ભારતીય રિઝર્વ બેંકે ગુરુવારે સતત નવમી વાર બેન્ચમાર્ક વ્યાજદરમાં કોઈ ફેરફાર ન કરવાની જાહેરાત કરી છે. એટલે કે સસ્તા લોન અને ઈએમઆઈ ઓછો થવાની આશા ઠગારી નીવડી અને હજુ ઈન્તેજાર કરવો પડશે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે રેપો રેટ 6.5% રહેશે. આરબીઆઈની MPCએ નીતિગત દરોને જાળવી રાખવા માટે 4-2 બહુમતથી મતદાન કર્યું. જે મોટાભાગના વિશેષજ્ઞોની આશાઓ મુજબ હતું. નવમી વખત (18 મહિના માટે) એવું બન્યું છે કે કેન્દ્રીય બેંકના છ સભ્યોની પેનલે દરોમાં ફેરફાર કર્યો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય બેંકે છેલ્લે ફેબ્રુઆરી 2023માં રેપો રેટ વધારીને 6.5 ટકા કર્યો હતો. ત્યારબાદથી આ જ દર યથાવત છે. ચાલુ નાણાકીય વર્ષ માટે ત્રીજી દ્વિમાસિક મોનિટરિંગ પોલીસીની જાહેરાત કરતા આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે MPC ખાદ્ય ફુગાવા દરમાં વધારા પર નજર રાખશે. આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ માટે વિકાસ અનુમાનને 7.2 ટકા પર અપરિવર્તિત રાખ્યો છે. 


સસ્તા લોનની રાહ જોનારાઓને ફટકો
સસ્તી હોમ લોન,  પર્સનલ લોન કે પછી કાર લોનની રાહ જોનારાઓ માટે આરબીઆઈ તરફથી આ નિર્ણય એક ઝટકા સમાન પણ છે. મોંઘવારીની ચિંતા અને આર્થિક વૃદ્ધિની મજબૂત ગતિ જોતા આ વખતે વ્યાજ દરોમાં ફેરફારની આશા ઓછી જ હતી. ગોલ્ડમેન સેક્સે પહેલેથી જ રેપો રેટના જૂના સ્તર પર રહેવા અંગે સંભાવના વ્યક્ત કરી હતી. મોંઘવારી દરના આંકડા 5 ટકા પર ચાલી રહ્યા છે. મોંઘવારી દર નીચે આવે તો કેન્દ્રીય બેંકને રેપો રેટ ઘટાડવામાં સરળતા રહેશે. 


ડિસેમ્બરમાં થઈ શકે ઘટાડો
બાર્કલેજના રિજીયોનલ ઈકોનોમિસ્ટ શ્રેયા સોધાનીએ કહ્યું કે અમે ડિસેમ્બરની એમપીસી બેઠકમાં રેપો રેટમાં કાપના અમારા પૂર્વાનુમાન પર કાયમ છીએ. જો કે મોંઘવારી આરબીઆઈની અપેક્ષાઓ મુજબ ન રહે તો તેમાં વિલંબ પણ થઈ શકે. સિગ્નેચર ગ્લોબલ (ઈન્ડિયા) લિમિટેડના ફાઉન્ડર અને ચેરમેન પ્રદીપ અગ્રવાલે કહ્યું કે આરબીઆઈ સતત નવમી વખત વ્યાજ દરને સ્થિર રાખવાનો નિર્ણય કરી શકે છે. 


વર્ષમાં 6 વાર થાય છે બેઠક
કેન્દ્રીય  બેંક તરફથી દર વર્ષે 6 વખત મોનિટરી પોલીસીની બેઠક થાય છે. નાણાકીય વર્ષ 2024-25ની આ બીજી એમપીસીની બેઠક થઈ. આ બેઠકમાં રિઝર્વ બેંક તરફથી મોંઘવારી દરને ધ્યાનમાં રાખીને રેપો રેટની સમીક્ષા કરાય છે. જેના પર કોઈ પણ પ્રકારનો નિર્ણય લેતા પહેલા આરબીઆઈ ડિમાન્ડ, સપ્લાય, ઈન્ફ્લેશન અને ક્રેડિટ જેવા અનેક ફેક્ટર્સ ધ્યાનમાં રાખે છે. 


તમારા પર શું અસર પડે?
આરબીઆઈ તરફથી રેપો રેટ ઘટે કે વધે  તેની અસર બેંકો તરફથી અપાતી લોનના વ્યાજ પર પડે છે. રેપો રેટ વધ્યા બાદ બેંકો તરફથી હોમ લોન, ઓટો લોન, અને પર્સનલ લોન સહિત તમામ પ્રકારની  લોન મોંઘી થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો બેંક વ્યાજ દર વધારે છે પરંતુ જો આરબીઆઈ રેપો રેટમાં કાપ મૂકે તો તેનાથી લોનનો વ્યાજ દર ઘટે છે. 


શું હોય છે રેપો રેટ?
જે રેટ પર આરબીઆઈ તરફથી બેંકોને લોન અપાય છે તેને રેપો રેટ કહે છે. રેપો રેટ વધવાનો અર્થ એ છે કે બેંકોને હવે આરબીઆઈ તરફથી મોંઘા ભાવે લોન મળશે. જેના કારણે હોમ લોન, કાર લોન, અને પર્સનલ લોન વગેરેના વ્યાજ દર વધી જશે. જેની તમારા ઈએમઆઈ પર સીધી અસર પડશે.