અમદાવાદઃ થોડા દિવસમાં જસદણ વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. આ પહેલા ભારતીય જનતા પાર્ટીને એક ફટકો પડ્યો છે. પૂર્વ ધારાસભ્ય લાલજી મેરે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. લાલજી મેચ કોળી સમાજના આગેવાન છે, અને જસદણ બેઠક પર કોળી સમાજના મત ખૂબ મહત્વના માનવામાં આવે છે. જેથી પેટાચૂંટણીમાં ભાજપને ફટકો પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે લાલજી મેર કોંગ્રેસનો હાથ પકડે તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાલજી મેચ ધંધુકાના પૂર્વ ધારાસભ્ય છે. તેઓ 2012માં અહીંથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. તે ભાજપમાં ઘણા લાંબા સમયથી છે અને સાથે સામાજીક કાર્યકર્તા છે. તેમને 2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ન મળી હતી. 


રાજીનામું આપ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા લાલજી મેરે જણાવ્યું કે, મેં સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. આ સાથે તેમણે ખેડૂતોને લઈને સરકાર પર સવાલો કર્યા હતા. તેમણે કહ્યું કે, આજે ખેડૂતોની સ્થિતિ સારી નથી. પાણી માટે ખેડૂતો રાહ જોઈ રહ્યાં છે. રાજ્યમાં મગફળી કાંડ પણ થયો હતો. ખેડૂતોની મગફળી વેચાતી નથી. સરકારને વારંવાર રજૂઆત કરવા છતા કોઈ નિરાકરણ આવ્યું નથી. હાલતો તેમના રાજીનામાંથી જસદણની પેટાચૂંટણીમાં ભાજપને શું ફેર પડે છે તે જોવાનું રહ્યું.