મુસ્તક દલ/જામનગરઃ જામનગરમાં ડેન્ગ્યુનો ભરડો દિવસેને દિવસે વધી રહ્યો છે. ડેન્ગ્યુને કારણે આજે એક છ વર્ષની બાળકીનું મોત થયું છે. ચાલું વર્ષે જામનગરમાં ડેન્ગ્યુને કારણે અત્યાર સુધી કુલ 15 લોકોના મોત થયા છે. જિલ્લામાં વધી રહેલા ડેન્ગ્યુના કેસને કારણે તંત્ર સફાળું જાગ્યું છે. આજે રાજ્યના કેબિનેટ પ્રધાન આરસી ફળદુ તેમજ સાંસદ પૂનમ માડમની અધ્યક્ષતામાં એમપી શાહ મેડિકલ કોલેજ ખાસે આરોગ્ય વિભાગની એક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગર પંથકમાં ડેન્ગ્યુનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે. આજે જામનગર શહેરના ખાખીનગરમાં રહેતી અને જી.જી.હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ 6 વર્ષની બાળકીનું ડેન્ગ્યુના કારણે મોત થયું છે. આમ અત્યાર સુધીમાં ડેન્ગ્યુથી જામનગર પંથકના 15 જેટલા દર્દીઓના મોત નિપજ્યા છે. જેમાં એમબીબીએસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનું પણ બે દિવસ પહેલા ડેન્ગ્યુની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. છેલ્લા ત્રણ દિવસથી દરરોજ ડેન્ગ્યુના 100થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે અને ચાલુ ઓક્ટોબર માસમાં 1100થી પણ વધુ ડેન્ગ્યુના પોઝિટિવ કેસ નોંધાયા છે. જોકે ખાનગી હોસ્પિટલોમાં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા અને અન્ય મોતના તો હજુ આંકડાઓ સામે આવતા જ નથી.

ગુજરાતમાં ડેન્ગ્યુનો અજગર ભરડો, સૌથી વધુ કેસ જામનગરમાં, સૌથી ઓછા ડાંગમાં


શહેરમાં ડેન્ગ્યુના વધતા કેસને લઈને રાજ્યના કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ અને સાંસદ પૂનમબેન માડમ દ્વારા આજે એમ.પી.શાહ મેડિકલ કોલેજ ખાતે આરોગ્ય વિભાગ સાથે તાકીદની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જામનગરના મેયર અને મનપાના કમિશનર પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમીક્ષા બેઠકમાં સ્વચ્છતા પર વધુ ભાર મુકવામાં આવ્યો છે. તેમજ ડોર ટુ ડોર સર્વેલન્સ અને દવાનો છંટકાવ કરવાની કામગીરીમાં વધારો કરવો અને સતત ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરવાનું સૂચન કરવામા આવ્યું છે. જે પ્રકારે નોર્થમાં ડેન્ગ્યુને નાથવામાં દિલ્હીને સફળતા મળી છે તે પ્રકારે જામનગરમાં પણ કામગીરી કરવામાં આવે અને ડેન્ગ્યુને નેસ્તનાબૂદ કરવા માટે તમામ પ્રયાસ કરવામાં આવશે.


જુઓ LIVE TV :