ચેતન પટેલ/સુરત :સુરતમાં મહાનગરપાલિકાની સામાન્ય સભામાં AAP ના કોર્પોરેટર સેજલ માલવિયા ભાન ભૂલ્યા હતા. AAP ના મહિલા કોર્પોરેટર સેજલ માલવિયાએ સિક્યુરિટી ગાર્ડને બચકું ભર્યું હતું. સામાન્ય સભામાંથી બહાર કઢાતા કોર્પોરેટર સેજલ માલવિયા રોષે ભરાયા હતા. સભા ખંડમાંથી બહાર કઢાતા AAPના કોર્પોરેટર સેજલ માલવિયાને ગુસ્સો આવ્યો હતો. શાસક પક્ષ સાથેની લડાઈમાં સિક્યુરિટી ગાર્ડને નિશાન બનાવ્યા. સિક્યુરિટી ગાર્ડ પર હુમલો થતા શાસક પક્ષના નેતાઓ નારાજ થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપે આ ઘટનાને વખોડી
આપના મહિલા કોર્પોરેટર દ્વારા મહિલા સિક્યુરિટીને હાથમાં બચકું ભરવાનો મામલાને ભાજપે વખોડ્યો હતો. મહિલા કોર્પોરેટરની આ પ્રકારની હરકતથી નારાજગી વ્યક્ત કરી હતી. ભાજપના મહિલા કોર્પોરેટર ઉર્વશીબેને આ મામલાને વખોડયો. તેમણે કહ્યું કે, વિરોધ પક્ષમાં સંસ્કાર નથી. રાજા જેવા હોય તેવી પ્રજા. આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા દ્વારા હાલમાં જ વડાપ્રધાનના માતા વિશે નિંદનીય શબ્દ પ્રયોગ કરાયા હતા. જો ગોપાલમાં જ સંસ્કાર નથી તો બીજામાં કઈ રીતે સંસ્કાર આવે. 



તો બીજી તરફ, સુરતમાં મોડી રાત્રે સુરત મનપા દ્વારા ડિમોલીશનની કામગીરી હાથ ધરાઈ હતી. રીંગરોડ સ્થિત સહારા દરવાજા પાસે વર્ષો જુની બીબી અમ્માની અને હાજી યુસુફની દરગાહ તોડી પડાઈ હતી. સાથે જ મહાકાળી માતાના મંદિરનું પણ ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ સમયે કોઈ અફરાતરફી ન સર્જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલીશનની કામગીરી હાથ ધરાઈ હતી. આ કામગીરી દરમિયાન લોકો અને વાહનોની અવરજવર રોકવામાં આવી હતી. મહાકાળી માતાનું મંદિર ફ્લાય ઓવર બ્રિજને નડતરરૂપ હતું. તો દરગાહ રસ્તાના વચ્ચે હતી. જેથી ટ્રાફિકને અવરોધરૂપ દબાણ તોડવુ જરૂરી હતું. જોકે, શાંતિથી ડિમોલીશનની કામગીરી પૂરી કરાઈ હતી.