રેસમાં સચિન પાઈલટ અને અશોક ગહલોતની વચ્ચે ખેંચતાણ કોઈનાથી છૂપી નથી.

7. ગૌરવ ગોગોઈ - એનજીઓ છોડી રાજનીતિમાં એન્ટ્રી:
અસમના પૂર્વ મુખ્યમંત્રી તરૂણ ગોગોઈના પુત્ર ગૌરવ ગોગોઈ અસમના કાલિયાબોર સીટ પરથી બે વખત સાંસદ બન્યા છે. રાજનીતિમાં પ્રવેશ પહેલાં ગૌરવ એરટેલ કંપનીમાં નોકરી કરતા હતા. તે સિવાય તે એનજીઓ પ્રવાહ સાથે જોડાયા હતા.

8. નવીન પટનાયક- પહેલા બીજુ હવે નવીનનો જોડ નહીં:
નવીન પટનાયક ઓડિશાના દિગ્ગજ નેતા બીજુ પટનાયકના પુત્ર છે. નવીન પટનાયકે પિતાના નિધન પછી 1997માં રાજનીતિમાં એન્ટ્રી કરી હતી. 1998માં તેમણે પોતાના પિતાના નામ પરથી બીજુ જનતા દળની રચના કરી. નવીન ઓડિશાના સૌથી વધારે પાંચ વખત મુખ્યમંત્રી રહેનારા રાજનેતા છે.

9. જગનમોહન રેડ્ડી- વાયએસઆરના માર્ગ પુત્ર જગન:
જગન મહોન રેડ્ડી આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાયએસઆર રેડ્ડીના પુત્ર છે. પિતાના મૃત્યુ પછી કોંગ્રેસથી અલગ થઈને જગન મોહને પોતાની અલગ ઓળખ બનાવી છે. તેલંગાણાથી અલગ થયા પછી પાર્ટીને એકજૂટ રાખીને નિર્વિવાદ નેતાના રૂપમાં જગન ઉભર્યો છે.

10. જ્યોતિરાદિત્ય સિંધિયા - કોંગ્રેસનો હાથ છોડીને કમળનો સાથ પકડ્યો:
કોંગ્રેસના એક સમયના દમદાર નેતા માધવ સિંધિયાના પુત્ર છે જ્યોતિરાદિત્ય સિંધિયા. જ્યોતિરાદિત્ય કોંગ્રેસમાં લાંબા સમય સુધી રહ્યા. કેન્દ્રીય મંત્રી પણ બન્યા. પરંતુ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનતાં કમલનાથને મુખ્યમંત્રી બનાવ્યા. અને જયોતિરાદિત્ય સિંધિયાને ખાલી હાથ રહેવું પડ્યું. તેનાથી નારાજ થઈને તેમણે ધારાસભ્યો સાથે પાર્ટી છોડી દીધી. જેના કારણે કમલનાથની સરકાર પડી ગઈ. ત્યારબાદ તેમણે કમળનો સાથ પસંદ કર્યો. હાલમાં તે કેન્દ્રની સરકારમાં નાગરિક ઉડ્ડયન મંત્રી છે.

11. એમકે સ્ટાલિન - ડીએમકેને સત્તામાં લાવ્યા:
એમકે સ્ટાલિન તમિલનાડુના મુખ્યમંત્રી છે. ડીએમકેમાં પોતાના પિતા પછી મોટા ભાઈની સાથે વિવાદ છતાં પાર્ટીને એકજૂટ રાખવામાં સફળ રહ્યા. એટલું જ નહીં સ્ટાલિને પાર્ટીને ફરીથી સત્તામાં વાપસી કરાવી. હાલમાં તમિલનાડુમાં ડીએમકે-કોંગ્રેસની ગઠબંધન સરકાર છે. જેમાં ડીએમકેએ 133 બેઠકો મેળવી.

12. કોનરાડ સંગમા - પિતાના નકશે કદમ પર આગળ વધ્યા:
કોનરાડ સંગમા મેઘાલયના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા પીએ સંગમાના પુત્ર છે. સંગમાએ સોનિયા ગાંધીના વિદેશી મૂળના મુદ્દા પર કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો. પછી તેમણે નેશનલ પીપલ્સ પાર્ટી બનાવી હતી. 2016માં સંગમાના મૃત્યુ પછી કોનરાડ સંગમા તેના અધ્યક્ષ બન્યા. કોનરાડ પોતાના પિતાના રાજકીય વારસાને આગળ વધારતાં અત્યારે મેઘાલયના મુખ્યમંત્રી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news