ભાવનગર: રાજ્યમાં હમણાંથી અકસ્માતોની સંખ્યા વધવા માંડી છે, ત્યારે ભાવનગર-તળાજા હાઈવે પર ભયાનક અકસ્મતા સર્જાયો છે. ભાવનગર-તળાજા હાઈવે પર શેત્રુંજી પુલ પાસે સ્વિફ્ટ કાર અને આઇસર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 4 લોકોના મૃત્યુ નીપજ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી અનુસાર, ભાવનગર તળાજા નેશનલ હાઈવે શેત્રુંજી પુલ પાસે સ્વિફ્ટ કાર અને આઈસર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા છે. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળ્યો હતો. આ દુર્ઘટનામાં 4 લોકોના કરુણ મોત નિપજતા શોકનો માહોલ પ્રસર્યો છે. આ ઘટનામાં ભોગ બનનારોમાં બે મહિલા અને બે પુરૂષનો સમાવેશ થાય છે. જેમાં ત્રણ લોકોના સ્થળ પર જ્યારે એક પુરુષનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે.


પોલીસની પ્રાથમિક તપાસમાં તમામ મૃતકો મહુવાના નેપ ગામના હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આ અકસ્માત અંગે મૃતકોના પરિવારજનોને જાણ કરીને તમામના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube