ભાવનગર: વિધાનસભાની ચૂંટણી ટાણે ભાવનગરના પ્રવાસના બીજા દિવસે સી.આર.પાટીલે વિવિધ અગ્રણીઓ સાથે સંવાદ કર્યો હતો. આજે કાર્યક્રમના અંતિમ દિવસે પાટિલે અનેક બેઠકો કરી હતી. આ પ્રસંગે સીઆર પાટીલે સાધુ સંતો, મહંતો, તેમજ કલાકરો સાથે સંવાદ કર્યો હતો. સીઆર પાટીલે આ પ્રસંગે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મહિલાઓને વધુ ટિકિટ મળે તેવી વિચારણા કરી રહ્યા છે. મહિલા કાર્યકરોને તેમના સુઝાવ બંધ કવરમાં મોકલવા પાટીલે સુચન કર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલા સંમેલનમાં સીઆર પાટીલે જણાવ્યું હતું કે, માત્ર ભાજપ જ એવો પક્ષ છે જેણે વિધાનસભા અને લોકસભામાં અનેક બહેનોને ટિકિટ આપી છે. આ વખતે પણ બહેનોને વધુ ટિકિટ મળે તે માટે PM મોદી વિચારણા કરી રહ્યા છે. પાટીલે જણાવ્યું કે, રાજ્યમાં દીકરીઓની ઘટતી સંખ્યાને લઈને પીએમ મોદી ચિંતિત છે જેથી તેમણે સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી અનેક યોજનાઓ અમલમાં મૂકી હતી. 


ગુજરાતમાં હવે ચૂંટણી નજીક છે, ત્યારે અનેક જિલ્લા તાલુકામાં સભાઓ શરૂ થઈ ગઈ છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ હાલ ભાવનગરમાં છે, ત્યારે તેઓ ભાવનગરના રાજવી પરિવારને મળ્યા હતા. દિલ્લીના CM કેજરીવાલ બાદ હવે પાટીલે તેમની મુલાકાત લીધી છે. ભાવનગરમા યુવરાજ જયવીરરાજસિંહ સાથેની શુભેચ્છા મુલાકાતમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, પ્રદેશ ભાજપના આગેવાનો પણ હાજર રહ્યા હતા.


'મુકેશભાઈને બદનામ કરવાનું કાવતરું છે કે હકીકત તેની તપાસ થશે'
સી આર પાટીલે જિલ્લા પ્રમુખ મુકેશ લનગળીયાના વિરોધ મામલે પણ સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, માત્ર મુકેશભાઈને બદનામ કરવાનું કાવતરું છે કે હકીકત છે તે અંગે તપાસ કરીશું. ગીતા કોતરે દ્વારકામાં શા માટે અનશન શરૂ કર્યા તે પણ તપાસનો વિષય છે. ગીતાબેને ભાવનગર કે ગાંધીનગરમાં કેમ ઉપવાસ ના કર્યા તેવા સવાલ પણ સી આર પાટીલે ઉભા કર્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube