ગાંધીનગર: યુવા મહોત્સવો યુવાધનની આંતરિક શક્તિઓને બહાર લાવી રાષ્ટ્રભકિત માટે પ્રેરણાના પણ અવસર છે. આ યુવાશક્તિના થનગનાટથી જ ગુજરાત વાયબ્રન્ટ છે. મુખ્યમંત્રીએ રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ત્રિ-દિવસીય યુવક મહોત્સવનો શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના છાત્રોને નમો ઇ ટેબલેટનું પ્રતીક વિતરણ કર્યુ હતું, આ ટેબલેટ રાજ્યના યુવાનોને ટેક્નોલોજી સાથે જોડવામાં મદદરૂપ થશે. એવો આશાવાદ વ્યકત કર્યો હતો.
 
ગુજરાતીઓની વ્યવસાય પ્રીતિની સરાહના કરતાં પણ મુખ્યમંત્રીએ રાજ્યનો યુવાન નોકરી વાંચ્છુ નહિં પરંતું સ્વરોજગારના સર્જન થકી નોકરીદાતા બને એવો ઉપસ્થિત યુવાનોને અનુરોધ કર્યો હતો. શિક્ષણ ઉપરાંત રોજગાર ક્ષેત્રે ગુજરાતના યુવાનોને અવ્વલ રાખવા મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજનાની વિગતો આપતાં ઉમેર્યું હતું કે, રાજયના ૧ લાખ યુવાનોને કૌશલ્યસભર બનાવવાના લક્ષ્યાંક સામે અત્યાર સુધી કુલ ૫૩ હજાર યુવાનોને તેમની રૂચિ મુજબના ક્ષેત્રમાં કુશળ બનાવી તેમના માટે રાજય સરકારે રોજગારીનું સર્જન કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથેનાં પોતાનાં સંસ્મરણો વાગોળતાં મુખ્યમંત્રી તરીકેનો હોદ્દો ક્ષણભર ભૂલીને ભાવુક બની ગયા હતા. રાજ્યનાં યુવાનોને તેમની રૂચિ મુજબનું શિક્ષણ ઘરઆંગણે જ ઉપલબ્ધ બનાવવાની તેમણે ખાત્રી ઉચ્ચારી હતી, જેના સમર્થનમાં રાજયસરકારે સ્થાપેલી કૃષિ, રક્ષા, ફોરેન્સિક, મરિન, પેટ્રોલીયમ, સંસ્કૃત વગેરે વિવિધ પ્રકારની યુનિવર્સિટીઓનો તેમણે સગૌરવ ઉલ્લેખ કર્યો હતો.


શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના છાત્રોને આંગળીના ટેરવે ઉપલબ્ધ બનેલી ટેક્નોલોજીનો વિવેકપૂર્વકનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. અભ્યાસલક્ષી પ્રવૃતિ ઉપરાંત કલા અને ઈતર પ્રવૃતિ થકી વિદ્યાર્થીઓને સર્વાગી વિકાસ સાધવા માટે ચુડાસમાએ છાત્રોને શીખ આપી હતી. દેશના રાષ્ટ્રપિતા પુજય ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા લેવા તેમણે છાત્રોને અનુરોધ કર્યો હતો અને યુવાનો માટેની વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા જણાવ્યું હતું.