નવનીત દલવાડી/ભાવનગર : શહેર અને જીલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સારા અને વાવણી લાયક વરસાદને પગલે ખેડૂતોએ આજે ભીમ અગિયારસના પર્વે વાવણીનો પ્રારંભ કર્યો છે. આ વર્ષે ચોમાસાની સિઝનના પ્રારંભે જ સીઝનનો ૧૫% વરસાદ વરસી જતા ધરતીપુત્રો ગેલમાં આવી ગયા છે. આજે મગફળી, બાજરી, કપાસ સહિતના બિયારણોનું વાવેતર કરી વાવણી કાર્યમાં જોડાયા છે. "જેની શરૂઆત સારી તેનો અંત પણ સારો" એ કહેવત મુજબ સારા વરસાદની આશા વ્યક્ત કરી બળદ ગાડા સાથે ખેતરોમાં પહોંચ્યા હતા, અને વાવણી માટે બળદોનું નાની બાળાઓ પાસે પૂજન કરાવી ખેડૂતોએ શુભ મુહૂર્તમાં વાવણીનો પ્રારંભ કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યભરમાં જયારે ચોમાસાની ઋતુ સક્રિય બની છે,  ત્યારે ભાવનગર શહેર અને જીલ્લાના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં સીઝનનો ૧૫% જેટલો વરસાદ એટલેકે વાવણી લાયક વરસાદ વરસી જતા આજે ભીમ અગીયારસના પર્વે મોટાભાગના ખેડૂતો વાવણી કાર્યમાં જોડાયા હતા. જેમાં ખેડૂતો પોતાના બળદગાડા સાથે ખેતરે પહોચ્યા હતા. ખેડૂતોએ બાળાઓના હાથે બળદોને તિલક પૂજન કરાવી બળદોને સાતી સાથે જોડી વાવણી કાર્યનો પ્રારંભ કર્યો હતો. ખેડૂતો દ્વારા મગફળી, બાજરી અને કપાસ સહિતના બિયારણોનું વાવેતર કર્યું હતું. 


જેની શરૂઆત સારી તેનો અંત પણ સારો કહેવતને અનુસરી ખેડૂતો જયારે વાવણી લાયક સારો વરસાદ વાવણીના પ્રારંભે જ પડ્યો છે ત્યારે પુરા ચોમાસા દરમ્યાન સમાયંતરે સારા અને સમયસર વરસાદ સાથે મબલક પાકની આશા કરી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, આ વર્ષે હવામાન ખાતા દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે, જરૂરિયાત અનુસારનો જ વરસાદ પડશે. 


ભાવનગર શહેર અને જીલ્લામાં ચોમાસા દરમ્યાન અંદાજીત સાડાચાર લાખ હેક્ટરમાં વિવિધ ચોમાસું પાકનું વાવતેર કરવામાં આવે છે જેમાં અત્યાર સુધીમાં ૪૦ હજાર હેકટરમાં ખેડૂતોએ વાડી કે ખેતરમાં પાણીના તળ સારા હોવાથી આગતર વાવતેર કરી નાખ્યું છે જયારે આજે અન્ય ખેડૂતોએ પણ પોતાના ખેતરોમાં ભીમ અગિયારસના પાવન દિને વાવણી કાર્યનો પ્રારંભ કર્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube