હનીફ ખોખર/જુનાગઢ :આજના સમયમાં પણ કોઈ પિતાને દીકરાના ઘેલછા હોય તો તે પિતાની માનસિકતા હજી પણ ઓગણીસમી સદીની હોવાનું કહી શકાય. પુત્રની ઘેલછામાં કેટલાક માબાપ એવા પાપ કરી બેસે છે કે, તેનો ભાગ માસુમ દીકરીઓ બને છે. જુનાગઢના ખંભાળિયા ગામનો આવો જ એક હેવાન પિતા સામે આવ્યો છે. જેણે પોતાની ત્રણ ત્રણ માસુમ દીકરીઓને કૂવામાં નાંખીને મારી (father kill daughter) નાંખી. જેનુ કારણ પુત્રની ઘેલછા હોવાનું સામે આવ્યું હતું. ગામ લોકો દ્વારા જ્યારે આ દીકરીઓની લાશ બહાર કાઢવામાં આવી ત્યારે અરેરાટી થઈ જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુનાગઢના પોલીસ અધિક્ષક આર.વી. ડામોરે માહિતી આપી કે, ખંભાળિયા ગામમાં રહેતો રસીકભાઈ દેવાભાઈ સોલંકી (ઉંમર 32 વર્ષ) જીઆરડી તરીકે ફરજ બજાવે છે. તેમજ છૂટક મજૂરીકામ પણકરે છે. રસીકભાઈને સંતાનમાં ત્રણ દીકરીઓ હતી. તેઓના ઘરમાં પંદર દિવસ પહેલા જ ચોથી દીકરીનો જન્મ થયો હતો. આમ, સંતાનમાં દીકરાની ઘેલછા રાખતા રસીકભાઈને ચોથી દીકરી જન્મતા તેઓ નિરાશ થયા હતા. આથી તેણે એવુ પગલુ ભર્યું જેને કારણે તેઓ હેવાન બાપ બની ગયા. તેઓએ ત્રણ દીકરીઓ અંજલી (ઉંમર 8 વર્ષ), રીના (ઉંમર 7 વર્ષ) અને જલ્પા (ઉંમર 3 વર્ષ)ને જામફળ ખવડાવવાની લાલચમાં ખેતરમાં લઈ ગયા હતા. અહીં તેઓએ ત્રણેય દીકરીઓને ઠંડા પીણામાં સેલ્ફોર્સ નામની જંતુનાશક દવા પીવડાવી હતી. તેના બાદ ત્રણેયને એક પછી એક કૂવામાં ફેંકી દીધી.


આટલું કર્યા બાદ આ હેવાન પિતા અટક્યો ન હતો. તેણે પોતે પણ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે ખંભાળિયામાં આ સમાચાર વાયુવેગે પ્રસરાઈ ગયા હતા. ગ્રામજનોએ મળીને દીકરીઓના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યા હતા. 


રસીકભાઈની પત્ની હાલ જ ગર્ભવતી થઈ હોવાથી તે પોતાના પિયરમાં હતી. આ ઘટના બાદ તેમની પત્ની ઘરે દોડી આવી હતી. તો કેટલાક લોકોનુ કહેવું છે કે, રસીકભાઈએ આર્થિક મંદીના કારણે પણ પગલુ ભર્યું હોઈ શકે છે. સમગ્ર ઘટનામાં પોલીસ દોડતી થઈ હતી અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....