સુરત : આમ આદમી પાર્ટીમાં ભાજપે મોટુ ગાબડું પાડ્યું છે. શુક્રવારે ગાંધીનગરમાં કમલમ ખાતે સુરત AAPના 5 કોર્પોરેટરોએ સત્તાવાર રીતે હર્ષ સંઘવી અને સીઆર પાટીલની હાજરીમાં કેસરિયો ધારણ કર્યો હતો.ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં પાંચેય કોર્પોરેટરો વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અંગે આપના નેતા ઈસુદાન ગઢવીએ આજે પત્રકાર પરિષદ યોજીને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપ દ્વારા અગાઉ પણ આપ તોડવાનાં પ્રયાસો થયા છે. અગાઉ ત્રણ કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. અમે રાજનીતિ બદલવા માટે આવ્યા છીએ. કોર્પોરેટર કેટલાક લાલચમાં આવી ગયા હોઇ શકે છે. ભાજપ પેપર ફોડે છે, કૌભાંડો કરે છે અને વિકાસનાં નામે અબુધ પ્રજાને છેતરે છે. 


ઈસુદાને કહ્યું કે, ભાજપ 7 વર્ષમાં 5 હજાર કરોડના ફંડ પર પહોંચી ચુક્યું છે. કોર્પોરેટરને ખરીદતા પહેલાં ત્યાંની જનતાને પૂછો. અમારા પાંચ કોર્પોરેટર ભાજપમાં જોડાયા છે તેમને શું લાલચ આપી હશે એ ખબર નથી. ચૂંટણી આવવા દો ભાજપમાં કેવા ભડકા થાય છે તે જોવા જેવું હશે. અમે આ મુદ્દે કાયદેસર કાર્યવાહી પણ કરીશું. આજે અમારી લીગલ ટીમ સાથે બેઠક છે ત્યાર બાદ આગળની કાર્યવાહી અમે કરીશું. અમે યુવાનોની હત્યા અને પેપર ફૂટવા મામલે રાજ્યપાલની સાથે પણ મુલાકાત કરીશું. અમારા આવ્યા બાદ જ ભાજપમાં ફફડાટ પેસ્યો છે. 


લાંચ લેનાર અને આપનાર બંને ગુનેગાર છે. ભાજપના નેતા અને કાર્યકર્તાઓ પણ દુઃખી- નારાજ છે. ગુજરાતની જનતાને વિનંતી છે કે, તમે જાગૃત થાઓ. જનતા ભાજપની ખરીદ વેચાણથી વાકેફ થાય. યુપીમાં 9 ધારાસભ્ય અને 4 મંત્રી ગયા છે. તો શું ભાજપ ત્યાં ચૂંટણી નથી લડતી? પેપર ફોડ પાર્ટીમાં લોકો કેમ જોડાય કેમ કે મલાઈ મળતી હશે. આપનો કાર્યકર્તા પ્રજા વચ્ચે જઈ ભાજપ દ્વારા ખરીદ વેચાણ સંઘ, પેપર ફોડ, ભ્રષ્ટાચાર કરે છે તે મામલે કેમ્પઈન ચલાવીશું.


અમદાવાદના મેયરને કેમ બંગલામાં રહેવા નથી દેતા. દલિત છે એટલે! શું એમને મેયર બંગલામાં રહેવા નહીં જવા દેવાના? બહેનને વિનંતી છે કે તમારે તો ભાજપમાં ન જવાય. ભાજપ દલિત વિરોધી પાર્ટી છે. તમામ મહાનગરના મેયરો મેયર બંગલામાં રહે છે પરંતુ અમદાવાદના મેયર દલિત છે એટલે એમને મેયર બંગલાં રહેવા નથી દેતા. કોંગ્રેસના 14 ધારાસભ્યોને ભાજપે તોડ્યા હતા. એક જ જીતી શક્યા બાકી હાર્યા છે. જનતા જનાર્દન નક્કી કરે છે. રૂપિયાની થેલીઓ નહિ નક્કી કરે. ભ્રષ્ટાચાર આમ આદમી પાર્ટી નહી કરે. વિપુલભાઈ ભાજપના સંપર્કમાં હતા. સી આર પાટીલ સુપર સીએમ છે. ચૂંટણી આવે છે એટલે આ બધું કરે છે. તેઓને સીએમ બનવું છે.પાટીલની વાત પર કોઈએ વિશ્વાસ ન મુકવો.