ચેતન પટેલ/સુરત :કાપડ પર GST વધારવાના સરકારના નિર્ણય સામે સુરતના વેપારીઓએ મોરચો માંડ્યો છે. આજે સમગ્ર સુરત (Surat) માં જીએસટીના વધારા સામે વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. GST વધારાના વિરોધમાં સુરતમાં કાપડ બજારમાં બંધ પાળવામા આવ્યો છે. સુરતના તમામ કાપડ માર્કેટ એક દિવસનો બંધ પાળી વિરોધ કરવામાં આવ્યો છે. 5 ટકાથી GST દર વધારીને 12 ટકા કરતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે. પહેલી જાન્યુઆરીથી નવો GST દર લાગુ થશે. તેથી GST વધારાનો બંધ પાળી સુરતના વેપારીઓ વિરોધ કરી રહ્યાં છે. જોકે, એક દિવસ કાપડ બજાર બંધ રહેતા કરોડો રૂપિયાનું નુકસાન થવાનો ભય છે. છતા એક દિવસની આવક જતી કરીને અને નુકસાની વહોરીને પણ સુરતના વેપારીઓ રોડ પર ઉતર્યા છે. જો GST વધશે તો આગામી દિવસમાં આંદોલન (protest) વધુ ઉગ્ર બની શકે છે તેવી શંકા સેવાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં GST ના વિરોધમાં વેપારીઓ રસ્તા પર ઉતર્યા છે. વિવિધ કાપડ માર્કેટની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ત્યારે સહારા દરવાજા ખાતે વિરોધ પ્રદર્શન કરાયુ હતું. વેપારીઓએ કાળા વાવટા બતાવી વિરોધ દર્શાવ્યો હતો. સુરતમાં 6 લાખ લુમ્સના કારખાના આવેલા છે. આ લુમ્સમાં રોજ 4 કરોડ મીટર કાપડનું ઉત્પાદન થાય છે. ત્યારે આજે કાળા વાવટા બતાવી વિરોધ કરાયો છે. તેમજ આવતીકાલે લુમ્સના કારખાના બંધ રાખવામાં આવશે. 


આ પણ વાંચો : ગુજરાતને બચાવી લો... આવા લોકોને કારણે ફેલાય છે કોરોના, જાહેરમાં કહી દીધું કે...


ગારમેન્ટમાં જીએસટીના વધારાની જાહેરાત થતા જ સુરતના વેપારીઓ ચિંતામાં મૂકાયા છે. તેમને ધંધામા મોટું નુકસાન જાય તેની ભીતિ સેવાઈ રહી છે. આવામાં જીએસટીના જાહેરાતથી જ વેપારીઓ તેનો વિરોધ કરી રહ્યાં છે. ગઈકાલે RRKT માર્કેટમાં હવન કરવામાં આવ્યો હતો. વેપારીઓએ કહ્યું કે, સરકારને સદબુદ્ધિ આવે તે માટે હવન કરાયો હતો. 



ઉલ્લેખનીય છે કે, 1 જાન્યુઆરીથી કાપડ પર 12% GST લાગુ થશે. આ પહેલા 5 ટકા જીએસટી હતો. 1 જાન્યુઆરી 2022થી કાપડ ઉદ્યોગની વેલ્યુ ચેઇન પર 12 ટકાના જીએસટી દરના વિરોધમાં ટેકસટાઇલ ફેડરેશન ઓફ સુરત ટ્રેડર્સ (ફોસ્ટા) દ્વારા આજે શહેરની તમામ 170 કાપડ માર્કેટની 70 હજારથી વધુ દુકાનો બંધ રાખવા એલાન આપવામાં આવ્યું છે. જીએસટી કાઉન્સિલમાં સુરતના વેપારીઓ દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી હતી. છતા સરકારે જીએસટી ઘટાડાની હજી સુધી કોઈ જાહેરાત કરી નથી. ગઈકાલે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ એક કાર્યક્રમમાં જણાવ્યુ હતું કે, સુરતના વેપારીઓની દ્વિઘા સમજીને ગુજરાત સરકાર દ્વારા પત્ર લખીને રજૂઆત કરવામાં આવશે.