અમદાવાદઃ બોપલમાં એક આધેડ વયના વ્યક્તિએ 12માં માળેથી છલાંગ લગાવીને પોતાનું જીવન ટૂંકાવી દીધુ છે.  બોપલના ઓરચીડ એલીગન્સમાં 12માં માળે પોતાના પરિવાર સાથે રહેતા સુરેશભાઈ ગૌડે સવારે અગમ્ય કારણસર બિલ્ડીંગ પરથી પડતું મૂક્યું.  તેનો પુત્ર કશ્યપ પોતાના પિતાને શોધવા ઘરમાંથી બહાર આવ્યો ત્યારે બિલ્ડીંગ નીચે તેમનો મૃતદેહ મળ્યો હતો. આ ઘટનાની જાણ થતા બોપલ પોલીસ પહોંચી ગઈ હતી. પુત્રની પ્રાથમિક પૂછપરછમાં સુરેશભાઈ ઓઢવમાં એક કંપનીમાં નોકરી કરતા હતા. છેલ્લા દોઢ મહિનાથી ઘરે હતા. જ્યારે 2013માં તેમના પત્નીના અવસાન બાદ તેઓ સતત તણાવમાં રહેતા હતા. સુરેશભાઈનો દીકરો કશ્યપ ઇન્ફો સિટીમાં નોકરી કરે છે. આર્થિક રીતે સધ્ધર સુરેશભાઈના આપઘાતનું કારણ હજુ સ્પષ્ટ નહિ થતા પોલીસે તપાસ શરૂ કરી છે. સુરેશભાઈએ આપઘાત કર્યો છે કે કોઈ અન્ય કારણ છે તેને લઈને પોલીસે પરિવાર અને પાડોશીઓની પૂછપરછ શરૂ કરી છે.