ઉદય રંજન અમદાવાદ :અમદાવાદ જિલ્લાના દેત્રોજ મામલતદાર કચેરી ખાતે છેલ્લા નવ દિવસથી ચુંવાળ ડાંગરવા ગામનો પરિવાર આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. પરિવારના મુખ્ય રસ્તા પર પાડોસીએ દિવાલ કરી લેતા અને તંત્રએ આ વિશે સંતોષકારક પરિણામ ન આપતા ઉપવાસનો રસ્તો અપનાવો પડ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

3 ફેબ્રુઆરી, 2019ના રોજ ચુંવાળ ડાંગરવા ગામમાં પાડોશમાં રહેતા મગન પરમારે જાહેર રસ્તામાં આડી દિવાલ ચણી રસ્તો બંધ કરી દીધો છે. જેને એક મહિનાથી પણ વધુ સમય થઇ ગયો હોવા છતાં આજદિન સુધી આ વિવાદનો નિકાલ નથી આવ્યો. આ કારણે વાઘેલા પરિવારને આમરણાંત ઉપવાસ પર બેસવાનો વારો આવ્યો છે. આ દિવાલ અંગે વાઘેલા પરિવારે ગામના સરપંચ, તલાટી, TDO અને મામલતદાર સુધી રજુઆત કરી છે, પણ આ અધિકારીઓ જવાબદારી એકબીજા પર ઢોળી રહ્યાં છે. ત્યારે વાઘેલા પરિવારના 9 સભ્યો દેત્રોજ મામલતદાર કચેરી ખાતે ઉપવાસ પર બેઠેલા છે. જેમાં બે સભ્યોની તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર અર્થે પણ ખસેડવામાં આવ્યા છે.


વાઘેલા પરિવારે આ દિવાલના બાંધકામની વાતને લઈને જવાબદારો સામે ગુનો નોંધાવવા દેત્રોજ પોલીસ પોલીસ સ્ટેશનની ચારથી પાંચ વખત મુલાકાત કરી હોવા છતાં પોલીસે ફરિયાદ લીધી નથી. આ બાબતે ફરિયાદ કરવાની સત્તા પંચાયત ધારા મુજબ સરપંચ તથા તાલુકા વિકાસ અધિકારીને મળ્યા હતા. પરંતુ તમામ અધિકારી તથા પદાધિકારી મામલાને ગંભીરતાથી લેતા નથી. ઉચ્ચ અધિકારી જેમાં જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટર તથા નાયબ પોલીસ અધિક્ષકને રૂબરૂ લેખિત ફરિયાદ કરવા છતાં જવાબદારો સામે હજુ સુધી કોઈ જ પગલાં નથી લેવામાં આવ્યા અને પરિવારને સંતોષકારક જવાબ પણ નથી મળ્યો.


ત્યારે વાઘેલા પરિવારમાં લગ્ન પણ હોવાથી રસ્તાને કારણે લગ્નની તારીખ લંબાવવાનો વારો આવ્યો છે. ત્યારે સાવલ એ થઇ રહ્યો છે ગેરકાયદેસર દિવાલ છે, તો તંત્ર કેમ કોઈ નક્કર પગલા નથી લઇ રહી.