નવનીત દલવાડી, ભાવનગર: ભાવનગરના સિહોરમાં ગત રાત્રીના એક સામાન્ય બાબતે ખૂની ખેલને અંજામ આપવામાં આવ્યો હતો. સિહોરની ખ્યાતનામ સર્વેાત્તમ ડેરી નજીક સર્વોતમ ડેરીના સુપરવાઈઝરને થોડા દીવસ પહેલા દૂધ ભરવા બાબતે એક ભરવાડ શખ્સ સાથે બોલાચાલી થઇ હતી. જેની દાઝ રાખી સુપરવાઈઝર ભાવેશ જોશી કે જે પોતાનું કામ પતાવી તેમના ઘર તરફ જઈ રહ્યો હોય ત્યારે ડેરી નજીકના પેટ્રોલપંપ આંતરી આ ભરવાડ ઇસમે છરીના ઘા ઝીંકી તેની ઘાતકી હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિહોરમાં ગત મધરાત્રીએ એક ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં અમુલ દુધની પેટા બ્રાંચ એવી સર્વોત્તમ ડેરીના દૂધ ભરવા વિભાગના સુપરવાઈઝર ભાવેશ જોશી નામના યુવકને તીક્ષ્ણ હથિયાર ના ઘા ઝીંકી હત્યા કરી નાખવામાં આવી હતી. ભોપા ભરવાડ નામના શખ્સે આ ઘટનાને અંજામ આપ્યો હતો. જયારે આ  બનાવને પગલે સિહોર શહેર અને પંથક ખળભળાટ મચી જવા પામ્યો હતો. સિહોર શહેરમાં આવેલ સર્વેાત્તમ ડેરીમાં કામ કરતા પાલીવાલ યુવાનને ગત મોડીરાત્રીના ડેરીની બાજુમાં જ આવેલ પેટ્રોલપંપ પાસે છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી કરપીણ હત્યા કરી દેવાતા ચકચાર મચી ગઇ છે. 


ભાવનગર જિલ્લામાં અમુલ ડેરીની બ્રાંચ એવી સિહોરની સર્વેાત્તમ ડેરીમાં ભાવેશભાઇ બાલાશંકર જોશી (ઉ.વ.૩ર) ઓફીસનું કામકાજ સંભાળી રહ્યા હતા જેમાં અહીં આવતા દુધ ભરવા અને દુધ લેવાના પીકઅપ વાનનો ક્રમ સાચવવાનો અને અન્ય કામ તેઓના શીરે હોય. જેમાં ભાવેશભાઇને છ દિવસ પૂર્વે રાજપરા ખોડીયાર ગામના ભોપા ભરવાડ સાથે દુધના પીકઅપ વાનના વારા અને ગાળો બોલવા બાબતે થયેલ માથાકૂટ થઇ હતી. જેની દાઝ રાખી ગત રાત્રીના ભાવેશ પોતાના ઘરે રાત્રીના બે કલાકે ડેરી માંથી જવા નીકળ્યો હતો ત્યારે તેની ડેરી નજીકના પેટ્રોલપંપ પાસે અગાઉથી રાહ જોઇને બેઠેલા ભોપા ભરવાડે તેને આંતરી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ઘાતકી હત્યા કરી નાસી છૂટ્યો હતો.


હજુ અઢી વર્ષ પૂર્વે જ ભાવેશ જોશીના લગ્ન થયા હતા અને સંતાનમાં એક દીકરી ધરાવે છે. સામાન્ય બાબતમાં ઘાતકી હત્યના બનાવને લઈ ભારે ચકચાર મચી જવા પામી હતી.આ બનાવને પગલે ડેરીના ચેરમેન મહેન્દ્રભાઈ પનોત, હરિભાઈ જોશી સહિતના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. જયારે બનાવની ગણતરીની કલાકોમાં જ પોલીસે આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube