નવી દિલ્લીઃ ગુજરાતના ખેડૂતોને ટૂંકી મુદતનું  રૂ.3 લાખ સુધીનું ધિરાણ 0 ટકા એ આપવામાં આવે છે. જે અંતર્ગત વર્ષ 2022-23  માં રૂ.1611 કરોડની વ્યાજ રાહત ચુકવાયેલ છે. અને વર્ષ 2024-25 ના વર્ષમાં સદર યોજનામાં બજેટમાં રૂા.1140 કરોડની જોગવાઈ સુચવેલ છે. રાજયમાં જિલ્લા/તાલુકા ખરીદ વેચાણ સંઘો આર્થિક રીતે વધુ મજબુત બને અને તેના થકી ખેડૂતોને વધુ આર્થિક લાભ થાય અને વધુ સારી ઉત્તમ સેવાઓ મળી શકે તે માટે આ સંઘોને તેમના વિવિધ પ્રોજેક્ટ માટે 50 % કેપીટલ સહાયની યોજના અમલમાં મુકવામાં આવેલ છે. સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ખેડૂતો તથા ખેડૂતો માટેની સહકારી મંડળીઓને અનાજ સંગ્રહ શક્તિમાં વધારો કરવા ગોડાઉન બાંધવા માટેની 25% કેપીટલ સબસીડીની સહાયની યોજના અમલમાં મુકવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યાર સુધી કેટલાં લોકોએ કરાવી નોંધણી?
સહકાર રાજ્ય મંત્રીએ ઉમેર્યું હતું કે, તમામ જિલ્લાના જિલ્લા રજિસ્ટ્રારને નોડલ અધિકારી બનાવવામાં આવેલ છે, તથા તમામ નોડલ અધિકારીની કચેરીને કેટલાક ઈન્ટર્ન્સની ફાળવણી કરવામાં આવેલ છે કે જેઓએ  ડેટા એન્ટ્રી કરેલ છે, રાજ્યમાં 81 હજાર થી વધુ સહકારી મંડળીઓની ડેટા એન્ટ્રી થયેલ છે, આમ મહત્તમ કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. રાજય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ સહકારી મંડળીઓની નોંધણી માટેના પોર્ટલ પર વર્ષ 2017 થી અત્યાર સુધીમાં 11 હજાર થી પણ વધારે સહકારી મંડળીઓની નોંધણી કરવામાં આવેલ છે. 


કેટલાં કેસોનો કરવામાં આવ્યો નિકાલ?
સહકાર વિભાગ દ્રારા પણ સહકારી મંડળીઓ તથા નાણા-ધીરધાર સંલગ્ન કામગીરીને વધુ સુવ્યસ્થિત કરવા માટે ભૂપેન્દ્રભાઇ પટેલ ના હસ્તે ઇ-કોઓપરેટીવ પોર્ટલનું લોંચિંગ કરવામાં આવ્યું હતું, જેમાં અત્યાર સુધીમાં 7099 નાણા ધીરધાર કરનારાઓ દ્વારા રજિસ્ટ્રેશન કરવામાં આવેલ છે, જ્યારે બોર્ડ ઓફ નોમીનીઝ ના કુલ 340 લવાદ કેસોની અપીલ પૈકી 203 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે.


કેટલી રકમ ચુકવવામાં આવી?
બજાર સમિતિઓમાં ઓકશન શેડ, આંતરીક પાકા રસ્તાઓ, માર્કેટીંગ યાર્ડ, ફેન્સીંગ દિવાલ ગેટ સાથે, ખેડૂત કેન્ટીન, ઓફિસ બિલ્ડીંગ, શોપ કમ ગોડાઉન, લાઈટ વ્યવસ્થા, ફાર્મિગ ટેસ્ટીંગ સેન્ટર, શૌચાલય અને બાથરૂમ, ખેડૂત ગોડાઉન સહિતની વિવિધ માળખાગત સુવિધાઓ પુરી પાડવાના કામ હાથ ધરવામાં આવી રહ્યા છે.જે માટેની અત્યાર સુધી કિસાન કલ્પવૃક્ષ યોજના હેઠળ રાજયની કુલ-188 બજાર સમિતિઓને રૂ.333.53 કરોડ જેટલી માતબરની સહાય ચુકવવામાં આવેલ છે. 


બજાર સમિતિઓને આધુનિકરણ માટે રૂ.77.46 કરોડ જેટલી સહાય ચુકવવામાં આવી છે. કોરોના સમયમાં નાના વેપારીઓ અને જરૂરીયાતમંદને મદદરૂપ થવા માટે સરકાર દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-1 અને 2 અમલમાં મુકી છે. જેમાં અત્યાર સુધી 2,06,290 લાભાર્થીઓને રૂપિયા 2506.99 કરોડનું ધિરાણ મંજૂર કરવામાં આવ્યું છે.જે માટે રાજ્ય સરકાર દ્વારા 288.31 કરોડની વ્યાજ સહાયનું ચુકવણું કરવામાં આવ્યું છે.


તેમણે કહ્યું હતું કે,નાના વેપારીઓને આપવામાં આવેલ આ લોન માટે કોઈ જામીનગીરી લેવામાં આવી નથી અને વર્ષ 2020માં આપેલ આ લોનો સંપૂર્ણ સમય મર્યાદામાં પરત મળેલ છે. જે ગુજરાતના નાના વેપારીઓની પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ છે. ખેડૂતોએ બનાવેલ ગોડાઉન ઉપર ગોડાઉન બાંધકામના 25% મુજબ કેપીટલ સબસીડી મહત્તમ રૂ.5.00 લાખની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત લાભાર્થીઓને રૂ.32.91 કરોડની સહાય આપવામાં આવેલ છે. રાજ્યમાં ખેડૂતોની પાક સંગ્રહની કરવાની ક્ષમતામાં 2,36,000 મેટ્રીક ટનનો વધારો થયેલ છે, જે અમારી સરકારની અભૂતપૂર્વ સિદ્ધિ છે.