જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલ બાળક ધૈર્યરાજ માટે ગુજરાતના ખૂણેખૂણેથી મદદ આવી

જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલ બાળક ધૈર્યરાજ માટે ગુજરાતના ખૂણેખૂણેથી મદદ આવી
  • ધૈર્યરાજ સિંહ રાઠોડ નામના ત્રણ મહિનાના બાળકને SMA -1 નામની બીમારી છે. જેથી બાળક ઉભુ થઈ શક્તુ નથી
  • કચ્છના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ મુખ્યમંત્રીને ધૈર્યરાજને મદદ કરવા પત્ર લખ્યો

ઝી મીડિયા/બ્યૂરો :તાજેતરમાં 22 કરોડના ઈન્જેક્શનને લઈને મુંબઈનો એક બાળક ચર્ચામાં આવ્યો હતો. ત્યારે ગુજરાતમાં પણ એક બાળક આવી જ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે. જેના ઈન્જેક્શનનો ખર્ચો પોસાતો ન હોવાથી તેના માતાપિતાએ લોકો સામે મદદ માટે હાથ લંબાવ્યા છે. જોકે, ગુજરાતમાં ચારેતરફથી આ બાળકની મદદ માટે લોકો આગળ આવ્યા છે. 

કોણ છે આ બાળક અને તેને શું બીમારી છે
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનો ત્રણ મહિનાનો ધૈર્યરાજ (Dhairyaraj ) ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે. ધૈર્યરાજ સિંહ રાઠોડ નામના ત્રણ મહિનાના બાળકને SMA -1 નામની બીમારી છે. એસ.એમ. એ -1 આ બીમારી એક પ્રકારની સ્નાયુની છે. જેથી બાળક ઉભુ થઈ શક્તુ નથી. તે બીમારી માટે નું ઇન્જેક્શન ભારતમાં અવેલેબલ નથી. ત્યારે વિદેશમાંથી ઇન્જેક્શન મંગાવવું પડે તેમ છે. જે માટે રાઠોડ પરિવારને 22 કરોડ રૂપિયા જેટલી રકમની જરૂર છે. ધૈર્યરાજના માતા-પિતા સામાન્ય પરિવારમાંથી આવી છે. જેથી પુત્રની આટલી મોંઘી સારવાર તેમનાથી શક્ય નથી. જેથી સરકાર ધૈર્યરાજની સારવાર માટે મદદ કરે તેવી અપીલ માતા-પિતા દ્વારા કરવામાં આવી છે. તો બીજી તરફ, આ સમાચાર ચર્ચામાં આવતા ધૈર્યરાજ માટે લોકો દિલ ખોલીને દાન આપી રહ્યા છે.

આ પણ વાંચો : વડોદરા સામૂહિક આપઘાત કેસમાં નવો વળાંક, મૃત પામેલો જ્યોતિષ જીવતો નીકળ્યો

કચ્છના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો
કચ્છના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ મુખ્યમંત્રીને ધૈર્યરાજને મદદ કરવા પત્ર લખ્યો છે. ધૈર્યરાજસિંહ રાઠોડને ઈન્જેક્શન અપાવવા માટે મુખ્યમંત્રીના રાહતફંડમાંથી રકમ ફાળવાય તેવો તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે. અબડાસાના ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રી રાહતફંડમાંથી સહાય આપવા માંગ કરાઈ છે. 

વડાપાઉની લારીના સંચાલકે પોતાની કમાણી દાન કરી 
તો ગઈકાલે  ધૈર્યરાજસિંહની સારવારની મદદ માટે મોટેરામાં સ્ટેડિયમ બહાર લુણાવાડાથી 50 લોકો પહોંચ્યા હતા. આ લોકો પોસ્ટર સાથે અહીં આવ્યા હતા અને લોકોને આગળ આવીને મદદ કરવા અપીલ કરી હતી. તો બીજી તરફ, ગંભીર બીમારીથી પીડાઈ રહેલા ધૈર્યરાજસિંહ રાઠોડની મદદે પાદરાના યુવાનો સામે આવ્યા છે. પાદરાના એક વડાપાઉંના સ્ટોલના માલિક પોતાની ત્રણ દિવસની કમાણી ધૈર્યરાજસિંહના ઈન્જેક્શન માટે આપશે. આમ પાદરાના જંડાબજાર સ્થિત શિવ શક્તિ વડાપાઉં દુકાનદારની આ અનોખી પહેલ છે. પાદરા તાલુકામાં અન્ય લોકો પણ મદદ કરવા માટે આગળ આવ્યા છે. 

ધૈર્યરાજને 16 કરોડના ઈન્જેક્શનની જરૂર
ધૈર્યરાજે જન્મજાત ગંભીર બીમારી એસએમએ-1(Spinal Muscular Atrophy Fact Sheet) સાથે જન્મ્યો છે. જેને કરોડરજ્જૂની સ્નાયુબદ્ધ એટ્રોફી ફેક્ટશિટ કહેવામાં આવે છે. આ બીમારી રંગસૂત્ર-5ની નાળીમાં ખામીને કારણે થાય છે. આ જનીન સર્વાંઈકલમાં પ્રોટીન ઉત્પન કરે છે. જે માણસની બોડીમાં ન્યુરોન્સનું પ્રમાણ જાળવી રાખે છે, જ્યારે આવા બાળકોમાં આ સ્તર યોગ્ય રીતે જળવાતું નથી. જેના લીધે ન્યુરોન્સનું સ્તર અપૂરતું હોવાના લીધે કરોડરજ્જૂમાં નબળાઈ અને બગાડ પેદા થાય છે. તેમજ શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. જે નુકસાન તરફ દોરી જાય છે. આ માતા-પિતાના વારસામાં આવેલો રોગ છે જે જનીનો ખામી દર્શાવે છે, ત્યારે આ રોગની સારવાર ખૂબ મોંઘી છે, તેના માટેનું ઈજેક્શન રૂપિયા 16 કરોડમાં યુ.એસ.થી મંગાવવું પડે છે. જેની માન્યતા ડિસેમ્બર-2016માં યુ.એસ ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન(સ્પિનરાઝા)ને મળેલી છે. કરોડરજ્જુની આજુબાજુ પ્રવાહીમાં ઇન્જેક્શન દ્વારા સંચાલિત થાય છે. જે પ્રોટીનનું ઉત્પાદન વધારવા માટે કરવામાં આવે છે. જેના લીધે માંસ પેસીઓની હિલચાલ અને કાર્ય કરવાની શક્તિમાં પણ સુધારો કરે છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ હેઠળ 5 જિલ્લામાં ગંભીર બીમારીવાળા બાળકો સામે આવ્યા છે. જેમાં હૃદય રોગની બીમારીવાળા 1234, કિડનીના રોગની બીમારીવાળા 142 અને કેન્સરની બીમારીવાળા 89 બાળકો ચોપડે નોંધાયા છે. જેમાં સૌથી વધુ ગંભીર બીમારીવાળા બાળકો ભાવનગર જિલ્લામાં નોંધાયા છે. ભાવનગર જિલ્લામાં હૃદય રોગના 406, કિડનીના 58 અને કેન્સરના 30 બાળકો સામે આવ્યા છે. વિધાનસભામાં સરકારના પૂછાયેલા પ્રશન્નો લેખિતમાં જવાબ આપવામાં આવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news