Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ખુબ જ સારું પ્રદર્શન કર્યું હતું. જો કે આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસની ખુબ જ ઓછી સીટ મળી છે. ગુજરાતમાં કોંગ્રેસની શરમજનક હાર થતા ગુજરાત કોંગ્રેસે હારની જવાબદારી સ્વીકારી હતી. પરંતુ ગુજરાત કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ કારમી હાર મુદ્દે ઈવીએમ પર ઠીકરું ફોડ્યું છે. તેમણે જણાવ્યું છે કે વિદેશમાં પણ ઈવીએમ પર શંકા-કુશંકા થઈ રહી છે. પરિણામો અમે સ્વીકાર કરી રહ્યા છીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસની કારમી હાર બાદ ભરતસિંહ સોલંકીએ ઝી ચોવિસ કલાક સાથે વાતચીત કરી હતી. ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં જે પ્રકારનો માહોલ હતો એમાં કોંગ્રેસ જીતતું દેખાતું હતું. ભાજપમાં નિરસતા જોવા મળતા અમે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. પરંતુ ચમત્કારિક રીતે અલગ પરિણામો આવ્યા. 


તેમણે જણાવ્યું હતું કે, પરિણામોના વિશ્લેષણ કર્યા બાદ હારનું ખરું કારણ સામે આવી શકે છે. વિદેશોમાં પણ ઇવીએમ પર શંકા-કુશંકા થઈ રહી છે. પરંતુ તેમ છતાં ગુજરાતના પરિણામોને અમે સ્વીકારી રહ્યા છીએ. બહુમત લોકો કહી રહ્યા છે કે તેમને કોંગ્રેસને મત આપ્યા છે.


ભરતસિંહ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, હું કોંગ્રેસના સૈનિક છું અને આગળ પણ સૈનિક તરીકે કામ કરતો રહીશ. ઉલ્લેખનીય છે કે, એક તરફ ગુજરાતમાં ભાજપે સૌથી વધુ સીટ મેળવીને જીત મેળવી છે તો બીજી તરફ કોંગ્રેસે રેકોર્ડ ઓછી સીટ મેળવી છે.