ઝી મીડિયા/બ્યૂરો :કલેક્ટર ખુરશી જિલ્લાનું સર્વોચ્ય પદ ગણાય છે. ઉચ્ચ શિક્ષિત લોકોનું આ ખુરશી પર બેસવાનું સ્વપ્ન પણ પૂરું થતું નથી ત્યારે એક અલ્પ શિક્ષિત સેવકને આ ખુરશી પર બિરાજવા મળે એ મિનિટો જીવનની અદકેરી ખુશીની આજીવન યાદગાર બની જાય એ સ્વાભાવિક છે. આણંદ કલેક્ટર કચેરીમાં નિષ્ઠા, સેવા અને સમર્પણના ભાવથી નોકરી પૂરી કરીને વિદાય લેતા અદના કર્મચારી ફતેસિંહ મકવાણાને કલેક્ટરના આસન પર બિરાજવાની ખુશીની અનોખી ભેટ આણંદના કદરદાન કલેક્ટર  આર.જી.ગોહિલે આપી હતી. ત્યારે સૌના મુખ પર એક અનેરી, જવલ્લે જ બનતી ઘટનાના સાક્ષી બનવાનો આનંદ ફરી વળ્યો. ફતેસિંહે અહી પદભાર સંભાળી ચૂકેલા 15 જેટલા કલેક્ટર્સ સાથે ફરજ અદા કરી છે. કલેક્ટ બહુધા દિવસના દસ કલાક તો કચેરીમાં કામ કરતાં જ હોય છે. સંકટના સમયે તો ૧૮ થી ૨૦ કલાક એમની ઑફિસ ચાલતી હોય છે. એટલે કલેક્ટર કચેરીના પટાવાળાનો હોદ્દો ભલે નાનો રહ્યો પણ જવાબદારી કપરી હોય છે. ખૂબ વિવેક, સૂઝ સમઝ, સમયસૂચકતાના ગુણો હોય તે જ આ પદ સંભાળી શકે. ફતેસિંહે યોગ્યતા પુરવાર કરી અને ખૂબ ઉમદા વિચારો ધરાવતા આરજી ગોહિલે નોકરીના છેલ્લા દિવસે ફતેસિંહને પોતાની ખુરશી પર બેસાડી જે અદ્વિતીય સન્માન આપ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આણંદ નજીક ત્રનોલના રહેવાસી ફતેસિંહ મકવાણા 38 વર્ષની સુદીર્ઘ સેવાઓ આપી 31મી જુલાઇ, 2020 ના રોજ વય નિવૃત થયા હતા. આણંદના કલેક્ટર ગોહિલે તેમને અનોખું વિદાયમાન આપ્યું, જેથી તેમની ખુશીનો પાર ન રહ્યો. 


કલેક્ટર કચેરીમાં ભગતના હુલામણા નામથી ઓળખાતા ફતેસિંહભાઈ  કહે છે કે, ભગત એટલે સ્વભાવે, વાણી, વર્તનને ભગત જેવા રહેવું પડે.અત્યાર સુધી મેં ૧૫ જેટલા કલેક્ટર સાહેબો સાથે નિષ્ઠા અને પ્રમાણિકતાથી મારી ફરજો અદા કરી હતી, જેનું સન્માન થયું છે. મને કલ્પના પણ ન હતી કે આવું મારૂ સન્માન થશે. ખરેખર આ સન્માન મારે માટે જીવનભર યાદગાર પળ બની રહેશે.  હાલના કલેક્ટર આરજી ગોહિલ નાના કર્મીઓ માટે ખૂબ જ આદરભાવ અને સંવેદના ધરાવે છે. મને આવું ભવ્ય વિદાયમાન આપવા બદલ હું સાહેબનો આભાર વ્યક્ત કરું છું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર