• પિતાના હાથે દીકરીની હત્યા, સિહોરના ખારાકૂવા વિસ્તારની ઘટના

  • લગ્ન બાદ દીકરી સિહોર રીસામણે હતી, આવેશમાં પિતાએ દીકરીને મોતને ઘાટ ઉતારી

  • ઘરમાં થતાં કાયમી કંકાસે એક દીકરીનો ભોગ લીધો


નવનીત દલવાડી/ભાવનગર :ભાવનગરના સિહોરમાં વહેલી સવારે પિતાએ રીસામણે આવેલી પરણિત દીકરીની દસ્તાના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી નાખતા ચકચાર મચી છે. ઘરમાં અવારનવાર થતા ઘરકંકાસને પગલે
પિતાએ દીકરીની હત્યા કરી હતી. બુધવારે સવારે થયેલા ઝગડાએ ઉગ્ર રૂપ ધારણ કરતા આવેશમાં આવેલા પિતાએ દીકરીને માથાના ભાગે દસ્તાના મરણતોલ ઘા ઝીંકી દેતા દીકરીનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. પોલીસે આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગર જિલ્લાના સિહોરના ખારાકુવા વિસ્તારમાં એક પરિણીત દીકરીની તેના જ પિતાએ ઘાતકી હત્યા કરી નાખી હોવાની ઘટના બનવા પામી છે. આ બનાવમાં બેલાબેન હરેશભાઇ શાહ નામની યુવતીના પ્રથમ લગ્ન ભાવનગર ખાતે થયા હતા. જ્યાં બેલાબેનને એક દીકરાનો જન્મ થયા બાદ તેમના સુખી લગ્ન જીવનનો અંત આવ્યો હતો. તેમના ડિવોર્સ થઈ જતા તે  પુત્ર સાથે પિયર પરત ફરી હતી. 


આ પણ વાંચો : ડ્યુટીની સાથે સમાજ સેવા, IPS ઉષા રાડાએ માતાની હત્યા બાદ નિરાધાર બનેલા 4 બાળકોની જવાબદારી ઉપાડી  


થોડા સમય બાદ બેલાના મહુવા ખાતે બીજા લગ્ન કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાં પણ થોડા સમય બાદ પતિ સાથેના ઝગડાને લઈ તે પોતાના પિતાના ઘરે રહેવા જતી રહી હતી. આ બનાવ "દીકરી સાપનો ભારો" એ કહેવત સાર્થક બની અને દીકરી ઘરમાં આવતાની સાથે જ હરેશભાઈના ઘરમાં ઝગડા અને ઘર કંકાસ વધી ગયો હતો. રોજે રોજ થતા ઝગડામાં પિતા પુત્રી વચ્ચે અંતર વધી ગયું હતું, જેમાં આજે સવારે પણ પિતા પુત્રી વચ્ચે ઝઘડો થયો હતો. આઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં આવેશમાં આવેલા પિતાએ પોતાની દીકરીને માથાના ભાગે દસ્તાના મરણતોલ ઘા ઝીંકી દેતા દીકરી ત્યાં જ ઢળી પડી હતી અને મોતને ભેટી હતી. 


આ બનાવને પગલે સિહોરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી અને લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. જ્યારે હત્યાની ઘટનાના પગલે સિહોર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ દીકરીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી પોલીસે આ બનાવમાં વધુ કાર્યવાહી હાથ ધરી છે.