ઝી બ્યુરો/અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત રાજ્યના માતા-પિતાઓ માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સાથી રાજ્યના માતા-પિતાએ પોતાના બાળકોની ચિંતા કરવાની ખૂબ જ જરૂર છે. પ્રિન્સ ખાંટના માત્ર 10 મહિનાનું બાળક કે જે અરવલ્લી જિલ્લાના શંભુ ખાંટનું એક માત્ર બાળક છે. થોડા દિવસ પહેંલા સોયાબિનની સીંગ ગળી ગયું. જેના પરીણાણે 28 ડિસેમ્બરના રોજ તેને એકા-એક શ્વાસ લેવમાં ખૂબ જ સમસ્યા ઉભી થવા લાગી.માતા-પિતાને આ સમસ્યા વધુ ગંભીર જણાઇ આવતા તેઓ હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં બાળકને લઇને દોડી આવ્યા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


બાળકની સર્જરી કરીને સોયાબીનનો દાણો કાઢ્યો!
પરંતુ આ સમસ્યા અત્યંત ગંભીર હોવાથી ઓક્સિજન સપોર્ટની સાથે નિષ્ણાંત બાળરોગ સર્જરી તબીબોની જરૂરિયાત આ કેસમાં ત્યાના તબીબોને જણાઇ આવી. જેથી તેઓએ બાળકને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યા.  29 મી ડિસેમ્બરના રોજ બપોરે 1 વાગે આ બાળક પ્રિન્સ અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યુ. સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યાના માત્ર બે કલાકની અંદર જ તેના એક્સ-રેના આધારે ઇમરજન્સી બ્રોન્કોસ્કોપી કરીને ડાબા ફેફસામાં ફસાયેલા સોયાબીનના દાણાને દૂર કરવામાં આવ્યા.



સર્જરી અત્યંત જટીલ હતી પરંતુ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી અને તેમની ટીમે છેલ્લા બે વર્ષમાં અંદાજીત 51 જેટલા આવા બાળકોની બાહ્ય પદાર્થ ગળી જવાની સર્જરી કરી છે. આ બહોળા અનુભવના પરિણામે અને પ્રિન્સની માતા-પિતાની સતર્કતા થી માત્ર બે કલાકમાં જ આ બાળકની સર્જરી કરીને આ સોયાબીનનો દાણો કાઢવામાં સફળતા મળી. અને હવે બાળક પુન: પહેલાની માફક જ શ્વાસ લઇ શકે છે. 


2 વર્ષનો યુસુફ ટાંકણી ગળી ગયો હતો
આવો જ એક અન્ય કિસ્સો સિવિલ હોસ્પિટલમાં ડિસેમ્બર મહિનામાં જ બન્યો. જેમાં 2 વર્ષનો યુસુફ નામનો બાળક કે જે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહે છે તે ટાંકણી ગળી ગયો હતો. આમ જોવા જઇએ તો યુસુફ ના પિતા મોહંમદ કૌસર શેખ વ્યવસાયે દરજી છે , એક દિવસ આ બે વર્ષનો યુસુફ ઇશારા કરીને તેની માતાને કહી  રહ્યો હતો કે તે કંઇક ગળી ગયો છે, જેથી તેને પણ શરીરમાં સમસ્યાઓ ઉભી થતા માતા-પિતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇને દોડી આવ્યા હતા. આ કિસ્સામાં જ્યારે સી.ટી. સ્કેન કરવામાં આવ્યુ હતુ ત્યારે કોઇ બાહ્ય પદાર્થ બાળક ગળી ગયું છે જે મેટલનું છે તેવું સ્પષ્ટ પણે દેખાઇ રહ્યું હતુ. 



સોય મળમાર્ગે કાઢવામાં સફળતા મળી
પરંતુ આ કિસ્સામાં મહત્વની બાબત એ બની રહી કે, તબીબોના અનુભવના પરિણામે જ્યારે આ બાહ્ય પદાર્થના ચોક્કસ સ્થાનની ખબર પડી ત્યારે તબીબોના મોનટરીંગ હેઠળ તેને મળ માર્ગે કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો . માતા-પિતા ના ધીરજ , બાળકના સહકાર અને તબીબોના અનુભવના લાભથી યુસુફને કોઇપણ જાતની સર્જરી કર્યા વિના જ આ મોટા આકારની સોય મળમાર્ગે કાઢવામાં સફળતા મળી.


બંને કિસ્સા જોઇને માતા-પિતાએ ચેતવાની જરૂર
સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, આ બંને કિસ્સા જોઇને માતા-પિતાએ ચેતવાની જરૂર છે. બાહ્ય પદાર્થ ગળી જતા ઘણાં કિસ્સામાં સર્જરી વિના પણ અનુભવ અને ધીરજના પરિણામે તબીબોના સતત મોનીટરીંગ દ્વારા પણ  બાહ્ય પદાર્થ મળ માર્ગે અથવા મ્હોં ના માધ્યમથી દૂર કરી શકાય છે. પરંતુ જો આવો પદાર્થ ગળી ગયા બાદ બાળકને શ્વાસ લેવામાં તકલીફ જણાય અને એ પદાર્થ નળીમાં ફસાઇ ગયું હોય તો ચોક્કસ પણે સર્જરી કરીને જ આ સમસ્યા દૂર કરી શકાય છે જે પ્રિન્સના કિસ્સામાં બન્યું  છે. 



આ વસ્તુઓ નાની ઉમરના બાળકોથી દૂર રાખો
અમારા બાળ રોગ સર્જરી વિભાગના તબીબો અને ક્રિટીકલ એનેસ્થેટિસ્ટ ડૉ. ભાવના રાવલ અને ડૉ. નમ્રતાની કોઠાસુઝથી આ સર્જરી સફળતાપૂર્વક પાર પડી. ડૉ. જોષીએ ફરી એક વખત નાની ઉમરના બાળકોથી સિક્કા, ટાંકણી, સેલ, રમકડાનો એલ.ઇ.ડી. બલ્બ, ફિનાઇલ જેવા પદાર્થોને દૂર રાખવાનો અનુરોધ કર્યો છે.