આણંદ: કેમલ મિલ્ક તેના અનેક આરોગ્યલક્ષી ગુણો માટે જાણીતું છે. તેમાં ભરપૂર ખનિજો આવેલા છે જે આરોગ્ય સુધારવામાં મદદરૂપ થવાની સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. વિવિધ સંસ્કૃતિઓમાં હજારો વર્ષોથી વપરાતા આ દૂધ અંગે આયુર્વેદના પુસ્તકોમાં પણ તેના ઘણાં લાભ દર્શાવવામાં આવ્યા છે. એશિયાની જાણિતી અમૂલ ડેરીએ માર્કેટમાં ઉંટના દૂધમાંથી બનેલી ચોકલેટ બાદ હવે લાંબા સમય સુધી ચાલનાર આઇસક્રીમ અને મિલ્ક પાવડર લોન્ચ કર્યો છે. અમૂલે કેમલ મિલ્ક પાવડરથી પહેલી વાર દેશના લોકોને ઉંટના દૂધના સ્વાદ અને પોષણને જાણવાનો મોકો આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમલ મિલ્ક ઈન્સ્યુલીન જેવું પ્રોટીન ધરાવે છે, જે લોહીમાં સુગરનું પ્રમાણ મેનેજ કરે છે. કેમલ મિલ્ક પાવડર એક એવી પ્રોડક્ટ છે, જે ડાયાબિટીસને કંટ્રોલ કરવા ઉપરાંત તેને રોકવામાં પણ મદદરૂપ બને છે. જેમ વ્યક્તિઓમાં જાગૃતિ વધતી જાય છે તેમ કેમલ મિલ્ક પ્રોડ્કટની માંગ પણ વધતી જાય છે. વધતી માંગ, બજારમાં તેનો મર્યાદિત પૂરવઠો અને હાલમાં સક્રિય કંપનીઓ દ્વારા ઉંચા ભાવને કારણે અમૂલને આ બજારમાં પ્રવેશવામાં ઘણી તકો દેખાઈ રહી છે.


અમૂલ મિલ્ક પાવડરના 25 ગ્રામના પેકની કિંમત રૂ.35 રાખવામાં આવી છે (દર100 ગ્રામ દીઠ રૂ.140), જે હાલ બજારમાં ઉપલબ્ધ સમાન પ્રકારની પ્રોડક્ટસની તુલનામાં ચોથા ભાગ જેટલી છે. અમૂલ કેમલ મિલ્ક પાવડરથી દેશના લાખો લોકો સૌ પ્રથમ વખત કેમલ મિલ્કના ગુણો અંગે જાગૃતિ મેળવશે. 
અમૂલ કેમલ મિલ્ક પાવડર ગુજરાતના કચ્છ જીલ્લામાં આવેલા ઊંટડીના દૂધમાંથી બનાવવામાં આવે છે. આ દૂધનું અમૂલના આધુનિક મિલ્ક પ્લાન્ટમાં પાવડરમાં રૂપાંતર થાય તે પહેલાં તેને આકરી ચકાસણીમાંથી પસાર થવું પડે છે. 


અત્રે ઉલ્લેખનીય છે કે અમૂલે પાવડરમાં કોઈપણ પ્રકારની ખાંડ અથવા તો પ્રિઝર્વેટીવ્ઝ ઉમેર્યા વગર શક્ય તેટલા કુદરતી સ્વરૂપે જાળવવાનો પ્રયાસ કર્યો છે. આ દૂધ પાવડર ઉત્પાદનની તારીખથી 8 માસ જેટલી શેલ્ફલાઈફ ધરાવે છે. આ પ્રોડક્ટ કચ્છના દૂધ ઉત્પાદકો માટે આશીર્વાદરૂપ બનશે, કારણ કે અમૂલના દેશવ્યાપી વિતરણ નેટવર્કને કારણે દૂધની શેલ્ફલાઈફ અને ઉપલબ્ધિમાં વધારો થશે. આ પ્રોડક્ટને દેશના અગ્રણી ઈ-કોમર્સ પ્લેટફોર્મ ઉપર પણ રજૂ કરવામાં આવી છે.


અમૂલનો નવો કેમલ મિલ્ક આઈસ્ક્રીમ 100 ટકા કેમલ મિલ્કમાંથી બનાવ્યો છે. તેમાં ફેટનું ઓછું પ્રમાણ (માત્ર 4.4 ટકા) છે. કોઈ ફ્લેવર કે કલરનો ઉમેરો કરવામાં આવતો નથી. અને આઈસ્ક્રીમ સ્વરૂપે ગ્રાહકોને કેમલ મિલ્કનો અધિકૃત સ્વાદ પ્રાપ્ત થાય છે. આ પ્રોડક્ટ જમ્બો કપ (125 એમએલ) માં રૂ.30ની એમઆરપી પર મળી રહેશે. 


ઊંટનું દૂધ એ ઊંટ પાળનારા લોકો માટે આજીવિકાનું સાધન છે. અમૂલે ઊંટના દૂધની પ્રોડક્ટ વેચવાનો પ્રારંભ કર્યા પછી આ ખેડૂતોના ઊંટના દૂધના ભાવ પણ બમણા થઈ ગયા છે હોવાના કારણે આ ક્ષેત્ર બેઠું થયું છે. ઊંટ પાળનારા લોકોને અગાઉ લીટર દીઠ રૂ.20 થી પણ ઓછો ભાવ મળતો હતો જે હવે વધીને લીટર દીઠ રૂ.50 કરતાં પણ વધુનો ભાવ મળે છે. આ બે નવી પ્રોડક્ટસની રજૂઆતથી કેમલ મિલ્કની માંગમાં વધારો થશે અને કચ્છમાં ઊંટ ઉછેરનારા લોકોને ટેકો મળશે તથા તંદુરસ્ત ઉત્પાદનોના આગ્રહી ગ્રાહકોને તંદુરસ્ત ઉત્પાદનો મળશે.