રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીનને થતું નુકસાન અટકાવવા તેમજ તેના મારફતે થતી આડઅસરો દૂર કરવા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. કચ્છના ખેડૂતે પણ ચાલુ વર્ષે કેરીનો પાક સારો આવે તે માટે અત્યારથી જ દૂધ સાથે ગોળના મિશ્રણનું બનાવેલા પાણીનું છંટકાવ કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી આત્મનિર્ભર ભારતના આત્મનિર્ભર કૃષિની ખુશીનો આધાર લઇ આજે સમગ્ર દેશ પુન:પ્રાકૃતિક ખેતી તરફ વળી ઝીરો બજેટ ખેતીથી ખેડૂતો પોતાની આવક બમણી કરવા આગળ વધી રહ્યા છે. ખેડૂતોની આવક બમણી કરવા પ્રાકૃતિક ખેતી અમોઘ શસ્ત્ર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીન વધુને વધુ બિનપજાઉ અને ઝેરી બનતી જાય છે. તેમજ જમીનમાં પોષક તત્વોનું પ્રમાણ પણ ઘટતું જાય છે. ભારતની આબોહવા તેમજ અહીંની કૃષિ પદ્ધતિ અનુસાર જૈવિક ખેતી પદ્ધતિ પણ વધુ માફક આવતી નથી જેના વિકલ્પ તરીકે પ્રાકૃતિક ખેતી સર્વશ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓની આડઅસરથી ઉત્પાદિત થયેલાં પાકમાં આડઅસર થવાની શક્યતાઓ રહેલી છે જેથી કરીને હવે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. 



ભુજ તાલુકાના ભૂજોડી પાસે કેરીની વાડી ધરાવતા વેલજીભાઈ ભુડીઆએ પણ પ્રાકૃતિક ખેતી અપનાવી છે અને ચાલુ વર્ષે કેરીનો પાક સારો આવે તે માટે અત્યારથી જ દૂધ સાથે ગોળના મિશ્રણનું બનાવેલા પાણીનું છંટકાવ કરી રહ્યા છે. જેનાથી પાકમાં કોઈપણ જાતની જીવાત કે રોગ ના થાય અને ઓર્ગેનિક પાક મળે. ભારતમાં થતાં ધાન્ય પાકોને નાઇટ્રોજનની વધુમાં વધુ જરૂરિયાત રહે છે જે પ્રાકૃતિક ખેતીના ઉપયોગથી મળી રહે છે. આ પદ્ધતિથી રાસાયણિક પદ્ધતિ જેટલું જ ઉત્પાદન મળી રહે છે. એટલું જ નહિ જમીનમાં પોષક તત્વોમાં અને મિત્ર કિટકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થાય છે જેના કારણે જમીનની ઉત્પાદન ક્ષમતા વધે છે.



આજે રાસાયણિક ખેતીના દુષ્પરિણામોનાં કારણે લોકો અનેક રોગના ભોગ બની રહ્યા છે ત્યારે પ્રાકૃતિક ખેતી તરફ વળવું ખૂબ જ અનિવાર્ય બન્યું છે. પ્રાકૃતિક ખેતીથી જળ, જમીન અને પર્યાવરણનું રક્ષણ થાય છે. આવનારી પેઢીને ઝેરી રસાયણ યુક્ત જમીન આપવી છે કે ઉપજાઉ જમીન તે આપણા ઉપર નિર્ભર કરે છે ઉત્તરોત્તર વધતી બીમારીઓથી બચવું હશે અને આવક પણ વધારવી હશે તો પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે.



પ્રાકૃતિક ખેતી અંગે વાતચીત કરતા વેલજીભાઈએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતર જમીનને આપીએ તો એ આપણને જેમ કેમિકલવાળી વસ્તુઓ શરીરને પાચન નથી થતી તેવી જ રીતે જમીનને પણ આ પાચન થતું નથી અને જમીન છેવટે બીનઉપજાઉ થઈ જાય છે પરિણામે જે પણ પાક જેવું લાગે છે તે કેમિકલ યુક્ત હોય અંતે તે તો નુકશાન કરે છે. કેમિકલવાળા ખાતરથી જમીનનો જે તત્વ છે એ નીકળી જાય છે. જ્યારે ગાય આધારિત ખેતી ના કારણે જમીન સજીવ રહે છે.


ભૂજોડીના ખેડૂત વેલજીભાઈએ છેલ્લાં 21 વર્ષથી બહારથી કોઈ પણ જાતનું ખાતર લેતા જ નથી. ઉપરાંત કોઈ પણ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવી હોય તો પોતાના ખર્ચે નિઃશુલ્ક અને તેના સ્થળ ઉપર યોગ્ય માર્ગદર્શન આપવા પણ જાય છે. આ ઉપરાંત તેઓ જણાવે છે કે ખેડૂત જો આ પ્રાકૃતિક ખેતી તરફ જો નહીં વળે તો દસ વર્ષ પછી તો કંઈ જ રહેશે જ નહીં એટલે બધા ખેડૂત મિત્રોને અપીલ પણ કરી હતી કે પ્રાકૃતિક ખેતી જ એક સારો વિકલ્પ છે છેલ્લા 21 વર્ષથી આ કાર્ય કરી રહ્યા છીએ જેમાં ક્યારે પણ અમને નુકસાની ગઈ નથી.



વેલજીભાઈની વાડીમાં કેરીની 22 એકરમાં ઓર્ગેનિક ખેતી છે જેમાં 4000 વૃક્ષ છે અને તમામ પ્રાકૃતિક ખેતીથી ઉછેરવામાં આવ્યા છે. પ્રાકૃતિક ખેતી કરવાને લીધે અહીંના જમીનમાં અતિવૃષ્ટિ વાવાઝોડું કે અન્ય કોઈ પણ મુશ્કેલી ઊભી થતી નથી. ગમે એટલો વરસાદ પડ્યા પછી પણ ખેતરનું પાણી ખેતરમાં જ ઉતરી જાય છે એટલે પોલાણ વાળી જમીન હોવાથી તેમાં રસ પણ જળવાઈ રહે છે.



વેલજીભાઈ દ્વારા અન્ય ખેડૂતોને પણ એ જ અપીલ કરવામાં આવે છે કે પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ અને સરકાર પણ આ અંગે જો યોગ્ય માર્ગદર્શન સાથે પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરે તો ખેડૂતો માટે અને આમ જનતા માટે પણ ઓર્ગેનિક પાક મળી શકે. વેલજીભાઈ સાથે તેમના પરિવારના અન્ય 10 સભ્યો પણ આવી જ રીતે એમના સાથે આ ખેતીમાં જોડાયેલો છે અને આવી જ રીતે પ્રાકૃતિક ખેતી માટે તનતોડ મહેનત કરે છે અને પોતાનો વારસો સાચવી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube