Loksabha Election 2024: બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંનેએ મહિલા ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. હાલ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પુરજોશમાં પ્રચાર કરી રહ્યાં છે. તાજેતરમાં જ બનાસકાંઠા બેઠક પર પ્રચાર દરમિયાન ગેનીબેન ઠાકોરે ભાજપની સાથે સાથે પોલીસ અને અધિકારીઓને પણ આડા હાથે લીધા હતા. હવે ફરી એકવખત કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનું પોલીસ પર વધુ એક નિવેદન સામે આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગેનીબેન ઠાકોરનું પોલીસ પર વધુ એક નિવેદન
કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પોલીસ પર વધુ એક નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધું છે. ગેનીબેને જણાવ્યું કે સણાવીયા ગામના વ્યક્તિ પર 2 વર્ષ પહેલા કેસ થયો હતો અને હમણાં એક અઠવાડિયા પહેલા ધરપકડ કરી તો કેમ 2 વર્ષ સુધી પકડવાનો વારો ન આવ્યો પણ આ ચૂંટણી ટાણે ઠાકોર સમાજને દબાવવા માંગે છે. પોલીસ રોફ જમાવવા માંગે છે અને દબાવવા માંગે છે. હજુ તો ગુલાબભાઈ અને ઠાકરસિંહ ભાઈનો વારો આવશે અને હું તો કહું છું બધા વતી મારો જ વારો લાવો તો ચૂંટણી લોકો જ લડે. લોકશાહીના અધિકારનું ગળું દબાવાય છે.


આવી સિસ્ટમ કદાચ ગુજરાતમાં કોઈ જગ્યાએ નહિ હોય: ગેનીબેન
બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ગઢ ગામે પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, ચૂંટણી પહેલા ભાજપવાળા દરેક સીટ ઉપર 5 લાખની લીડની વાત કરતા હતા અને ભાષણ કરતા હતા. જેમ ઉમેદવારો નક્કી થયા બાદ અમારે  બનાસકાંઠામાં તો આખી સિસ્ટમ ચેન્જ થઈ છે, આવી સિસ્ટમ કદાચ ગુજરાતમાં કોઈ જગ્યાએ નહિ હોય. હવે તેમને જીતવું કાઠું લાગતા બનાસકાંઠાના 20 લાખ મતદારો ઉપર વિશ્વાસ નથી. જેથી તેવો પાટણ લોકસભાના વડગામના મતદારો કેન્સલ કરી પાલનપુરમાં લાવી રહ્યા છે અને રાધનપુરના ભાભરમાં લાવી રહ્યા છે.


એકબાજુ જનશક્તિ છે અને બીજી બાજુ ધન શક્તિ છે: ગેનીબેન
ગેનીબેન ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, જો બહારથી મતદારો લાવવા પડતા હોય તો ભાજપના 5 લાખની લીડના દાવા પોકળ છે. એકબાજુ જનશક્તિ છે અને બીજી બાજુ ધન શક્તિ છે. જો ધનશક્તિથી લોકશાહી ખરીદાતી હોય તો મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બન્ને ભેગા થઈને 542 સીટો ખરીદી નાંખે. તેમણે જણાવ્યું હતું કે મારે લોકસભાની ચૂંટણી લડવી ન હતી પણ મને કિરીટ પટેલે કહ્યું કે તમારે પાર્ટી સંઘર્ષમાં છે એવા સમયે ચૂંટણી લડવી પડે. મેં કહ્યું કે મારી પાસે ડિપોઝીટ ભરવાના પણ પૈસા નથી તો કહ્યું કે વાંધો નહિ અમે બેઠા છીએ. એ બેઠા છે કે નહીં એ મને ખબર નથી પણ લોકો મારી પાસે પૈસાનો ખર્ચ કરાવતા નથી.


પાટીદાર સમાજના યુવાનો ઉપર ખોટા કેસ કર્યા છે: ગેનીબેન
ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, અમારા સમાજના અનેક દીકરાઓ પણ જેલમાં છે. અહીં પણ પાટીદાર સમાજના યુવાનો ઉપર ખોટા કેસ કર્યા છે. અમે ચંદનજી ઠાકોર અને કિરીટભાઈ જે સમાજના દીકરાઓ ઉપર ખોટા કેસ કર્યા છે તેની સામે રજુઆત કરીશું ગઢ ખાતે સભામાં પાટણના કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોર , પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ સહિત અનેક કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.