નવનીત દલવાડી/ભાવનગર :તળાજાના દરિયા કાંઠા વિસ્તારના ૧૩ જેટલા ગામોને સિંચાઇ અને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવતો મેથળા ગામે આવેલ મેથળા બંધારામાં ૯૦ ફૂટ મોટું ગાબડું પડી ગયું છે. ભારે વરસાદના કારણે પાણીની પુષ્કળ આવક થતાં બંધારાનો આરસીસીનો પાળો તૂટી જતાં ખેડૂતોએ જાત મહેનતે ફાળો ઉઘરાવી ફરી મેથળા બંધારાનું નિર્માણ શરૂ કર્યું છે. ખેડૂતોએ કહ્યું, અમે હિંમત નથી હાર્યા, જેટલી વાર તૂટશે એટલી વાર મહેનત કરીને અમે ફરીને બંધારો બનાવશું.’


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચોમાસા દરમ્યાન સારો વરસાદ થતાં તળાજા તાલુકાના મેથળા ગામે આવેલ મેથળા બંધારો અનેક વખત ઓવરફ્લો થયો હતો. પાણીની પુષ્કળ આવકના પગલે 20 કિમી વિસ્તારમાં ફેલાયેલા મેથળા બંધારાની ઉપરથી સતત પાણી વહી રહ્યું હતું. જેથી કોંક્રિટની બનેલ વોગિનની દિવાલ પાણીનું પ્રેશર સહન ના કરી શકતા ૬ ઓકટોબરની રાત્રે મેથળા બંધારાનો વોગિનનો પાળો અચાનક તૂટી જવા પામ્યો હતો. જેથી બંધારાનું પાણી દરિયામાં વહી રહ્યું છે. આજે ૬ દિવસ વિતવા છતાં બંધારાના પાણીની જાવક હજુ પણ ચાલુ છે. ત્યારે પોતાની પરસેવાની મહેનત પર આ રીતે પાણી ફરી જતા ખેડૂતોમાં દુઃખની લાગણી પ્રસરી હતી. પરંતુ ખેડૂતોએ હિંમત હાર્યા વગર ફરી મેથળા બંધારાનું રીપેરીંગ કાર્ય શરૂ કરી દીધું છે.


આ પણ વાંચો : ભુજમાં ફરી ઈતિહાસ સર્જાશે, આરોહી પંડિત એર ઈન્ડિયાના એરક્રાફ્ટમાં ભુજથી ઉડાન ભરશે


ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મેથળા ગામે આવેલ મેથળા બંધારો કે જે ૧૩ થી વધુ ગામોના ખેડૂતોએ લોકફાળો ઉઘરાવી 2018 માં રૂ. 86 લાખના ખર્ચે તૈયાર કર્યો હતો. જેમાં તળાજા પંથકના 12 ગામની વચ્ચેથી પસાર થતી બગડ નદીનું પાણી દરિયામાં વહી જતું હતું, પરંતુ ભરતી સમયે દરિયાનું ખારું પાણી આ નદીમાં પરત ફરતું હોય આ નદીના પાણીમાં ખારાશ ભળી જતા આ વિસ્તારની કિંમતી જમીન બિનઉપજાવ બની ગઈ હતી. જેથી આ વિસ્તારના ખેડૂતો દ્વારા સરકાર પાસે બંધારો બાંધી આપવાની લાંબા સમયથી રજૂઆત હતી. પરંતુ તંત્ર દ્વારા કોઈ યોગ્ય પ્રત્યુતર ના મળતા ગામલોકોએ ત્રણ વર્ષ પહેલા લોકફાળો ઉઘરાવી 86 લાખ રૂપિયાના ખર્ચે 1 કિમી લાંબો આ બંધારો જાતે બાંધી તૈયાર કર્યો હતો, જેના સારા પરિણામો પણ મળ્યા. માટીનો બંધારો દરિયાના ખારા પાણીને પરત ફરતા અટકાવવામાં સફળ રહ્યો, સાથે જ હજારો હેક્ટર જમીન પર મીઠા પાણીના સરોવરનું નિર્માણ થયું હતું. કુવાઓના તળ ઉંચા આવી ગયા, આ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા હલ થઇ હતી. ખેતરો અને વાડીઓ ફરી જીવંત બની જતા ચોમાસા ઉપરાંત શિયાળુ અને બાદમાં ઉનાળુ પાક પણ ખેડૂતો લઇ શક્તા હતા. જે આ વિસ્તારના ખેડૂતો માટે ફાયદારૂપ બની ગયું હતું.


આ પણ વાંચો : પાવાગઢ મંદિરમાં પગ મૂકવાની જગ્યા નથી, એકસાથે 2 લાખ ભક્તોની ભીડનો Video થયો વાયરલ   


આ ગામના ખેડૂત ઘેલાભાઈ ભીલ અને લક્ષ્મણભાઈ કહે છે કે, તળાજા અને મહુવા પંથકનાં દરિયા કાંઠા વિસ્તારમાં આવેલા અનેક ગામોમાં જમીનો ખારાશવાળી બની જતા ખેડૂતોએ રોજી રોટી માટે સ્થળાંતર શરૂ કર્યું હતું. પરંતુ બંધારો બની ગયા બાદ ખેતી વધુ સમૃદ્ધ અને ફળદ્રુપ બનતા સ્થળાંતર અટકી ગયું હતું. તેમજ અનેક ગામના લોકોને ધંધો રોજગાર મળતો થતાં લોકો પણ ખુશ થઈ ગયા હતા.


ખેડૂતો દ્વારા મેથળા બંધારાનું નિર્માણ કર્યા બાદ બે વર્ષ પૂર્વે સરકાર દ્વારા રૂ. 137 કરોડના ખર્ચે પાકો સિમેન્ટ કોંક્રિટનો બંધારો બનાવી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. સરકાર દ્વારા જાહેરાત થતા આ વિસ્તારના ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ હતી, પરંતુ બે વર્ષ વિતી જવા છતાં આજ દિન સુધી પાકો બંધારો બનાવવા માટે કાર્ય આગળ નહિ ધપાવવામાં આવતા ખેડૂતોએ નારાજગી સાથે સરકાર પાકો બંધારો બનાવે એવી આશા વ્યક્ત કરી હતી.