દિવ્યેશ જોષી/રાજકોટ: રાજકોટની શાળા નંબર 81નો વિડીયો વાયરલ થયો હતો. વિદ્યાર્થીઓને સ્કૂલની જોખમી છત પર ચડાવી સફાઈ કરાવવામાં આવતી હોય તે પ્રકારનો વિડીયો વાયરલ થયો હતો. ત્યારે સમગ્ર મામલે વાયરલ વીડિયો મામલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત અને શાસના અધિકારી કિરીટસિંહ પરમાર દ્વારા સ્કૂલની મુલાકાત લેવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીડિયા સાથેની વાતચીતમાં નગર પ્રાથમિક સમિતિના ચેરમેન અતુલ પંડિતે જણાવ્યું હતું કે, વાયરલ વીડીયો બાબતે પ્રાથમિક તપાસ કરતા સ્પષ્ટપણે આચાર્ય દ્વારા ભૂલ થઈ હોવાનું સામે આવ્યું છે. આચાર્યનો સ્કૂલ મેનેજમેન્ટ કમિટી સાથેનો વ્યવહાર, અન્ય શિક્ષક ગણ સાથેનો વ્યવહાર તેમજ વિદ્યાર્થીઓ સાથેનો વ્યવહાર બાબતે તપાસ કરવામાં આવી રહી છે. 



આચાર્યએ સંવેદનશીલતા તેમજ મમતા ભર્યું વર્તન દાખવવું જોઈએ. ત્યારે સમગ્ર મામલે આચાર્ય વિરુદ્ધ પગલાં લેવા માટે શાસનાધિકારીને આદેશ આપવામાં આવ્યા છે. તો બીજી તરફ સમગ્ર મામલે કિરીટસિંહ પરમારનો સંપર્ક સાધવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, ગઈકાલે હું ખુદ સ્કૂલ ઉપર ગયો હતો. જરૂરી નિવેદન નોંધવામાં આવ્યા છે. 


હાલ સમગ્ર મામલે તપાસ શરૂ છે. તપાસના અંતે ક્યા પ્રકારના શિક્ષાત્મક પગલાં ભરવા તે અંગે કશું કહી શકાશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ શાળા નંબર 62 નો વિવાદિત વિડીયો વાયરલ થયો હતો. જે શાળાના આચાર્યને ફરજ મુક્ત કરવાનો નિર્ણય શાસના અધિકારી દ્વારા લેવામાં આવ્યો હતો. જે નિર્ણયને બહાલી અર્થે શિક્ષણ નિયામકને મોકલવામાં આવ્યો હતો.