અમદાવાદઃ ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 144 કેસ સામે આવ્યા છે. તેમાં 50% કરતા પણ વધારે 64 કેસ અમદાવાદમાં છે. આમ ગુજરાતમાં કોરોના વાયરસનું હબ બની ગયેલા અમદાવાદ માટે એક સારા સમાચાર પણ આવ્યા છે. અમદાવાદ સ્માર્ટસિટી રેન્કિંગમાં દેશનું નંબર વન શહેર બની ગયું છે. કુલ 100 શહેરની જે યાદી જાહેર કરવામાં આવી તેમાં અમદાવાદને પ્રથમ ક્રમાંક મળ્યો છે. આ માહિતી મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ સ્માર્ટસિટીમાં પ્રથમ
કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલય સ્માર્ટસિટીની યાદી જાહેર કરે છે. શહેરમાં સ્વસ્છતા, રસ્તાઓ, પાણી, ગટર લાઇનો, સ્ટ્રીટ લાઇટો, સુરક્ષા જેવા અનેક પાસાંઓના આધારે દેશના 100 શહેરોનું રેન્કિંગ તૈયાર કરવામાં આવે છે. જેમાં અમદાવાદને પ્રથમ સ્થાન મળ્યું છે. વિજય નેહરાએ કહ્યું કે, હાલ કોરોના વાયરસને કારણે લૉકડાઉન ચાલી રહ્યું  છે. ત્યારે કોરોના સામેની લડતમાં સ્માર્ટ સિટીની આગવી ભૂમિકા છે. તેમણે કહ્યું કે, 3000 કરતા વધુ સીસીટીવી કેમેરા શહેર પર બાજ નજર રાખી રહ્યાં છે. પોલીસ પણ લોકડાઉનને સફળ બનાવવા માટે કાર્ય કરી રહી છે. 


કોરોના પર શું બોલ્યા કમિશનર
તેમણે કહ્યું કે, સ્માર્ટસિટીના ઇન્સ્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ આજે કોરોના સામેની લડાઈમાં મળી રહ્યું છે. તેમણે કહ્યું કે, માર્ચ મહિનામાં 5219 લોકો વિદેશથી આવ્યા હતા. આ તમામ નાગરિકોએ સંપૂર્ણ ક્વોરેન્ટાઇન પ્રીચેડ પૂર્ણ કર્યું છે. તેમના સહકારથી કોરોના વધુ ફેલાતો અટકાવી શકાયો છે. આ કામ પડકારનજક હતું. 12થી 13 પગલાંઓ એએમસી દ્વારા લેવામાં આવ્યા હતા. તેમને જે મદદની જરૂર હતી તે મનપા દ્વારા પૂરી પાડવામાં આવી છે. દિવસમાં બે વખત તેમને જમવાનું પણ પહોંચાડ્યું છે. આટલી સુવિધા છતાં જે 20 લોકોએ ક્વોરેન્ટાઇનનો ભંગ કર્યો તેની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આવા લોકોની સાથે કુલ 25 હજારને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. આ લોકોના સંપર્કથી માત્ર એક વ્યક્તિ કોરોનાનો ભોગ બન્યો છે. આમ પ્રથમ પડકારને પહોંચી વળવામાં એએમસી સફળ રહ્યું છે. 


ગુજરાતમાં વધી રહ્યો છે Coronaનો કહેર, નવા 16 પોઝિટિવ કેસ, કુલ આંકડો પહોંચ્યો 144 પર


છેલ્લા 24 કલાકમાં નવા 11 કેસ
મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા તમામ 11 કેસ મનપાએ શોધ્યા છે. મોટા ભાગના લોકો તબલિગી જમાત વાળા છે. પોલીસની મહેનત બાદ 59 તબલિગી જમાતના લોકોની ઓળખ કરવામાં આવી હતી. નિઝામુદ્દીનની મુલાકાત લેનારા 177 લોકોની તપાસ થઈ છે. કુલ 68 કેસનું રિઝલ્ટ આવ્યું જેમાં 16 પોઝિટિવ છે. આ સાથે તેમણે કહ્યું કે, અમદાવાદમાં આવનાર દિવસોમાં કેસોની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. આ સાથે તેમણે કહ્યું કે, જે વિસ્તારમાં સંપૂર્ણ લોકડાઉનનું પાલન થઈ રહ્યું છે, ત્યાં કેસ નહિવત છે. જ્યાં લૉકડાઉનનો અમલ થયો નથી ત્યાં કેસ વધ્યા છે. 


ધાર્મિક અને સામાજીક આગેવાનોને કરી અપીલ
વિજય નેહરાએ ધાર્મિક અને સામાજીક આગેવાનોને જે વિસ્તારમાં લૉકડાઉનનું પાલન થતું નથી ત્યાં સંપૂર્ણ પાલન કરાવવાની અપીલ કરવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે, આજે આપણો સામનો ભૂકંપ કે પૂર નહીં પરંતુ વાયરસ સામે છે. તેથી આગેવાનો લોકોને ઘરે રહેવા સમજાવે તે જરૂરી છે. 


શહેરમાં માસ્ક માટે મુકાશે યલો ડસ્ટબિન
આ સાથે તેમણે કહ્યું કે અમદાવાદ સૌથી સ્વચ્છ શહેર જાહેર થયું છે. જાહેર સ્થળોએ યલો ડબ્ટબિન મુકવામાં આવશે. તેમાં માસ્કને ડિસ્પોઝેબલ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવશે. ભેગા થયેલા માસ્કનો નિકાલ એએમસી કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર