• લુણાવાડાના ધૈર્યરાજની જેમ અમદાવાદની અયના મન્સૂરીને પણ ઈલાજ માટે 22 કરોડના ઈન્જેક્શનની જરૂર છે

  • દીકરીની બીમારી જોતા તેમની એક જ ઈચ્છા છે કે, અયના પોતાના પગ પર એકવાર ઉભી રહે


આશ્કા જાની/અમદાવાદ :હાલ ગુજરાતભરમાં ધૈર્યરાજ રાઠોડ નામના બાળકની ચર્ચા ચાલી રહી છે. જે જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. જો તેને સમયસર ઈન્જેક્શન નહિ મળે તો તે મોતના મુખમાં જઈ શકે છે. ત્યારે ગુજરાતમાં એકમાત્ર ધૈર્યરાજ એકલો બાળક નથી, જે આવી ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે. આવી ગંભીર બીમારી ધરાવતી એક બાળકી પણ સામે આવી છે. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતા મન્સુરી પરિવારની દીકરી અયના ત્રણ વર્ષથી SMA Type 2 થી પીડાઈ રહી છે. જેના માટે પણ 22 કરોડ રૂપિયાના ઈન્જેક્શનની જરૂર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જન્મના ત્રણ વર્ષ બાદથી અયના ચાલી શકી નથી 
ધૈર્યરાજને જે બીમારી છે તે SMA Type 1 છે. જ્યારે કે, અયનાને SMA Type 2 બીમારી છે. વેજલપુર વિસ્તારમાં રહેતા જુનૈદ મન્સૂરી અને ઝુવેરિયા મન્સુરીના પરિવારમાં 4 માર્ચ, 2018ના રોજ એક દીકરીનો જન્મ થયો હતો. ભારે લાડકોડથી માતાપિતાએ તેનું નામ અયના રાખ્યું હતું. પરંતું જેમજેમ અયના મોટી થતી ગઈ તેમ તેમ સ્નાયુઓમાં રહેલી નબળાઈ દેખાવા લાગી. એક વર્ષ બાદ જ્યાં બાળક ચાલવા પગ માંડે ત્યાં અયના પોતાના પગ જમીન પર મૂકી શક્તી ન હતી. તેથી ચિંતિત માતા-પિતાએ તબીબોનો સંપર્ક સાધ્યો. પહેલા તો તેમણે આ તકલીફ વિશે અનેક ડોક્ટરોનો સંપર્ક કર્યો. ત્યાર બાદ વીએસ હોસ્પિટલના પીડિયાટ્રીક ડોક્ટરે તેમને SMA Type 2 નો રિપોર્ટ કરાવવા કહ્યું અને તેમાં રિપોર્ટ પોઝિટિવ આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું. 


આ પણ વાંચો : ફૂલ નહિ તો ફૂલની પાંખડી આપો, પણ અમારા બાળકને જીવાડવા થોડી મદદ કરો... લાચાર માતાપિતાની અપીલ


અયનાને માત્ર એક ઈન્જેક્શનની જરૂર છે
SMA Type 2 ની બીમારીમાં બાળક નોર્મલ બાળકની જેમ બોલી શકે છે, બેસી શકે છે. પરંતુ તેના સ્નાયુઓ એટલા બધા નબળા હોય છે તે ચાલી શક્તુ નથી. આ બાળકી અન્ય બાળકોની જેમ ગાર્ડનમાં રમવા માટે પણ પગ ઉપાડી શક્તી નથી. ત્યારે મન્સૂરી પરિવાર પણ બાળકીની સારવાર કરાવવા માંગે છે. પરંતુ આ સારવાર માટે લાગતી માતબર રકમ તેમની પાસે નથી. અયનાને માત્ર એક ઈન્જેક્શનની જરૂર છે, જેની કિંમત સાંભળીને મન્સૂરી પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.



અયનાના સારવાર માટેના ઈન્જેક્શનની કિંમત 22 કરોડ 
અયનાને સારવાર માટે 22 કરોડના ઈન્જેક્શનની જરૂર છે. વિદેશમાં મળતા આ ઈન્જેક્શનની કિંમત 16 કરોડ રૂપિયા છે. જેની ટેક્સ સાથેની કિંમત 22 કરોડ રૂપિયા છે. પરંતુ આટલી મોટી રકમ ભેગી કરવા પરિવાર માટે અશક્ય છે. ત્યારે મન્સૂરી પરિવારે ઝી 24 કલાકના માધ્યમથી લોકોને હાથ જોડીને અપીલ કરી કે, તમારી નાનકડી મદદ પણ અમારી દીકરીને જિંદગી આપી શકે છે. તે તેના પગ પર ઉભી રહી શકે છે. એના માટે તમે મદદ કરો. મન્સૂરી પરિવાર પોતાની વ્હાલસોયી દીકરીને બચાવવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યાં છે. પરંતુ આટલી મોટી રકમ ભેગી કરવી મન્સૂરી પરિવાર માટે અશક્ય વાત છે. અયના મન્સૂરી પરિવારનું પ્રથમ સંતાન છે. તેઓ પોતાની દીકરીને ડોક્ટર બનાવવા માંગે છે. પરંતુ દીકરીની બીમારી જોતા તેમની એક જ ઈચ્છા છે કે, અયના પોતાના પગ પર એકવાર ઉભી રહે. 


આ પણ વાંચો : જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલ બાળક ધૈર્યરાજ માટે ગુજરાતના ખૂણેખૂણેથી મદદ આવી



અયનાની બીમારી ધૈર્ય જેવી, માત્ર પ્રકાર અલગ 
ત્રણ વર્ષની અયના મન્સૂરીની બીમારી લુણાવાડાના ધૈર્યરાજ રાઠોડ જેવી જ છે, પણ તેના પ્રકાર અલગ અલગ છે. ધૈર્યરાજને જે બીમારી છે તે SMA Type 1 છે. જ્યારે કે, અયનાને SMA Type 2 બીમારી છે.